અમરેલીઃ ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂંટણી 3 નવેમ્બરે યોજાવાની છે ત્યારે કોંગ્રેસમાં ધારી બેઠક માટે જોરદાર રસાકસી છે. આ બેઠક માટે વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી અને ધારાસભ્ય વીરજી ઠુમ્મર સામસામે આવી ગયા છે. આ બે પાટીદાર નેતાની લડાઈમાં ત્રીજો કોઈ તો નહીં ફાવી જાય એની ચર્ચા શરૂ થઈ છે કેમ કે બીજા એક કોંગ્રેસી આગવાને પેટાચૂંટણીમાં ઉમેદવારી માટે ફોર્મ લીધું છે.


ધારી વિધાનસભાની પેટા ચૂંટણી માટે કોંગ્રેસના સંભવિત ઉમેદવાર તરીકે જેની ઠુમ્મર અને સુરેશ કોટડીયાનાં નામોની ચર્ચા ચાલી રહી છે, વીરજી ઠુમ્મર પોતાની દીકરી જેનીબેન માટે જ્યારે પરેશ ધાનાણી કોટડિયા માટે ટિકિટ માગી રહ્યા છે ત્યારે હવે  નવું નામ ચર્ચાનું કારણ બનતાં કોંગ્રેસમાં સળવળાટ શરૂ થયો છે.


કોંગ્રેસ આગેવાન ડો.કિર્તી બોરીસાગરે ફોર્મ ઉપાડતાં બેની લડાઈમાં ત્રીજા ફાવી નહીં જાય ને એવી ચર્ચા ચાલી રહી છે.
પાટીદાર સિવાયના સમાજમાંથી આવતા કીર્તિ બોરીસાગરે ફોર્મ ઉપાડતા અનેક તર્ક વિતર્ક ચાલી રહ્યા છે. 1990 બાદ કોંગ્રેસમાંથી અન્ય સમાજમાંથી ટીકીટ નથી ફળવાઈ. ડો. બોરીસાગરે ગઈ કાલે વિપક્ષ નેતા પરેશ ધાનાણી સાથે હનુમાન ગાળા મંદિરે ચર્ચા કરી હતી તેના કારણે આ અટકળોને વેગ મળ્યો છે.