Gujarat Politics: દેશમાં અત્યારે લોકસભાની ચૂંટણી ચાલી રહી છે, ગુજરાતમાં ગઇ 7મી મેએ તમામ 26 બેઠકો પર લોકસભાની ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઇ ગયુ છે, ગુજરાતમાં ચૂંટણી પુરી થતાની સાથે હવે જુદાજુદા પક્ષોના નેતાઓ પોતાના અસલ રૂપમાં આવ્યા છે. હાલમાં જ સમાચાર છે કે, ભરૂચ જિલ્લાના બે મોટા નેતા ભાજપના મનસુખ વસાવા અને આપના ચૈતર વસાવા વચ્ચે દબંગાઇની હરિફાઇ શરૂ થઇ છે. બન્ને નેતાઓ વચ્ચે ગજગ્રાહ પરાકાષ્ઠાએ પહોંચ્યા છે, ખાસ વાત છે કે, ચૂંટણી પુરી થતાં જ ડેડીયાપાડા તાલુકા પંચાયત કચેરીમાં ધારાસભ્ય અને સાંસદનો તમાશો સામે આવ્યો છે. બન્ને નેતાઓ એકબીજાને દેખાડી દેવાના મૂડમાં છે.


રાજ્યમાં લોકસભા ચૂંટણીમા મતદાન પૂર્ણ થવાને બે અઠવાડિયા થવાં આવ્યા છે તેમ છતાં ભરૂચ લોકસભા બેઠકના ભાજપ અને આપના ઉમેદવાર વચ્ચે જંગ યથાવત છે. જિલ્લાાં અહીં આપના ચૈતર વસાવા અને ભાજપના મનસુખ વસાવા બન્ને વચ્ચે દબંગાઇની હરિફાઇ લાગી, બન્નેમાંથી દંબગ કોણ તે સાબિત કરવા રીતસરના જાહેરમાં બન્ને નેતાઓ નાટક કરી રહ્યાં છે. હાલમાં સામે આવેલી ઘટના એવી છે કે, જિલ્લાના ડેડીયાપાડા તાલુકા પંચાયત પર આપના ઉમેદવાર અને ધારાસભ્ય ચૈતર વસાવા તેમજ ભાજપના ઉમેદવાર અને સાંસદ એવા મનસુખ વસાવાએ શુક્રવારે પૉલિટીકલ ડ્રામા શરૂ કર્યો હતો. મનસુખ વસાવા TDOની ઓફિસમાં સવાલ ઉઠાવીને ચૈતર વસાવા તાલુકા પંચાયત ઑફિસ પહોંચ્યા હતા, તો મનસુખ વસાવાએ બધાને તાલુકા પંચાયતની ઑફિસ પર પહોંચવાનો આમંત્રણ આપવાનો ચૈતરે આરોપ લગાવ્યો હતો. શરમજનક સ્થિતિ પેદા થઇ છે, કેમ કે શાળાના બાળકો પણ નહીં ઝઘડતા હોય એ પ્રકારે સાંસદ અને ધારાસભ્ય જાહેરમાં ઝઘડ્યા હતા. ઝઘડામાં આ બન્ને જણાએ એકબીજાને જોઈ લેવાની ચિમકી પણ ઉચ્ચારી હતી. આ તમામની વચ્ચે સરકારી અધિકારી અને પોલીસની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણીમાં ભરૂચ બેઠક પરથી મનુસખ વસાવા ભાજપના ઉમેદવાર છે, તો ચૈતર વસાવા ઇન્ડિયા ગઠબંધનના આપના ઉમેદવાર છે. 


'બંગાળમાં ગૂંજ્યો મુલ્લા, મદરેસા અને માફિયાનો નારો', - મમતા બેનર્જી સરકાર પર અમિત શાહનો પ્રહાર


કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના નેતા અમિત શાહે કહ્યું છે કે કોંગ્રેસના નેતા મણિશંકર ઐયર અને નેશનલ કૉન્ફરન્સના પ્રમુખ ફારુક અબ્દુલ્લા અમને પીઓકે વિશે વાત ના કરવા માટે ડરાવે છે, કારણ કે પાકિસ્તાન પાસે એટમ બૉમ્બ છે. હું કહેવા માંગુ છું કે તમે લોકો ડરશો, અમે પીઓકે લઈશું. મુખ્યમંત્રી મમતા બેનર્જી પર નિશાન સાધતા અમિત શાહે કહ્યું કે પશ્ચિમ બંગાળમાં મુલ્લા, મદરેસા અને માફિયાના નારા ગૂંજી રહ્યાં છે. પશ્ચિમ બંગાળના હુગલીમાં એક જાહેર સભાને સંબોધિત કરતી વખતે ભાજપના વરિષ્ઠ નેતાએ વિપક્ષ પર ઉગ્ર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે આ લોકો પ્રાણ પ્રતિષ્ઠામાં એટલા માટે નથી ગયા કારણ કે તેઓ વૉટ બેંકની રાજનીતિથી ડરતા હતા. અમિત શાહે કહ્યું કે મમતા દીદી અને કોંગ્રેસ કલમ 370 હટાવવાનો વિરોધ કરે છે. મેં પૂછ્યું તો તેઓએ કહ્યું કે લોહીની નદીઓ વહેશે. આ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર છે. લોહીની નદીઓ તો બાજુ પર રાખો, 5 વર્ષ થઈ ગયા અને કોઈમાં કાંકરો પણ મારવાની હિંમત નથી.


કાશ્મીરમાં વધી રહ્યું પર્યટન, પીઓકેમાં વધી રહ્યો છે લોટનો ભાવઃ અમિત શાહ 
લોકોને સંબોધિત કરતા અમિત શાહે કહ્યું કે કલમ 370 હટાવીને પીએમ મોદીએ આખા કાશ્મીરને હંમેશા માટે ભારત સાથે જોડી દીધું છે. પાકિસ્તાન અધિકૃત કાશ્મીર એટલે કે પીઓકેમાં થઈ રહેલા વિરોધનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે જ્યારે કોંગ્રેસ સત્તામાં હતી ત્યારે કાશ્મીરમાં હડતાલ થતી હતી. આજે અમારી સરકાર હેઠળ કાશ્મીરમાં હડતાળ નથી. હવે પીઓકેમાં હડતાળ અને પથ્થરમારો થઈ રહ્યો છે. આપણા કાશ્મીરમાં પર્યટન વધી રહ્યું છે અને પીઓકેમાં લોટની કિંમત વધી રહી છે.


પીઓકે લઇને રહીશુંઃ ગૃહમંત્રી અમિત શાહ 
અમિત શાહે કોંગ્રેસ નેતા મણિશંકર અને તેમની પાર્ટી પર તેમના નિવેદન પર નિશાન સાધ્યું કે પાકિસ્તાન પાસે એટમ બૉમ્બ છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે મણિશંકર ઐયર અને ફારૂક અબ્દુલ્લા કહે છે કે PoK વિશે વાત ના કરો, કારણ કે પાકિસ્તાન પાસે એટમ બૉમ્બ છે. હું કહેવા માંગુ છું કે રાહુલ બાબા, મમતા દીદી, જો તમારે ડરવું હોય તો ડરો, પરંતુ PoK ભારતનું છે અને અમે તેને લઈશું.


'બંગાળમાં ગુંજી રહ્યો છે મુલ્લા, મદરેસા અને માફિયાનો નારો'
પશ્ચિમ બંગાળના સીએમ પર પ્રહાર કરતા અમિત શાહે કહ્યું કે મમતા દીદી આપણા હિન્દુ અને બૌદ્ધ શરણાર્થીઓને નાગરિકતા નહીં આપે, પરંતુ બાંગ્લાદેશી ઘૂસણખોરોને નાગરિકતા ચોક્કસ આપશે. હું વચન આપું છું કે આ તમામ લોકોને નાગરિકતા આપવામાં આવશે.


તેમણે કહ્યું કે દીદીએ માટી, માનુષના નારા લગાવીને સત્તામાં આવી હતી અને આજે બંગાળમાં મુલ્લા, મદરેસા, માફિયાના નારા લગાવવામાં આવે છે. શું ઈમામો અને મુલ્લાઓને બંગાળની તિજોરીમાંથી પગાર આપવો જોઈએ ? જ્યારે હાઇકોર્ટે ઇનકાર કર્યો ત્યારે મમતા દીદીએ બોર્ડ તરફથી રાહત આપી હતી.