જામનગરઃ રૂપાણી સરકારમાં મંત્રી હકુભા જાડેજા સામે ભૂમાફિયા અને અસામાજિકતત્વો સાથે સંબંધો હોવાના પ્રસારિત થયેલા અહેવાલો પછી આજે મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા ઉર્ફે હકુભા જાડેજાએ પત્રકાર પરીષદ સંબોધી હતી અને પોતાના પર થઈ રહેલ આક્ષેપોને મંત્રીએ પાયાવિહોણા ગણાવ્યા હતા.


તેમણે જણાવ્યું હતું કે, કેટલાક હિત શત્રુઓ દ્વારા રાજકીય રીતે પછાડી દેવા પરદા પાછળ રમત રમી રહ્યા છે. મેં સામેથી સીએમ અને પ્રદેશ પ્રમુખ પાસે મારા પર થયેલ આક્ષેપ અંગે તપાસની માંગણી કરી છે. જયેશ પટેલ કે અન્ય કોઈ અસમાજિક તત્વો સાથે કોઈ મારો સબંધ નથી. મેં મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખની અનુમતિ બાદ આજે પત્રકાર પરિષદ કરી છે. રાજ્ય સરકારને મેં કહ્યું છે કે તપાસ થાય અને દૂધનું દૂધ પાણીનું પાણી કરે.