ગુજરાત સરકારના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગમાં અત્યાર સુધીનો સૌથી મોટો વહીવટી ફેરફાર જોવા મળ્યો છે. રાજ્યના વિકાસ કમિશનર સંદીપ કુમારે પંચાયત સેવાના માળખાને વધુ મજબૂત અને ઝડપી બનાવવા માટે એકસાથે 150 જેટલા અધિકારીઓના બદલી અને બઢતીના આદેશ જારી કર્યા છે. આ આદેશ અંતર્ગત 118 તાલુકા વિકાસ અધિકારીઓ (TDO - વર્ગ 2) ને એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે, જ્યારે 32 જેટલા વિસ્તરણ અધિકારીઓને વર્ગ-2 માં પ્રમોશન આપીને નવી જગ્યાએ TDO તરીકે બેસાડવામાં આવ્યા છે. આ મોટા પાયે થયેલા ફેરફારથી રાજ્યના પંચાયતી વહીવટમાં નવી ઊર્જા આવવાની અને અટકેલા વિકાસ કાર્યોને વેગ મળવાની પૂરી શક્યતા છે.
118 TDO ની આંતરિક બદલીઓનું લિસ્ટ
વહીવટી કારણોસર રાજ્યના અલગ-અલગ તાલુકાઓમાં ફરજ બજાવતા 118 TDO ની આંતરિક બદલી કરવામાં આવી છે. આ યાદીમાં કેટલાક મહત્વના નામો પર નજર કરીએ તો:
જી. બી. બારડ: તળાજા (ભાવનગર) થી અમરેલી
પી. એસ. ચૌધરી: વડનગર (મહેસાણા) થી સિદ્ધપુર (પાટણ)
એસ. જી. પાટીલ: ખેરગામ (નવસારી) થી પારડી (વલસાડ)
ડી. ડી. પટેલ: જોટાણા (મહેસાણા) થી ચાણસ્મા (પાટણ)
શ્રીમતી ડી. એચ. જોષી: ઉના (ગીર સોમનાથ) થી ખંભાળિયા (દેવભૂમિ દ્વારકા)
આર. એસ. ડામોર: ખેડબ્રહ્મા (સાબરકાંઠા) થી દાંતીવાડા (બનાસકાંઠા)
પી. બી. બુલાત: પલસાણા (સુરત) થી જેતપુર (રાજકોટ)
બી. જે. જોષી: ધાનેરા (બનાસકાંઠા) થી મોડાસા (અરવલ્લી)
આ ઉપરાંત એસ. આર. ડામોર (અબડાસાથી ખેરગામ), વી. એ. ગોહિલ (ગઢડાથી કલ્યાણપુર), એમ. જે. ચાવડા (ગારિયાધારથી ગઢડા), એન. બી. મોઢ (ભીલોડાથી વિજયનગર), એમ. એન. પટેલ (મહેસાણાથી પાટણ), શ્રીમતી એમ. એમ. ગાંગાણી (જેતપુરથી ગોંડલ), ડી. જી. ગઢીયા (કોટડા સાંગાણીથી લોધિકા) અને એમ. એચ. કટારા (ભરૂચથી કપડવંજ) ની પણ બદલી કરવામાં આવી છે. સાથે જ સી. પી. ચૌહાણ (લીમખેડા), કે. એન. ગાધે (તળાજા), આર. એચ. હડીયલ (ધ્રાંગધ્રા), કે. બી. ખીમાણી (ચોટીલા), એન. આર. સોલંકી (માંડવી-સુરત) અને પી. એમ. સાંગાણી (પલસાણા) સહિત કુલ 118 અધિકારીઓને નવા તાલુકાઓનો ચાર્જ સોંપાયો છે.
32 વિસ્તરણ અધિકારીઓને મળ્યું પ્રમોશન
બદલીઓની સાથે સાથે સરકારે 32 વરિષ્ઠ વિસ્તરણ અધિકારીઓને વર્ગ-2 ના તાલુકા વિકાસ અધિકારી (TDO) તરીકે બઢતી પણ આપી છે. પ્રમોશન મેળવનાર અધિકારીઓમાં કે. એમ. રાવલને લખપત, કે. એમ. પનારાને વડનગર, જે. આર. સંઘાણીને કાલાવડ, વી. એસ. ડામોરને શહેરા, એમ. એમ. મોઢને શંખેશ્વર અને શ્રીમતી ડી. જે. પરમારને સંતરામપુર ખાતે નવી જવાબદારી સોંપવામાં આવી છે.
તાત્કાલિક અસરથી હાજર થવાનો આદેશ
આ બદલી અને બઢતીના આદેશમાં સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે, જે અધિકારીઓની બદલી થઈ છે અથવા જેમને પ્રમોશન મળ્યું છે, જો તેઓ કોઈ ચૂંટણીલક્ષી કામગીરીમાં જોડાયેલા ન હોય કે તેમના પર અન્ય કોઈ વહીવટી રોક ન હોય, તો તેમણે તાત્કાલિક અસરથી પોતાની જૂની જગ્યાએથી છૂટા થઈને નવી જગ્યાએ ચાર્જ સંભાળી લેવાનો રહેશે.
