Gujarat Rain: કચ્છ જિલ્લામાં ભારે વરસાદના પગલે  ખાસ કરીને અસરગ્રસ્ત  માંડવી શહેરના બાબાવાડી વિસ્તારની આજરોજ પ્રભારી મંત્રી પ્રફુલ પાનશેરિયાએ મુલાકાત લઈ સ્થળાંતરિત કરાતા નાગરિકોના ખબર અંતર પૂછી લોકો સાથે સંવાદ સાધ્યો હતો. તેમજ રાહત - બચાવ તથા આશ્રયસ્થાનોમાં  વ્યવસ્થાપન કામગીરીની સમીક્ષા કરી હતી.




કચ્છ જિલ્લામાં પડેલા અનરાધાર વરસાદના પગલે જિલ્લાના તમામ  વિસ્તારો અસરગ્રસ્ત થયા છે. જેના  કારણે તંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારમાંથી લોકોનું સલામત સ્થળે સ્થળાંતર તેમજ રેસ્ક્યુ કામગીરી કરવામાં આવી છે. માંડવી તાલુકામાં  છેલ્લા ૫ દિવસમાં પડેલા રાજ્યના સૌથી વધુ વરસાદના પગલે જનજીવન ખોરવાયું છે. ખાસ કરીને માંડવીના નીચાણવાળા વિસ્તારો તેમજ દરિયાકાંઠાના ગામોમાં પાણી ભરાતાં પ્રભારી મંત્રીએ અસરગ્રસ્ત લોકોની મુલાકાત લઈને તેમની પરિસ્થિતિથી વાકેફ થઈને લોકોને હૈયાધારણા આપી હતી. આ પ્રસંગે રાજ્ય સરકાર મદદરૂપ થવા કટિબદ્ધ હોવાની ખાત્રી આપીને બાબાવાડી ખાતે સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા.


 નાગરિકો સાથે વાત કરતા મંત્રીએ જણાવ્યું હતું કે, હાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સુચના અનુસાર રેડ એલર્ટ હોવાથી અત્યારે જાનમાલની સલામતી અને ઝીરો કેઝ્યુઅલીટી માટે કામગીરી કરવામાં આવી રહી છે. વરસાદ બંધ થાય અને પાણી ઓસરવા લાગે એટલે તરત જ સર્વે કરવામાં આવશે અને સર્વે બાદ સરકાર દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવશે. 




ઉપરાંત વીજ પુરવઠા વિશે પણ મંત્રીએ જણાવ્યું હતું કે સ્થિતિ સામાન્ય થતા જ વીજ પુરવઠો પૂર્વવત કરી દેવામાં આવશે. ઉપરાંત હાલ પણ પીજીવીસીએલની ટીમો દ્વારા ખોરવાયેલો વીજ પુરવઠો પૂર્વરત કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. તેમણે  વધુમાં વાવાઝોડાની આગાહીને પગલે તંત્ર દ્વારા નક્કી કરવામાં આવેલા આશ્રયસ્થાન પર લોકોને સલામતી માટે સ્થળાંતરિત થવા અનુરોધ કરીને સ્થળાંતરમાં લોકોને મદદરૂપ બન્યા હતા.


સ્થળાંતર થતા નાગરિકો પૈકી એક પરિવારની નાનકડી બાળકી બીમાર હોવાથી તેને તત્કાલ અસરથી આર્મીની એમ્બ્યુલન્સમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. આ બાળકી તેમજ પરિવારની પ્રભારી મંત્રી એ ખબર અંતર પૂછીને કોઈ પ્રકારની ચિંતા ન કરવા હૈયાધારણા આપી હતી.


આ મુલાકાત વેળાએ પ્રભારી મંત્રીએ, મામલતદાર તથા અન્ય અધિકારીઓ સાથે બેઠક યોજીને વાવાઝોડાની આગાહીને પગલે રાહત બચાવ તેમજ સ્થળાંતર સહિતની કામગીરીના આગોતરા આયોજન માટે ખાસ સુચના આપી હતી. માંડવી તાલુકામાં છેલ્લા પાંચ દિવસથી વરસતા વરસાદ વચ્ચે તાલુકામાં સ્થળાંતર, રાહત -બચાવ, ડેમ તેમજ અન્ય કામગીરીની માહિતી મેળવીને સમીક્ષા કરી હતી. સતત વરસાદના પગલે ખાસ કરીને પાપડી, કોઝવે વગેરે બંધ રાખવા તેમજ પોલીસ બંદોબસ્ત ગોઠવવા જણાવ્યું હતું. ઉપરાંત અસરગ્રસ્ત ગ્રામ્ય તેમજ સ્લમ વિસ્તારોમાં તત્કાલ અસરથી ફૂડ પેકેટનું વિતરણ શરૂ કરવા માટે તથા વાવાઝોડાની આગાહીના પગલે જોખમી વિસ્તાર તેમજ કાચા મકાન ધરાવતા વિસ્તારના લોકોને અગમચેતીના ભાગરૂપે સલામત સ્થળે ખસેડવા ખાસ સુચના આપી હતી. 


આ પણ વાંચો...


ભારે વરસાદની વચ્ચે રાજ્યના આ જિલ્લામાં વાવાઝોડાનું જોખમ, વરસાદી તોફાનની આગાહી