Gujarat Flood: સુરત ખાડી પૂર અને રાજ્યમાં વરસાદને કારણે નુકસાનને લઈ રાજ્ય સરકારની મોટી જાહેરાત, જાણો કેટલી સહાય ચૂકવાશે?
સુરતમાં ખાડી પૂર અને રાજ્યમાં ભારે વરસાદ અને પૂર જેવી પરિસ્થિતિના કારણે થયેલા વ્યાપક નુકસાન બાદ રાજ્ય સરકારે અસરગ્રસ્ત નાગરિકો, વેપારીઓ અને નાના ઉદ્યોગકારોને મોટી રાહત આપવાની જાહેરાત કરી.

- અત્યાર સુધી 19 હજારથી વધુ પરિવારોને સહાય ચૂકવાઈ, ટીમો મોકલાઈ.
સુરત: સુરતમાં ખાડી પૂર અને રાજ્યમાં ભારે વરસાદ અને પૂર જેવી પરિસ્થિતિના કારણે થયેલા વ્યાપક નુકસાન બાદ રાજ્ય સરકારે અસરગ્રસ્ત નાગરિકો, વેપારીઓ અને નાના ઉદ્યોગકારોને મોટી રાહત આપવાની જાહેરાત કરી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ગરીબ અને મધ્યમવર્ગના વેપારીઓની સાથે મજબૂતીથી ઉભી છે. અસરગ્રસ્તોને આર્થિક સહાય, લોન અને કરમાં રાહત સહિતના વિવિધ નિર્ણયો લેવામાં આવ્યા છે.
સુરતની જેમ વાપી,વલસાડ, નવસારીના વેપારીઓને સહાય મળશે. સુરતની જેમ વાપી, વલસાડ, નવસારીમાં પણ આ સહાય પેકેજ લાગુ પડશે.
લારી-રેકડી ધારકોને ₹75 હજાર સુધીની સહાય
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે ભારે વરસાદના કારણે નુકસાન ભોગવનારા લારી-રેકડી ચલાવતા લોકોને ₹75,000 સુધીની સહાય આપવામાં આવશે. આ સહાયથી નાના રોજગારીધારકોને ફરીથી વ્યવસાય શરૂ કરવામાં મદદ મળશે.
કેબિન ધારકોને ₹25 હજારની સહાય
40 ફૂટ સુધીની કેબિન ધરાવતા નાના વેપારીઓને ₹25,000ની આર્થિક સહાય આપવામાં આવશે. સરકારનો હેતુ નાના વેપારીઓને ઝડપથી ફરી ઉભા કરવામાં મદદ કરવાનો છે.
વેપારીઓ માટે ₹30 લાખ સુધીની લોન
જીએસટી રિટર્ન ભરતા પાકી દુકાન ધારકોને ત્રણ વર્ષ માટે વિશેષ લોન યોજના હેઠળ સહાય આપવામાં આવશે. જે વેપારીઓનું વાર્ષિક ટર્નઓવર ₹15 લાખથી વધુ હશે તેઓ ₹30 લાખ સુધીની લોન મેળવી શકશે.
પાણી ભરાયેલા ઘર અને દુકાનોને ટેક્સમાં રાહત
જેમના ઘર અથવા દુકાનોમાં વરસાદી પાણી ભરાયા હશે, તેઓને વીડિયોગ્રાફીના આધારે એક વર્ષ માટે સંબંધિત ટેક્સમાં રાહત આપવામાં આવશે. સરકાર દ્વારા નુકસાનનું પારદર્શક મૂલ્યાંકન કરીને લાભ આપવામાં આવશે.
જીએસટી રિટર્ન ભરનાર વેપારીઓને મળશે સહાય
સરકારે સ્પષ્ટ કર્યું છે કે નિયમિત રીતે જીએસટી રિટર્ન ભરતા વેપારીઓને સહાયની રકમ ચૂકવવામાં આવશે, જેથી નુકસાનની ભરપાઈ કરવામાં મદદ મળી શકે.
19 હજારથી વધુ પરિવારોને સહાય ચૂકવાઈ
હર્ષ સંઘવીએ જણાવ્યું કે અત્યાર સુધીમાં 19 હજારથી વધુ નાગરિકોને કેશડોલ અને ઘરવખરીની સહાય ચૂકવવામાં આવી છે. અસરગ્રસ્ત પરિવારોને ઝડપથી રાહત મળે તે માટે અધિકારીઓને ઘરવખરીની સહાય તાત્કાલિક પહોંચાડવાના નિર્દેશ આપવામાં આવ્યા હતા.
અન્ય મહાનગરોમાંથી પણ સુરતમાં મોકલાઈ ટીમો
સુરત ખાડી પૂરની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યના અન્ય મહાનગરોમાંથી પણ અધિકારીઓ અને કર્મચારીઓની ટીમો સુરત મોકલવામાં આવી છે. રાહત અને પુનઃસ્થાપન કામગીરી ઝડપથી પૂર્ણ થાય તે માટે વિવિધ વિભાગો વચ્ચે સંકલન કરીને કામગીરી કરવામાં આવી રહી છે.





















