નર્મદાઃ નર્મદા જિલ્લામાં આજે ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. પૂર્વ સંસદીય સચિવ અને ભાજપના આદિજાતિ મોરચાના પ્રમુખ હર્ષદ વસાવાએ તમામ હોદા પરથી રાજીનામું આપી દીધું છે. એટલુ જ નહી હર્ષદ વસાવાએ આજે સમર્થકો સાથે શક્તિ પ્રદર્શન કર્યું હતું. હર્ષદ વસાવા ટેકેદારો સાથે રેલી યોજી કલેક્ટર કચેરીએ પહોંચ્યા અને અપક્ષમાંથી ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. અપક્ષ ઉમેદવારી નોંધાવ્યા બાદ હર્ષદ વસોવાએ 25,000 મતોથી વિજયનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.


ગઈકાલે નર્મદાની નાંદોદ બેઠક પરથી ભાજપે ડૉક્ટર દર્શના દેશમુખને ટિકિટ આપી હતી. જેના કારણે તેઓ નારાજ થયા હતા. જેના કારણે તેમણે આજે મોટી સંખ્યામાં લોકો સાથે સરઘસ કાઢી શક્તિપ્રદર્શન કરી પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. સાથે બીજેપીના તમામ હોદ્દાઓ પરથી પણ તેમણે રાજીનામું આપી દીધું હતું. તેઓને નાંદોદ વિધાનસભા બેઠક માટેના પ્રબળ દાવેદાર માનવામાં આવતાં હતા પરંતુ ભાજપે ટિકિટના આપતા ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા. પક્ષના જૂના અને દાયકાઓથી પાર્ટીનું કામકાજ કરતાં કાર્યકરો રોષે ભરાયા હતા.  હર્ષદ વસાવાએ અપક્ષ ઉમેદવાર તરીકે પોતાની ઉમેદવારી નોંધાવતા નર્મદા જિલ્લાના રાજકીય માહોલમા ગરમાવો આવ્યો છે.


Gujarat Assembly Election 2022: વડોદરા જિલ્લાની ત્રણ બેઠકો પર ભાજપની વધી મુશ્કેલી, બળવાખોરોએ અપક્ષ ચૂંટણી લડવાની કરી જાહેરાત


વડોદરાઃ ભાજપે વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી એ સાથે અનેક જિલ્લાઓમાં કાર્યકર્તાઓએ નારાજગી વ્યક્ત કરી છે. વડોદરા જિલ્લાની ત્રણ બેઠક પર બળવાખોરોએ ભાજપની મુશ્કેલી વધારી છે.


વડોદરાની કરજણ વિધાનસભા બેઠક પર ભાજપે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અક્ષય પટેલને ટિકિટ આપતા ભાજપના પૂર્વ ધારાસભ્ય સતીષ પટેલ નારાજ થયા છે અને અપક્ષ તરીકે ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી છે. જોકે પૂર્વ ધારાસભ્ય સતીષ પટેલનું કહેવું છે કે આ વખતે તેમને ટિકિટ મળવાની હતી પરંતુ ભાજપે ટિકિટ ન આપતા હવે તો અપક્ષ તરીકે ફોર્મ ભરી મેદાને પડશે સાથે તેમણે જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.


2017માં કૉંગ્રેસની ટિકિટ પર લડનાર અક્ષય પટેલ પક્ષ પલટો કરી ભાજપમાં જોડાયા હતા અને પેટા ચૂંટણીમાં કરજણથી ફરી ચૂંટાયા હતા. આ વખતે સતીષ પટેલને આશા હતી કે ભાજપ તેમને ટિકિટ આપશે પરંતુ ફરી અક્ષય પટેલને રિપિટ કરાતા તેમણે અપક્ષ ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી છે.


આવી જ સ્થિતિ વાઘોડિયા બેઠકની છે. બાહુબલી નેતા મધુ શ્રીવાસ્તવની ટિકિટ કપાતા તેઓ અપક્ષ લડી શકે છે. તો પાદરા બેઠક પરથી પત્તુ કપાતા દિનેશ પટેલ ઉર્ફ દિનુમામા પણ અપક્ષ દાવેદારી નોંધાવશે. ત્રણ નેતાઓના બળવાખોર તેવરના કારણે રાજેન્દ્ર ત્રિવેદીએ સલાહ આપી હતી કે ત્રણેય નેતાએ વફાદાર રહેવું જોઈએ