Gujarat: શિક્ષણમંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાની યુ.એન. મહેતા હોસ્પિટલમાં કરાઈ એન્જીયોપ્લાસ્ટી, તબિયત સુધારા પર
રાજ્યના શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાને હૃદયમાં માઇનોર બ્લોકેજ હોવાના કારણે યુ.એન. મહેતા હોસ્પિટલમાં સ્ટેન્ટ મુકવામાં આવ્યું છે.

અમદાવાદ: રાજ્યના શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાને હૃદયમાં માઇનોર બ્લોકેજ હોવાના કારણે યુ.એન. મહેતા હોસ્પિટલમાં સ્ટેન્ટ મુકવામાં આવ્યું છે. પ્રદ્યુમન વાજાને યુ.એન. મહેતા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાં ચેકઅપ કરવામાં આવ્યું અને હૃદયમાં બ્લોકેજ હોવાનું નિદાન થયું હતું. ડૉક્ટરોએ સારવાર કરી સ્ટેન્ટ મુક્યું છે. હાલ તેમની તબિયત સ્થિર છે.
શિક્ષણમંત્રીએ પોસ્ટ કરી સ્વાસ્થ્ય અંગે આપી જાણકારી
શિક્ષણમંત્રી ડૉ પ્રદ્યુમન વાજાએ ફેસબુક પર એક પોસ્ટ કરી તેમની તબિયત અંગે જાણકારી આપી હતી. તેમણે કહ્યું, રૂટિન હાર્ટ ચેકઅપ માટે હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને જરૂરી ચકાસણી માટે ડૉક્ટરની એપોઇન્ટમેન્ટ લીધી હતી. તપાસ દરમિયાન હૃદયમાં માઇનોર બ્લોકેજ જણાતા ડૉક્ટરની સલાહ મુજબ સ્ટેન્ટ મુકાવવામાં આવ્યો છે. હાલ આરોગ્ય સ્થિર છે. આપ સૌ દ્વારા વ્યક્ત થયેલી લાગણી, શુભેચ્છા અને પ્રાર્થનાઓ બદલ હૃદયપૂર્વક આભાર. ડૉક્ટરની સલાહ છે કે પાંચ દિવસ સંપૂર્ણ આરામ કરવામાં આવે.
ડો. પ્રદ્યુમન વાજા મૂળ અમદાવાદના વતની છે. તેમણે 1995માં ગુજરાત યુનિવર્સિટીમાંથી એમબીબીએસ, ડીજીઓ અને એમડીની ડિગ્રી મેળવી હતી. વધુમાં 2022માં તેમણે એલએલબી અને એલએલએમનો અભ્યાસ પણ પૂર્ણ કર્યો હતો. ડો. પ્રદ્યુમન વાજા સરકારી સેવામાંથી નિવૃત્ત થયા છે અને તેમના પત્ની પણ ડોક્ટર છે.
2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ડો. પ્રદ્યુમન વાજાએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે કોડીનાર વિધાનસભા મતવિસ્તારમાંથી જીત મેળવી હતી. તેમને કુલ 77,794 મત મળ્યા હતા. ડો. પ્રદ્યુમન વાજા ગુજરાત એસસી મોરચાના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે.























