Gir Somnath: ફરી એકવાર સિંહની સતામણી થયાનો વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થયો છે. વાયરલ થયેલા વીડિયોમાં કેટલાક છોકરાએ સિંહની સતામણી કરીને ભાગી રહ્યાં હોવાનું દેખાઇ રહ્યું છે, આ વીડિયો ગીર સોમનાથમાંથી સામે આવ્યો હોવાનું જાણવા મળ્યુ છે. 


માહિતી પ્રમાણે, ગીર સોમનાથના મંડોરના ગામનો વીડિયો વાયરલ થયો છે, આ વીડિયોમાં કેટલાક યુવાનો સિંહ સાથે કુતરાની જેમ વર્તન કરી રહ્યાં હોવાનું દેખાઇ રહ્યું છે. ખરેખરમાં આ વીડિયો ગીર સોમનાથના તાલાલાના મંડોર ગામનો છે, અને અહીં કેટલાક યુવાનો સિંહની સતામણી કરતાં હતા, જ્યારે સિંહે ગામમાં મારણ કર્યુ હતુ અને બાદમાં ગામની શેરીને યુવાનો લાકડીઓ લઇને તેની પાછળ દોડ્યા હતા, જોકે, સિંહ યુવાનો પાછળ પડતાં બધા જ યુવાનો લાકડીઓ ફેંકીને જીવ બચાવા દોડીને ભાગ્યા હતા. જોકે, ખાસ વાત છે સિંહ સાથે કુતરા જેવું વર્તન કરનારા આ યુવાનો પર લોકો ગુસ્સે ભરાયા છે. સિંહની સતામણીનો વીડિયો હાલમાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. 


સાસણ ગીર અભ્યારણ્ય પ્રવાસીઓ માટે થશે બંધ


સાસણ ગીરમાં સિહ દર્શન કરવા ઇચ્છતાં લોકો માટે એક માઠા સમાચાર છે, ટુંક સમયમાં સિંહ દર્શનમાં વેકેશન પડી રહ્યું છે. જૂનાગઢમાં સાસણ ગીર અભ્યારણ્યમાં આગામી 16 જૂનથી સિંહોનું વેકેશન માટે વેકેશન પડી રહ્યું છે, આ સમય દરમિયાન કોઇપણ પર્યટક સિંહ દર્શનનો લાભ નહીં લઇ શકે. 16 જૂનથી બંધ થઇ રહેલું અભ્યારણ્ય આગામી 15 ઓકટોબર સુધી બંધ રહેશે, આ દરમિયાન સિંહ દર્શન પ્રવાસીઓ માટે બંધ રહેશે. મહત્વનું છે કે, હવે ચોમાસા હોવાથી સિંહોની સંવનનકાળ શરૂ થઇ રહ્યો છે, દર વર્ષે આ સમયગાળામાં સાસણ ગીર અભ્યારણ્યને બંધ રાખવામાં આવે છે.


સિંહ દર્શન માટે સાસણ નહીં જવું પડે, રાજ્ય સરકાર વિકસાવશે વધુ એક ટુરિસ્ટ પ્લેસ


રાજ્યમાં સિંહ દર્શન માટે હવે સાસણનો ધક્કો થોડા સમય પછી નહીં થાય. રાજ્ય સરકાર સૌરાષ્ટ્રમાં વધુ એક ટુરિસ્ટ પ્લેસ વિકસાવશે. સિંહ પ્રેમીઓ માટે સાસણ જેવું બીજુ સ્થળ સરકાર વિકાસાવશે. મળતી માહિતી પ્રમાણે, પાલીતાણાથી ખાંભા સુધીના વિસ્તારને સરકાર ટુરિસ્ટ પ્લેસ તરીકે વિક્સાવશે. આ વિસ્તારમાં સિંહોનો વસવાટ વધતાં સરકારે નિર્ણય લીધો છે. ધાર્મિક સ્થળો અને જંગલ વિસ્તારના સમન્વયથી નવું ટુરિસ્ટ પ્લેસ વિક્સાવશે. સરકાર ખંભાતથી પાલીતાણા વચ્ચે નવી લાયન સફારી પણ વિકસાવી શકે છે. વન વિસ્તારમાંથી સિંહો રહેણાક વિસ્તારોમાં વિચરણ કરતા જોવા મળ્યા હોય એવી ઘટનાઓ છેલ્લાં થોડાં વર્ષોમાં અનેક વખત નોંધાઈ છે. છેલ્લા એક વર્ષમાં ભાવનગરમાં માનવ વસાહતમાં આવી ચઢેલા સિંહોના એક ડઝન જેટલા વીડિયો વાઇરલ થયા છે. જેમાંથી કેટલાક વીડિયોમાં ગ્રામજનો સિંહોને પરેશાન કરતા પણ જોવા મળી રહ્યા છે. સિંહોની સંખ્યા વધી રહી છે એ સામે પડકારો પણ છે. વધતી જતી સિંહોની સંખ્યા સામે સિંહો માટેનો સંરક્ષિત વિસ્તાર નાનો પડી રહ્યો છે. ખાસ કરીને સિંહો પાંચ જિલ્લાઓ જેમકે ગીર-સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને બોટાદમાં જોવા મળે છે. સરવાળે સ્થિતિ એવી સર્જાઈ છે કે સિંહો સંરક્ષિત વિસ્તારમાંથી બહાર નીકળે છે અને માનવવસાહતો ધરાવતા વિસ્તારોમાં આવી ચઢે છે.


એશિયાટિક સિંહોએ ગુજરાતના આ વિસ્તારને બનાવ્યું પોતાનું બીજુ ઘર


બરડા વન્યજીવ અભયારણ્યમાં રેડિયો કૉલર લગાવેલા નર સિંહે દેખા દેવાની સાથે ગુજરાત અને ભારતના ગૌરવ એવા એશિયાટિક સિંહોએ પોરબંદર નજીક બરડા વન્યજીવ અભયારણ્યમાં પોતાનું નવું અને બીજું ઘર શોધી લીધું છે. બરડામાં સિંહ છેક સન્ 1879માં છેલ્લે દેખાયો હોવાનું નોંધવામાં આવ્યું હતું, તેમ ગીર સિંહોના પ્રેમી અને ગીર અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનની સલાહકાર સમિતિના સભ્ય અને રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ જણાવ્યું હતું. આ નર સિંહને પ્રથમ વખત 2022માં માધવપુર રાઉન્ડમાં જોવામાં આવ્યો હતો. સાંસદ પરિમલ નથવાણીએ માહિતી આપી હતી કે, લગભગ સાડા ત્રણ વર્ષની ઉંમરનો નર સિંહ જાન્યુઆરી 18, 2023ના રોજ બરડા અભયારણ્યમાં પ્રવેશ્યો હતો. આ સિંહ પોરબંદર વન્યજીવ વિભાગની રાણાવાવ રેન્જમાં રાણાવાવ રાઉન્ડની મોટા જંગલ બીટમાં દેખાયો હતો. આ નર સિંહને પ્રથમ વખત ઓક્ટોબર 3, 2022ના રોજ પોરબંદર વન્યજીવ વિભાગના માધવપુર રાઉન્ડમાં જોવામાં આવ્યો હતો.