કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
Krishi sahay: ગાંધીનગર ખાતે મીડિયાને સંબોધતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ ખેડૂતોના હિતમાં સરકાર દ્વારા લેવાયેલા પગલાંનો ચિતાર રજૂ કર્યો હતો.

farmers account deposit: ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કૃષિ રાહત પેકેજ અંગે મોટી જાહેરાત કરતા જણાવ્યું છે કે રાજ્ય સરકારે ખેડૂતોને અત્યાર સુધીમાં 3130 કરોડ રૂપિયાની સહાય ચૂકવી દીધી છે. કુલ 30 લાખથી વધુ અરજીઓ સરકારને મળી છે. આંકડાકીય માહિતી આપવાની સાથે વાઘાણીએ વિપક્ષ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસની યાત્રા નિષ્ફળ રહી છે કારણ કે તેમના શાસનમાં ખેડૂતોને રાહત કામના નામે મજૂર બનાવી દેવામાં આવ્યા હતા, જ્યારે ભાજપ સરકાર સીધી સહાય આપી રહી છે.
સહાય પેકેજ અને મગફળી ખરીદીના સત્તાવાર આંકડા
ગાંધીનગર ખાતે મીડિયાને સંબોધતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ ખેડૂતોના હિતમાં સરકાર દ્વારા લેવાયેલા પગલાંનો ચિતાર રજૂ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે જાહેર કરેલા કૃષિ રાહત પેકેજને બહોળો પ્રતિસાદ મળ્યો છે.
કુલ અરજીઓ: પેકેજની સમયમર્યાદાના છેલ્લા દિવસ સુધીમાં કુલ 30 લાખથી વધુ ખેડૂતોએ સહાય માટે અરજી કરી છે.
ચૂકવાયેલી રકમ: સરકાર દ્વારા ત્વરિત કાર્યવાહી કરીને અત્યાર સુધીમાં ₹3130 કરોડ ની માતબર રકમ ખેડૂતોના ખાતામાં જમા કરી દેવામાં આવી છે.
ઉત્તર ગુજરાત પેકેજ: ખાસ કરીને વાવ, થરાદ અને પાટણ સહિતના 5 અસરગ્રસ્ત જિલ્લાઓના પેકેજ માટે જ 3 લાખ જેટલી અરજીઓ આવી છે.
મગફળી ખરીદી: ટેકાના ભાવે મગફળી ખરીદીમાં પણ સરકારે રેકોર્ડ બનાવ્યો છે. અત્યાર સુધીમાં કુલ ₹5786 કરોડ ની મગફળીની ખરીદી થઈ ચૂકી છે, જેમાંથી ₹2300 કરોડ થી વધુ રકમ ખેડૂતોને ચૂકવી પણ દેવામાં આવી છે.
‘કોંગ્રેસની યાત્રા માત્ર પક્ષ પૂરતી સીમિત રહી’
સહાય પેકેજ મુદ્દે કોંગ્રેસ દ્વારા કરવામાં આવતા આક્ષેપોનો જવાબ આપતા જીતુ વાઘાણીએ કહ્યું હતું કે, જ્યારે અમે પેકેજ જાહેર કર્યું ત્યારે વિપક્ષ કહેતો હતો કે આ માત્ર જાહેરાત છે. હવે જ્યારે અમે પૈસા ચૂકવવાનું શરૂ કર્યું છે, ત્યારે તેઓ લોકોમાં ભ્રમ ફેલાવે છે કે બધાને પૈસા નહીં મળે. કોંગ્રેસે ખેડૂતોના નામે જે યાત્રા કાઢી હતી, તે માત્ર તેમના પક્ષની યાત્રા બનીને રહી ગઈ છે. લોકોએ તેમાં જોડાવાનું ટાળ્યું કારણ કે પ્રજા કોંગ્રેસના જુઠ્ઠાણાને ઓળખી ગઈ છે.
‘કોંગ્રેસના સમયમાં રાહત કામના નામે ખેડૂતો મજૂરી કરતા’
જીતુ વાઘાણીએ ભૂતકાળને યાદ કરાવતા કોંગ્રેસ પર તીખા શબ્દપ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું, "હું કોંગ્રેસને કહેવા માંગુ છું કે તમારું મોઢું ગંધાય છે. તમારા શાસનકાળમાં ખેડૂતોની સ્થિતિ દયનીય હતી. કોંગ્રેસના સમયમાં દુષ્કાળ કે મુસીબત વખતે 'રાહત કામો' ખોલવામાં આવતા હતા, જેમાં ખેડૂતોને મજૂર બનીને કામ કરવું પડતું હતું. કોંગ્રેસે ખેડૂતોને માલિકમાંથી મજૂર બનાવવાનું કામ કર્યું હતું."
‘ભૂતકાળમાં ગામડું થરથર ધ્રુજતું હતું’
મંત્રીએ કોંગ્રેસને પડકાર ફેંકતા કહ્યું કે, જો કોંગ્રેસમાં હિંમત હોય તો તેમના શાસનકાળમાં ખેડૂતોને કેટલી સબસિડી આપી હતી તેના આંકડા જાહેર કરે. લોકો કોંગ્રેસના શાસનનો એ ભૂતકાળ ભૂલ્યા નથી જ્યારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ એટલી કથળેલી હતી કે આખું ગામડું થરથર ધ્રુજતું હતું. લોકો કોંગ્રેસના ઈતિહાસથી વાકેફ છે, તેથી જ તેમની વાતોમાં આવતા નથી અને તેમની યાત્રાઓમાં જોડાતા નથી.





















