અમદાવાદ: ગુજરાત એસ.ટી નિગમ દ્વારા દિવાળીના તહેવારને લઈ ખાસ આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે 6 હજાર 240 ટ્રીપ સંચાલન કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. સુરત તરફથી માત્ર સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને પંચમહાલ તરફનું સંચાલન કરવામાં આવશે. અન્ય જિલ્લામાંથી દાહોદ, ગોધરા, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાતનું સંચાલન થશે.


બસ કેપિસિટીના 75 ટકા પ્રવાસીઓ સાથે મુસાફરી થઈ શકશે. નિગમ દ્વારા દિવાળીના તહેવારો દરમિયાન રાજ્યના વિવિધ જિલ્લાના મુસાફરો તેમજ સુરત ખાતેના રત્ન કલાકારોને તેઓના વતનમાં જવા એસ.ટી. બસ સુવિધા પૂરી પાડવા અન્વયે એક્સ્ટ્રા સંચાલનનું આયોજન કરવામાં આવેલ છે.

સુરતથી ફક્ત સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને પંચમહાલ તથા અન્ય જિલ્લાઓમાંથી દાહોદ, ગોધરા, ઉત્તર અને દક્ષિણ ગુજરાતનું સંચાલન હાથ ધરવામાં આવશે. આગામી દિવાળીના તહેવારો નિમિત્તે યોજવામાં આવનાર એકસ્ટ્રા સંચાલન દરમિયાન મુસાફરો પાસેથી એક્સ્ટ્રા સંચાલનના નિયમોનુસાર ભાડાની વસૂલાત કરી રાજય સરકારની કોવીડ-19 અન્વયેની માર્ગદર્શિકાને ધ્યાને લઇ 75 ટકા બેઠક વ્યવસ્થા મુજબ સંચાલન હાથ ધરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

નિગમ દ્વારા રાજ્યના તમામ વિસ્તારના મુસાફરોને એસ.ટી. બસની સુવિધા પૂરી પાડવા અન્વયે 6240 ટ્રીપો થકી 11.77 લાખ કિલોમીટરનું એક્સ્ટ્રા સંચાલન હાથ ધરવાનું આયોજન કરેલ છે. જેનો રાજ્યના અંદાજીત 2.85 લાખ કરતા વધુ મુસાફરો દ્વારા લાભ લેવામાં આવશે.