Gujarat farmer compensation circular: ગુજરાતના ખેડૂતો માટે એક ખૂબ જ રાહતના અને ખુશીના સમાચાર આવ્યા છે. રાજ્ય સરકારે ખેતરમાંથી પસાર થતી વીજ લાઇન અને ટાવરના વળતરમાં મોટો વધારો કરવાનો જે ખેડૂત હિતલક્ષી નિર્ણય લીધો હતો, તેનો સત્તાવાર પરિપત્ર માત્ર 24 કલાકમાં જ જાહેર કરી દેવામાં આવ્યો છે. સામાન્ય રીતે સરકારી કામકાજમાં વહીવટી પ્રક્રિયાઓ પૂર્ણ થવામાં ઘણો સમય લાગતો હોય છે, પરંતુ આટલી ઝડપી કાર્યવાહી સરકારની ખેડૂતો પ્રત્યેની સંવેદનશીલતા અને તત્પરતા દર્શાવે છે.
વડાપ્રધાનની મુલાકાત વચ્ચે પણ વહીવટી તંત્ર દોડતું રહ્યું
આ મહત્વપૂર્ણ પરિપત્ર એવા સમયે બહાર પાડવામાં આવ્યો છે જ્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે છે અને તેના કારણે સમગ્ર વહીવટી તંત્ર અત્યંત વ્યસ્ત છે. આમ છતાં, ખેડૂતોના કામમાં સહેજ પણ વિલંબ ન થાય તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સીધા માર્ગદર્શન હેઠળ તંત્ર સતત કાર્યરત રહ્યું હતું. મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, વિવિધ વિભાગોના મંત્રીઓ અને સચિવો વચ્ચે અદભુત સંકલન જોવા મળ્યું, જેના લીધે આ રેકોર્ડ બ્રેક સમયમાં પરિપત્ર જાહેર થઈ શક્યો છે.
ખેડૂતોની વર્ષો જૂની માંગણીને મળી મોટી સફળતા
રાજ્યના ખેડૂતો લાંબા સમયથી માંગ કરી રહ્યા હતા કે તેમને જમીનનું વળતર જૂના જંત્રી દર પ્રમાણે નહીં, પણ હાલના બજાર ભાવ મુજબ મળવું જોઈએ. સરકારે જગતના તાતની આ ન્યાયિક માંગણીને ખુલ્લા મને સ્વીકારી લીધી છે. આ નવા નિર્ણયથી જે ખેડૂતોના ખેતરમાંથી હાઈવોલ્ટેજ વીજ લાઈનો કે મોટા ટાવરો પસાર થાય છે, તેમને આર્થિક નુકસાની વેઠવી નહીં પડે.
આ પણ વાંચોઃ મોરબીના જેતપરના ખેડૂતોએ સરકારનું આમંત્રણ ફગાવ્યું: "પહેલા લેખિતમાં આપો, પછી જ વાતચીત"
જંત્રીના બદલે હવે પ્રવર્તમાન બજાર ભાવના બમણા દરે વળતર
સરકારના નવા નિયમ મુજબ, હવેથી ખેડૂતોને જૂની જંત્રીના બદલે પ્રવર્તમાન બજાર ભાવના બમણા એટલે કે 2 ગણા દરે માતબર વળતર ચૂકવવામાં આવશે. આ એક ખૂબ જ ઉદાર અને ઐતિહાસિક નિર્ણય છે, જેનાથી રાજ્યના હજારો ખેડૂતોને સીધો અને મોટો આર્થિક ફાયદો થશે. ખેતીની જમીનની કિંમત હવે બજાર મૂલ્યના આધારે નક્કી થવાથી ખેડૂતો સમૃદ્ધ બનશે.
વચન આપીને ત્વરિત નિભાવતી પ્રો-એક્ટિવ સરકાર
રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, આ સરકાર માત્ર જાહેરાતો કરવામાં નહીં પરંતુ તેના ઝડપી અમલીકરણમાં માને છે. માત્ર 1 જ દિવસમાં આટલા મોટા નિર્ણયનો સત્તાવાર પરિપત્ર બહાર પાડીને રાજ્ય સરકારે ફરી એકવાર સાબિત કર્યું છે કે તે ખરા અર્થમાં ખેડૂતોના પડખે અડીખમ ઊભી છે. આ ત્વરિત કાર્યશૈલીથી ખેડૂત સંગઠનોમાં પણ આનંદની લાગણી વ્યાપી ગઈ છે.
