ગુજરાત બોર્ડ ધોરણ 10 અને 12ની પરીક્ષા આજથી શરૂ, કુલ 15.27 લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા
Gujarat Board Exam 2026:આજથી ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા શરૂ થઇ રહી છે. શિક્ષણમંત્રી રીવાબા જાડેજાએ પરીક્ષાર્થીઓને સફળતા માટે શુભેચ્છા પાઠવી છે.

Gujarat Board Exam 2026:આજથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધો.10 અને 12ની પરીક્ષાની શરૂઆત થઈ રહી છે. ધોરણ 10 અને 12માં કુલ 15.27 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધો.10ના 9.07 લાખ અને ધો.12 સાયન્સના 1.19 લાખ, ધો.12 સામાન્ય પ્રવાહના 5.01 લાખ વિદ્યાર્થીઓની પરીક્ષા આપશે, ધોરણ 10માં પહેલુ પેપર ભાષાનું છે. ધો.12 સાયન્સમાં ફિઝિક્સનું પેપર છે. ધો.12 સામાન્ય પ્રવાહમાં અર્થશાસ્ત્રનું પેપર છે. 1701 સેન્ટર પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યમાં SSC માટે કુલ 87 ઝોન અને HSC માટે કુલ 59 ઝોનની રચના કરવામાં આવી છે. તેમજ ધોરણ 10 માટે કુલ 1006 કેન્દ્ર અને ધોરણ 12માં કુલ 695 કેન્દ્ર છે જેમાંથી સામાન્ય પ્રવાહમાં 539 કેન્દ્ર અને વિજ્ઞાન પ્રવાહના 156 કેન્દ્રોમાં પરીક્ષા લેવામાં આવશે.પરીક્ષા કેન્દ્રની તમામ બિલ્ડિંગ CCTVથી સજ્જ કરવામાં આવી છે. તેમજ તમામ પરીક્ષા સેન્ટર પર આરોગ્ય વિભાગની ટીમ પણ હાજર રહેશે.દિવ્યાંગ વિદ્યાર્થીઓને પરીક્ષામાં વિશેષ સુવિધા આપવામાં આવી છે. આ દિવ્યાંગ વિદ્યાર્થીઓને એક કલાકનો વધુ સમય મળશે. ટ્રાફિકમાં ફસાયેલા વિદ્યાર્થીઓ માટે હેલ્પલાઈન પણ જાહેર કરવામાં આવી છે. 10મા ધોરણની પરીક્ષાઓ 16 માર્ચ સુધી અને 12મા ધોરણની પરીક્ષાઓ 18 માર્ચ સુધી ચાલશે.વિદ્યાર્થીઓ માટે બોર્ડ દ્વારા ખાસ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.
- પ્રવેશપત્ર ઉપરાંત તમારે તમારું શાળાનું ઓળખપત્ર પણ લાવવું આવશ્યક છે. વાદળી અથવા કાળી બોલપોઇન્ટ પેન પણ જરૂરી છે.
- પરીક્ષા કેન્દ્ર પર જતા પહેલા ઉમેદવારોને પોતાનું પ્રવેશપત્ર સાથે લાવવાની સલાહ આપવામાં આવી છે. પ્રવેશપત્ર વિના તેમને કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવશે નહીં.
- આ ઉપરાંત વિદ્યાર્થીઓ પારદર્શક પાણીની બોટલ, સ્પષ્ટ/પારદર્શક સ્ટેશનરી પાઉચ અને પેન્સિલ, ઇરેઝર અને શાર્પનર જેવી મૂળભૂત સ્ટેશનરી વસ્તુઓ લાવી શકે છે.
- છેલ્લે સમયનું ધ્યાન રાખો. વિદ્યાર્થીઓને પરીક્ષા શરૂ થાય તે પહેલાં લગભગ અડધા કલાક પહેલાં કેન્દ્ર પર પહોંચવાની સલાહ આપવામાં આવે છે.
શિક્ષણમંત્રી રિવાબાએ પરીક્ષાર્થીઓને પાઠવી શુભકામના
ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12 પરીક્ષાનો આજથી પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે શિક્ષણ મંત્રી રિવાબા જાડેજાએ વિદ્યાર્થીઓને સફળતા માટે શુભકામના પાઠવી છે. રિવાબાએ પરીક્ષાર્થીઓનું મોં મીઠું કરવી વિદ્યાર્થીઓને સફળતા માટે શુભકામના પાઠવી હતી.























