દૂધરેજઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરેન્દ્રનગરના દૂધરેજમાં ચૂંટણી સભા સંબોધી હતી. લોકોને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે ધોરીધજા ડેમ ભરવાનો  હતો ત્યારે હું સુરેન્દ્રનગર આવ્યો હતો. અમે ફક્ત સપના જ નથી જોતા, સપનાનો સંકલ્પ લઇને સિદ્ધિ મેળવીએ છીએ. 24 કલાક વીજળી ન મળે તેવુ વિધાનસભામાં કોગ્રેસના ધારાસભ્યો બોલ્યા હતા.






વડાપ્રધાન મોદીએ કહ્યું કે અઘરા કામ કરવા માટે જ મને બેસાડ્યો છે. 10 વર્ષ અગાઉ ગુજરાતમાં 24 કલાક વીજળી પહોંચી ગઇ છે. ડેરી સેક્ટરમાં સુરેન્દ્રનગર જિલ્લાએ મોટો પ્રભાવ ઉભો કર્યો છે. 24 કલાક વિજળીથી દૂધને સાચવવામાં અને દૂધની ક્વોલિટી સારી થઇ છે. આજે ગુજરાતમાં લગભગ પોણા બસો લાખ મેટ્રિક ટન દૂધનું ઉત્પાદન થાય છે. સુરસાગર ડેરી તો સુખસાગર ડેરી થઇ ગઇ છે.






વડાપ્રધાન મોદીએ કહ્યું કે નર્મદા યોજનાનો સૌથી વધુ લાભ સુરેન્દ્રનગર જિલ્લાને મળ્યો છે. નામ લીધા વિના વડાપ્રધાન મોદીએ રાહુલ ગાંધી પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે જેમને પદ પરથી જનતાએ હટાવ્યા તેઓ આજે યાત્રા કરી રહ્યા છે. નર્મદા વિરોધીઓને સજા કરવા માટે આ ચૂંટણી બનવી જોઇએ. નર્મદા વિરોધીઓની સાથે યાત્રા કરી રહ્યા છે. ઝાલાવાડની ધરતી પર તપસ્વી સંતોના આશીર્વાદ મળ્યા છે. સંતોએ મને ભવ્ય વિજયની શુભકામના આપી છે. મુખ્યમંત્રી હતો ત્યારે પણ સુરેન્દ્રનગર જિલ્લામાં છાશવારે આવતો હતો. સુરેન્દ્રનગરની જનતાએ ભાજપની સરકાર બનાવવાનું નક્કી કરી લીધું છે. આ ચૂંટણી અમે નહી, ગુજરાતની જનતા લડી રહી છે.






 


વડાપ્રધાન મોદીએ કહ્યું કે સેવક અને સેવાદારની કોઇ ઔકાત નથી. વાર-તહેવારે થતા અપમાન હું ગળી જાવ છું. મારે 130 કરોડ લોકોનું ભલું કરવું છે એટલે અપમાન ગળી જાઉં છું. માતા-બહેનોના આશીર્વાદ તો મારી મૂડી છે. એક જમાનામાં યુરિયા પાછળના દરવાજેથી બારોબાર વેચાઇ જતું હતું. યુદ્ધને લીધે યુરિયાની એક થેલી બે હજારમાં લાવીએ છીએ પણ ખેડૂતને યુરિયાની એક થેલી 270મા આપીએ છીએ. નેનો યુરિયા લાવીને ખેડૂતોના ખર્ચાને ઘટાડવાનો પ્રયાસ કર્યો છે. કપાસ અને મગફળીના કોઇ દિવસ આટલો ભાવ મળ્યો નથી. આ દેશનો કોઇ પણ એવો નાગરિક નહી હોય જેણે સુરેન્દ્રનગરનું મીઠું ખાધુ ના હોય. અગરીયાઓની ચિંતા ભાજપ સરકારે કરી છે. સોલર પંપથી પણ અગરીયા ભાઇઓને મદદ કરી રહ્યા છીએ.