Visavadar Election 2025: વિસાવદર પેટાચૂંટણીના પરિણામ પહેલા ગોપાલ ઈટાલીયાની ભાવુક પોસ્ટ વાયરલ
Visavadar Election 2025: આજે કડી અને વિસાવદર પેટાચૂંટણીનું પરિણામ જાહેર થશે. સવારે આઠા વાગ્યાથી મતગણતરી શરુ થઈ ચૂંકી છે. થોડીવારમાં આંકડા સામે આવવા લાગશે.

Visavadar Election 2025: આજે કડી અને વિસાવદર પેટાચૂંટણીનું પરિણામ જાહેર થશે. સવારે આઠા વાગ્યાથી મતગણતરી શરુ થઈ ચૂંકી છે. થોડીવારમાં આંકડા સામે આવવા લાગશે. આ દરમિયાન આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલીયાની એક ફેસબુક પોસ્ટ ખુબ વાયરલ થઈ રહી છે. ગોપાલ ઈટાલાયીએ એક ભાવુક અપીલ કરી છે. તમને જણાવી દઈએ કે, ગોપાલ ઈટાલીયા વિસાવદર બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે.
ગોપાલ ઈટાલીયાની ફેસબુક પોસ્ટ અક્ષરસ:
આવતીકાલે ચુંટણીનું પરિણામ છે ત્યારે સૌ શુભચિંતકો તેમજ સમર્થકો અને કાર્યકર્તાઓને મારી એક નમ્ર વિનંતી છે, કોઈપણ ચુંટણીમાં હંમેશા હાર અથવા જીત હંમેશા થતી રહે છે. જીતેલો વ્યક્તિ ઉત્સાહ કે ઉન્માદમાં આવી જાય છે અને હારેલો વ્યક્તિ નિરાશા કે વિષાદમાં આવી જાય છે. જો કે ઉન્માદ કે વિષાદ એ ક્ષણિક પરિસ્થિતિ છે પરંતુ આપણા સંબંધો અને વ્યવહાર તો કાયમી હોય છે.
મારી સૌને વિનંતી છે કે, ચુંટણીના વિજય કે પરાજયના પરિણામોને લઈને કોઈનું દિલ દુભાય એવી પોસ્ટ કે કોમેન્ટ ન કરશો. કોઈને ઠેસ પહોંચે કે દુઃખ લાગે કે કોઈને આપણું વર્તન અયોગ્ય લાગે એવું ન કરવું જોઈએ.
આપણો ઉત્સાહ કે આપણી નિરાશા પણ સંયમ સાથે વ્યક્ત કરો એવી સૌને વિનંતી છે. આવતીકાલે હારેલા અને જીતેલા ઉમેદવારના સમર્થકોને અગાઉથી જ શુભકામનાઓ.
વિસાવદરમાં કોણ મારશે બાજી
વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીનું પરિણામ આજે જાહેર થશે. જૂનાગઢની કૃષિ યુનિવર્સિટી ખાતે સવારે 8 વાગ્યાથી મતગણતરી હાથ ધરાશે. વિસાવદર વિધાનસભા બેઠકમાં કુલ 294 બૂથ આવેલા છે, જ્યાં 14 ટેબલ પર 21 રાઉન્ડમાં મતગણતરીની પ્રક્રિયા હાથ ધરાશે. આ બેઠક પર આપના ગોપાલ ઈટાલિયા અને ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતીન રાણપરિયા વચ્ચે ત્રિપાંખીયો જંગ છે.
જિલ્લા ચૂંટણી અધિકારી અનિલ કુમાર રાણાવસીયાના માર્ગદર્શન હેઠળ માઇક્રો ઓબ્ઝર્વર, કાઉન્ટિંગ સુપરવાઈઝર સહિત કુલ 60 થી વધુ કર્મચારીઓ મતગણતરીની પ્રક્રિયામાં જોડાશે. સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે બે DySP, 11 PI, 13 PSI સહિત કુલ 200 પોલીસકર્મીઓ પણ મતગણતરી કેન્દ્ર પર તૈનાત કરવામાં આવશે.
જૂનાગઢની કૃષિ યુનિવર્સિટી ખાતે મતગણતરીની તમામ ગતિવિધિનું CCTV ની મદદથી મોનિટરિંગ પણ કરાશે. સૌપ્રથમ બેલેટ પેપરની મતગણતરી હાથ ધરાશે, બાદમાં EVM ની મતગણતરી શરૂ થશે. વિસાવદર બેઠક પર સરેરાશ 56.89 ટકા જેટલું મતદાન થયું છે. આ પરિણામથી ભાજપ (BJP) ઉમેદવાર કિરીટ પટેલ, કોંગ્રેસ ઉમેદવાર નીતિન રાણપરીયા અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા સહિત કુલ 16 ઉમેદવારોનું રાજકીય ભાવી નક્કી થશે. ભાજપ, કોંગ્રેસ, આપ ત્રણેય પક્ષોની શાખ દાવ પર લાગી છે.























