Ambalal Patel Weather Forecast: ગુજરાતમાં વરસાદની કાગડોળે રાહ જોઈ રહેલા લોકો અને ખેડૂતો માટે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. અષાઢી બીજ એટલે કે રથયાત્રાના પાવન અવસર પર વરસાદ કેવો રહેશે અને જુલાઈ મહિનામાં કઈ તારીખે કયા વિસ્તારોમાં મેઘમહેર થશે, તેની વિસ્તૃત માહિતી તેમણે આપી છે. ખેડૂતો માટે ખાસ રાહતના સમાચાર એ છે કે 20 જુલાઈ પછીનો વરસાદ કૃષિ પાકો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થવાનો છે.
રથયાત્રા પર કેવો રહેશે વરસાદી માહોલ?
અષાઢી બીજના દિવસે ગુજરાતના ઘણા ભાગોમાં અને ખાસ કરીને અમદાવાદના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ કે છાંટા પડવાની પૂરી શક્યતા છે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, 13, 14 અને 15 જુલાઈના રોજ જો આકાશમાં વીજળીના કડાકા જોવા મળશે, તો રથયાત્રાના દિવસે અચૂક વરસાદ પડશે. હાલમાં પવનની ગતિ વધુ હોવાથી જમીનમાંથી ભેજ ઉડી રહ્યો છે અને ખેડૂતોને સિંચાઈની જરૂર પડી રહી છે, પરંતુ કેટલાક વિસ્તારોમાં પડતા વરસાદી ઝાપટાં ખેડૂતોને રાહત આપશે.
બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય, ક્યાં થશે અસર?
13 અને 14 જુલાઈ દરમિયાન બંગાળની ખાડીમાં એક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ રહી છે, જેની વધુ અસર પૂર્વ ભારત એટલે કે બિહાર, પશ્ચિમ બંગાળ અને આસામમાં જોવા મળશે. હવામાન વિજ્ઞાનની એક રસપ્રદ માહિતી આપતા અંબાલાલ પટેલ કહે છે કે, જ્યારે પૂર્વમાં (આસામમાં) ભારે વરસાદ હોય છે ત્યારે પશ્ચિમ ભારતમાં (ગુજરાત-સિંધ) વરસાદનું પ્રમાણ ઘટે છે અને તેનાથી ઉલટું પણ થાય છે. જોકે, 17 થી 18 જુલાઈ બાદ બંગાળની ખાડીમાં બીજી એક મજબૂત સિસ્ટમ સક્રિય થશે, જે ગુજરાતમાં સારો વરસાદ લાવશે.
આ પણ વાંચોઃ Gujarat Rain Forecast: આગામી 24 કલાકમાં ક્યાં વરસી શકે છે વરસાદ? જુઓ હવામાન વિભાગની આગાહી
19 થી 30 જુલાઈ વચ્ચે ગુજરાતમાં ક્યાં-ક્યાં પડશે વરસાદ?
આ નવી સિસ્ટમની અસર ગુજરાતમાં સ્પષ્ટપણે જોવા મળશે. તબક્કાવાર વરસાદની આગાહી નીચે મુજબ છે:
19 થી 22 જુલાઈ: ઉત્તર, દક્ષિણ, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાશે.
22 થી 24 જુલાઈ: દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે. આ જ સિસ્ટમની અસરથી 24 થી 26 જુલાઈ વચ્ચે મુંબઈ અને મહારાષ્ટ્રમાં પણ ભારે વરસાદ પડી શકે છે.
27 થી 30 જુલાઈ: આ દિવસોમાં ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની સંભાવના છે. પશ્ચિમ સૌરાષ્ટ્ર (દ્વારકા, પોરબંદર, જામનગર), ઉત્તર સૌરાષ્ટ્ર (રાજકોટ), કચ્છ, મધ્ય ગુજરાત (અમદાવાદ, ગાંધીનગર, વડોદરા) તેમજ ઉત્તર અને પૂર્વ ગુજરાત (બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ) ના તમામ વિસ્તારોમાં સારો એવો વરસાદ પડશે.
આ પણ વાંચોઃ Ambalal Patel: આ તારીખથી વરસાદ ફરી કરશે ધમાકેદાર બેટિંગ, અંબાલાલ પટેલની નવી આગાહી
ખેડૂતો માટે ખાસ જાણવા જેવી વાત
જે ખેડૂતો સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે, તેમના માટે જુલાઈનો અંતિમ સપ્તાહ જીવાદોરી સમાન બનશે. કૃષિ કાર્યો માટે 20 જુલાઈ પછીનું વરસાદી પાણી ખૂબ જ અમૃત સમાન ગણાય છે. ઓગસ્ટની શરૂઆતમાં પણ સારો વરસાદ થવાની અપેક્ષા છે. પુનર્વસુ અને પુષ્ય નક્ષત્ર અંગે લોકવાયકા વર્ણવતા તેમણે કહ્યું કે, આ બંને નક્ષત્રો 'વાયલા' (પવન લાવનારા) ગણાય છે. જો આ નક્ષત્રોમાં વરસાદ ન વરસે તો ભારે પવન ફૂંકાય છે, પરંતુ આ વખતે વરસાદની ખૂબ જ સારી શક્યતાઓ જણાઈ રહી છે.
