ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના કેસમાં દિવસે દિવસે સતત ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 232 નવા કેસ નોંધાયા હતા જ્યારે કોરોના સંક્રમણથી 1નું મૃત્યુ થયું હતું. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 97.51 ટકા પર પહોંચ્યો છે.


રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 450 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. તેની સાથે કુલ ડીસ્ચાર્જ થયેલા લોકોની સંખ્યા 2,57,120 પર પહોંચી છે. રાજ્યમાં હાલ 2160 એક્ટિવ કેસ છે, જેમાંથી 23 લોકો વેન્ટિલેટર પર અને 2137 લોકો સ્ટેબલ છે. આજે અમદાવાદ કોર્પોરેશનમાં 1 દર્દીનું મોત થયું હતું. કોરોનાથી કુલ મૃત્યુઆંક 4396 પર પહોંચ્યો છે.

ક્યાં કેટલા કેસ નોંધાયા

રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 47, વડોદરા કોર્પોરેશનમાં 46, રાજકોટ કોર્પોરેશનમાં 33 , સુરત કોર્પોરેશનમાં 22, વડોદરામાં 11, રાજકોટ 9, દેવભૂમિ દ્વારકા 5, કચ્છ 5, ગાંધીનગર 4, ગાંધીનગર કોર્પોરેશન 4, ખેડા -4,અને મોરબીમાં 4 કેસ નોંધાયા હતા.

અત્યાર સુધી કેટલા લોકોને અપાઈ રસી

ગુજરાતમાં અત્યાર સુધી 6,04,184 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. આજે 49,005 લોકોને કોરોનાની રસી આપવામાં આવી હતી. રાજ્યમાં 16 જાન્યુઆરીથી કોરોના રસીકરણની શરુ કરવામાં આવી હતી.