Gujarat budget home subsidy: ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રનો ધમાકેદાર પ્રારંભ થયો છે, જેમાં રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ સામાન્ય જનતાને ખુશ કરી દે તેવી મોટી જાહેરાતો કરી છે. બજેટ 2025-26માં, રાજ્ય સરકારે પોતાનું ઘર લેવાનું સપનું જોતા લાખો ગુજરાતીઓ માટે એક મોટી ભેટ આપી છે. નાણામંત્રીએ સરકારી આવાસ યોજનાઓને વધુ વેગ આપવા પર ભાર મૂક્યો છે અને ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે રાજ્યમાં 3 લાખ નવા આવાસ બનાવવાની મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી છે.


નાણામંત્રી કનુભાઈ દેસાઈએ બજેટ રજૂ કરતા જણાવ્યું હતું કે, "ગુજરાત સરકાર ગરીબોના ઘરના સપનાને સાકાર કરવા માટે પ્રતિબદ્ધ છે. આ માટે, પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ), ડૉ. આંબેડકર આવાસ યોજના, પંડિત દિનદયાળ આવાસ યોજના અને હળપતિ આવાસ યોજના જેવી લોકપ્રિય આવાસ યોજનાઓ હેઠળ મળતી સહાયમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે."


અગાઉ આ યોજનાઓ હેઠળ મકાન દીઠ ₹1 લાખ 20 હજારની સહાય મળતી હતી, જે હવે ₹50,000 ના માતબર વધારા સાથે ₹1 લાખ 70 હજાર કરવામાં આવી છે. સબસિડીમાં આ મોટો વધારો થવાથી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને પોતાનું ઘર ખરીદવામાં ઘણી મદદ મળશે અને તેમના ઘરના સપના સાકાર થશે.


નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું બજેટ 2025-26 રજૂ કરતી વખતે રાજકોષીય ખાધને નિયંત્રણમાં રાખવા અને સેમિ કંડક્ટર ક્ષેત્રે વિકસિત ભારતના વિઝનને સાકાર કરવા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. તેમ છતાં, સરકાર સામાન્ય લોકોની જરૂરિયાતો અને સપનાઓને ધ્યાનમાં રાખીને આવાસ યોજનાઓ માટે સબસિડીમાં વધારો કરીને એક સંવેદનશીલ અભિગમ દાખવ્યો છે.


ગુજરાત સરકારના આ નિર્ણયથી રાજ્યના લાખો ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને ફાયદો થશે અને તેમને પોતાનું પાકું ઘર બનાવવાની દિશામાં એક મોટું પ્રોત્સાહન મળશે. બજેટમાં આવાસ યોજનાઓ માટે સબસિડીમાં વધારો એ ઘર ખરીદવાનું સપનું જોતા લોકો માટે ખરેખર એક સારા સમાચાર છે અને આ પગલું રાજ્યના વિકાસ અને ગરીબ કલ્યાણ માટે સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે.


મહેસૂલ વિભાગ માટે કુલ ₹૫૪૨૭ કરોડની જોગવાઇ


મહેસૂલી સેવાઓ નાગરિકોને સરળતાથી અને ત્વરિત મળી રહે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. ખેડૂત દ્વારા તેની એકમાત્ર બચત રહેતી ખેતીની જમીન પણ જો બિનખેતી કરાવે તો પણ ખેડૂત પ્રમાણપત્ર મેળવી શકશે તેવો પ્રજાલક્ષી નિર્ણય કરવામાં આવેલ છે.


રાજ્યમાં સ્વામિત્વ યોજના અંતર્ગત ગ્રામીણ વિસ્તારમાં ૭૨૨૧ ગામોના ૧૨ લાખથી વધુ મિલકતોના પ્રોપર્ટીકાર્ડ તૈયાર કરી સમગ્ર દેશમાં ફેઝ-૨ માં ગુજરાત રાજ્ય પ્રથમ ક્રમે છે.


સાબરકાંઠાના હિંમતનગર ખાતે નવી કલેક્ટર કચેરી અને વેરાવળ, પોરબંદર, દ્વારકા, ભચાઉ, વઢવાણ, બાયડ, આંકલાવ, સોજીત્રા, નડિયાદ, લુણાવાડા, જલાલપોર, સાગબારા અને ઉમરપાડા ખાતે નવા મહેસૂલી ભવનોના બાંધકામ, અંજાર-કચ્છ અને ઊંઝા-મહેસાણા ખાતે સીટી સર્વે સુપ્રિટેન્ડેન્ટની નવી કચેરીઓના બાંધકામ અને અમદાવાદ શહેર, સાણંદ, દેત્રોજ, રાધનપુર, રાજકોટ શહેર, લોધિકા, મોરબી, અંકલેશ્વર અને ઉમરગામ ખાતે નવી સબ-રજીસ્ટ્રાર કચેરીઓના બાંધકામ માટે ₹૬૬ કરોડની જોગવાઇ.


ટેક્નોલોજીના મહત્તમ ઉપયોગથી મહેસૂલી સેવાઓના વિવિધ પોર્ટલના અપગ્રેડેશન અને આઇ.ટી. સાધન-સામગ્રીની ખરીદી માટે ₹૮૭ કરોડની જોગવાઇ.


નાગરિકોને મહેસૂલી સેવાઓ ઝડપી પૂરી પાડવા વિવિધ કચેરીઓ માટે ૨૩૦ નવી જગ્યાઓ ઊભી કરવા ₹૧૫ કરોડની જોગવાઇ.


રાજ્ય આપત્તિ શમન નિધિમાંથી ઇમરજન્સી રિસ્પોન્સ માટે પૂર નિયંત્રણ અને ફાયરને લગતા સાધનોની ખરીદી સહિત ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે ₹૪૨૯ કરોડની જોગવાઇ.


આ પણ વાંચો....


ગુજરાત બજેટમાં સ્ટેમ્પ ડ્યૂટી અને ટેક્સમાં અભૂતપૂર્વ ઘટાડો, સામાન્ય માનવીના ખિસ્સાને મળશે મોટી ટાઢક!