Gujarat Election : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી દ્વારા જોરશોરથી પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે. જોકે, સૌરાષ્ટ્રના એક ગામમાં આમ આદમી પાર્ટીને કડવો અનુભવ થયો હતો. જૂનાગઢના તોરણીયામાં "આપ"ની સભામાં હોબાળો થયો હતો. સરપંચ તેમજ ગામના આગેવાનોએ આપના કાર્યકરોના ઉધડા લીધા હતા. 


હિન્દુવિરોધી માનસિકતા ધરાવતી પાર્ટીએ ગામમાં પ્રવેશ કરવો નહીં, અમારી વીચારધારા ભાજપની છે. અમારા નામ ખોટી રીતે કેમ સોશિયલ મીડિયામાં પોસ્ટ કેમ કરો છો, તેમ કહી ઉધડો લીધો હતો. ગ્રામજનોએ કહ્યું કે, પહેલા પ્રચાર કેમ કરવો તે શીખો. આમ આદમી પાર્ટી દ્વારા તોરણીયા ખાતે જનસંવાદ કાર્યક્રમ હતો. ગઈકાલે રાતે પ્રોજેક્ટર પર કાર્યક્રમ ચાલી રહ્યો હતો. સંરપચ સહિતના આગેવાનોએ કાર્યક્રમ બંધ કરાવ્યો. આપના કાર્યકરોની એક પણ વાત સાંભળવામાં ન આવી. સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થયો.


Gujarat Election : ગોપાલ ઇટાલિયાએ પોતાના વાયરલ વીડિયો મુદ્દે શું કર્યો વળતો પ્રહાર? 
અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ગોપાલ ઇટાલિયાના જૂના વીડિયો વાયરલ થતાં ફરી એકવાર રાજકારણ ગરમાયું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાના વાયરલ વીડિયો મુદ્દે ગૃહમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે,  એક પાર્ટીના નેતાના વીડિયો સામે આવી રહ્યા છે. ખૂબ દુઃખ થાય. મંદિર-કથા માટે આ પ્રકારના શબ્દ પ્રયોગ સારા નથી. આવા સંસ્કાર ગુજરાતના નાગરિકોમાં નથી. મંદિરમાં ન જજો, કથામાં ન જતા આ પ્રકારના વીડિયો જોઈ દુઃખ થાય.


જોકે, હવે આ મુદ્દે ગોપાલ ઇટાલિયાએ ભાજપ પર વળતા પ્રહાર કર્યા છે. ઇટાલિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી ભાજપની સરકાર  છે. અત્યારે વિધાનસભાની ચૂંટણી આવી છે, તો ગુજરાતની જનતા હિસાબ માંગે છે કે અમને હિસાબ બતાવો. તો ભાજપવાળા બોલે છે કે હિસાબ બતાવી શકાય તેમ નથી વીડિયો જોઇ લો. જનતા મોંઘવારી, શિક્ષણ, રોડ રસ્તા અને સ્વાસ્થ્ય મુદ્દે પ્રશ્ન પૂછે છે તો ભાજપવાળા કહે છે કે, જૂનો વીડિયો જોઇ લો. જનતા 27 વર્ષનો હિસાબ માંગે છે તો ભાજપવાળા કહે છે કે, ગોપાલની ભાષા જોઇ લો. મુદ્દોએ ચૂંટણી છે, પણ ભાજપવાળા પાસે મોંગવારી મુદ્દે જવાબ નથી, બેરોજગારીના મુદ્દે જવાબ નથી. તૂટેલા રોડ મુદ્દે જવાબ નથી. એટલે ભાજપવાળા રોજ રોજ ઉઠીને નવા નવા ગતકડા ચાલું કર્યા છે. પણ જનતાએ કહ્યું છે કે, આ વખતે અમે કોઈ વીડિયો જોઇને કે ભાષણો જોઇને નહીં, પણ મુદ્દો જોઇને મત આપવાના છીએ.


હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, આ પ્રકારની વિચારધારા ન હોવી જોઈએ. લોકોમાં મોટા પાયે રોષ છે. કોઈની આસ્થાને ઠેસ પહોંચાડવાનો કોઈને અધિકાર નથી. આ પ્રકારના બેફામ લવારા કરવા યોગ્ય છે ? આ વિચારો લોકો સુધી જાય એ પોષાય એમ નથી. એમની જ પાર્ટીના લોકો સોશિયલ મીડિયામાં લખે છે એ પર્સનલ વિચાર છે. એવો સમય આવ્યો છે કે એમની પાર્ટીએ એમના પરથી હાથ ધોઈ લેશે.