Gujarat primary teachers medical reimbursement: ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે રાજ્યના હજારો શિક્ષકો માટે એક ખૂબ જ મહત્વનો અને રાહત આપનારો નિર્ણય લીધો છે. 3 ઓગસ્ટ 2026 ના રોજ જાહેર કરાયેલા એક નવા ઠરાવ મુજબ, હવેથી રાજ્યની અનુદાનિત (ગ્રાન્ટ-ઇન-એઇડ) ખાનગી પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકોને પણ સરકારી કર્મચારીઓની જેમ જ 'મેડિકલ રિઇમ્બર્સમેન્ટ' એટલે કે તબીબી સારવારના ખર્ચની ચૂકવણીનો લાભ આપવામાં આવશે. આ ઐતિહાસિક નિર્ણયથી પ્રાથમિક શિક્ષકોને મોટી આર્થિક સુરક્ષા મળી છે અને આ નવો નિયમ ઠરાવ જાહેર થયાની તારીખથી જ સમગ્ર રાજ્યમાં અમલમાં પણ આવી ગયો છે.
અગાઉના નિયમો પર નજર કરીએ તો, વર્ષ 1980 માં થયેલા એક ઠરાવ મુજબ આ મેડિકલ રિઇમ્બર્સમેન્ટનો લાભ માત્ર અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષકો અને કર્મચારીઓને જ મળતો હતો. પ્રાથમિક શાળાના શિક્ષકો લાંબા સમયથી આ લાભથી વંચિત હતા. આ અસમાનતા દૂર કરવા અને પ્રાથમિક શિક્ષકોના હિતને ધ્યાનમાં રાખીને, પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા એપ્રિલ 2024 માં ખાનગી પ્રાથમિક શાળાના શિક્ષકોને પણ આ સુવિધા આપવા માટે એક વિશેષ દરખાસ્ત સરકારમાં રજૂ કરવામાં આવી હતી.
આ દરખાસ્ત પર ગંભીરતાથી વિચારણા કર્યા બાદ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તેમજ નાણા વિભાગની સત્તાવાર સહમતી લેવામાં આવી હતી અને અંતે સરકારે આ બાબતે આખરી મંજૂરીની મહોર મારી દીધી છે. તમને જણાવી દઈએ કે, આ લાભ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના 'ગુજરાત રાજ્ય સેવા (તબીબી સારવાર) નિયમો, 2015' અંતર્ગત મંજૂર કરવામાં આવ્યો છે. સરળ શબ્દોમાં કહીએ તો, હવે જે ધોરણે સરકારી કર્મચારીઓને મેડિકલ બિલ પાસ કરવાની સુવિધા મળે છે, બરાબર એ જ રીતે અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાના શિક્ષકોને પણ તેમના તબીબી સારવારના ખર્ચનું રિઇમ્બર્સમેન્ટ મળી શકશે.
આ પણ વાંચોઃ ગુજરાતમાં 3,966 શિક્ષકોની બમ્પર ભરતી જાહેર; જાણો કઈ પોસ્ટ માટે ક્યારથી ભરાશે ફોર્મ?
આ અંગેનો સત્તાવાર ઠરાવ શિક્ષણ વિભાગના સેક્શન અધિકારી આર. જે. ચૌધરી દ્વારા રાજ્યપાલશ્રીના આદેશથી બહાર પાડવામાં આવ્યો છે. રાજ્ય સરકારના આ સકારાત્મક અને સંવેદનશીલ નિર્ણયથી ગુજરાતભરની અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા હજારો શિક્ષકોને માંદગીના કપરા સમયે મોટી આર્થિક રાહત અને આરોગ્યલક્ષી સુરક્ષાની ખાતરી મળી છે.
