Gujarat rain live updates: સુરતના માંગરોળમાં જળબંબાકાર, અનેક ગામો સંપર્ક વિહોણા થયા
Gujarat rain live updates: ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન મેઘરાજાએ જોરદાર બેટિંગ કરતાં જનજીવન પર વ્યાપક અસર જોવા મળી છે.
LIVE

Background
Gujarat rain live updates: ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન મેઘરાજાએ જોરદાર બેટિંગ કરતાં જનજીવન પર વ્યાપક અસર જોવા મળી છે. રાજ્યના કુલ 195 તાલુકામાં વરસાદ નોંધાયો છે. તેમાં 15 તાલુકામાં 7થી 18 ઈંચ સુધીનો અતિભારે વરસાદ વરસ્યો છે, જ્યારે 38 તાલુકામાં 2થી 6.50 ઈંચ સુધી વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં પાણી ભરાવા, નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર અને વાહન વ્યવહાર પર અસર જેવી સ્થિતિ સર્જાઈ છે.
રાજ્યમાં સૌથી વધુ વરસાદ સુરત જિલ્લાના પલસાણામાં 18.19 ઈંચ નોંધાયો છે. ત્યારબાદ કામરેજમાં 17.40 ઈંચ અને નવસારીમાં 15.28 ઈંચ વરસાદ વરસ્યો છે. સુરત શહેરમાં પણ 14.09 ઈંચ વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી. વલસાડ જિલ્લાના કપરાડામાં 12.68 ઈંચ, નવસારીના જલાલપોરમાં 11.02 ઈંચ તેમજ સુરતના બારડોલીમાં 9.37 ઈંચ વરસાદ નોંધાયો છે.
અન્ય વિસ્તારોની વાત કરીએ તો ડોલવણમાં 8.90 ઈંચ, સુરતના મહુવામાં 8.86 ઈંચ અને ડાંગ જિલ્લામાં પણ 8.86 ઈંચ વરસાદ નોંધાયો છે. ગણદેવીમાં 7.72 ઈંચ, વાલોડમાં 7.44 ઈંચ અને ચીખલીમાં 7.36 ઈંચ વરસાદ વરસ્યો છે. વ્યારામાં 6.65 ઈંચ, નાનાપોંઢામાં 6.38 ઈંચ, ઉમરપાડામાં 6.34 ઈંચ અને ચોર્યાસીમાં 6.26 ઈંચ વરસાદ નોંધાયો છે.
વધુમાં ધરમપુરમાં 5.98 ઈંચ, સોનગઢમાં 5.71 ઈંચ, વાંસદામાં 5.67 ઈંચ, વઘઈમાં 5.35 ઈંચ અને ખેરગામમાં 5.31 ઈંચ વરસાદ નોંધાયો છે. પારડીમાં 4.92 ઈંચ, માંડવીમાં 4.88 ઈંચ, ઉકાઈમાં 4.72 ઈંચ અને વલસાડમાં 4.02 ઈંચ વરસાદ વરસ્યો છે. નેત્રંગમાં 3.66 ઈંચ, નાંદોદમાં 3.58 ઈંચ, દહેગામમાં 3.50 ઈંચ, ડેડીયાપાડામાં 3.43 ઈંચ વરસાદ નોંધાયો છે.
આ ઉપરાંત ઓલપાડમાં 3.07 ઈંચ, વાગરામાં 2.99 ઈંચ, ઉમરગામમાં 2.95 ઈંચ, પ્રાંતિજમાં 2.87 ઈંચ, ધનસુરામાં 2.83 ઈંચ અને હાંસોટમાં 2.76 ઈંચ વરસાદ નોંધાયો છે. સતત વરસી રહેલા વરસાદને પગલે અનેક નદી-નાળાઓમાં જળસ્તર વધ્યું છે અને સ્થાનિક તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં સતર્કતા રાખવા તેમજ જરૂરી સાવચેતીના પગલાં લેવા લોકોને અપીલ કરવામાં આવી રહી છે.
મોરબીના જેતપર ગામે ઉપવાસ છાવણીમાં 12 જિલ્લાના ખેડૂતો અને સરપંચની બેઠક મળી
મોરબીના જેતપર ગામે ઉપવાસ છાવણીમાં 12 જિલ્લાના ખેડૂતો અને સરપંચની બેઠક મળી છે. ખેડૂત આંદોલન પાર્ટ-3 શરૂ કરવાને લઈ 2 દિવસની બેઠક મળી હતી. 2 દિવસ દરમિયાન સૂચનો એકત્ર કરીને આગળની રણનીતિ તૈયાર કરાશે. રાજ્ય સ્તરે પણ એક કમિટી બનાવવા અંગે ચર્ચા કરાઈ છે.
સુરતના માંગરોળમાં જળબંબાકાર, અનેક ગામો સંપર્ક વિહોણા થયા
દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાના રૌદ્ર સ્વરૂપ વચ્ચે સુરત જિલ્લાના માંગરોળ પંથકમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે કીમ નદીમાં પાણીની ભારે આવક થઈ છે, જેના લીધે માંગરોળનો વેલછાથી સેંથી ગામને જોડતો મહત્વનો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. કોઝવે પર પાણી ફરી વળતા આ માર્ગ વાહન વ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે.






















