રાજકોટ: શાળાઓમાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થયાને એક મહિના જેટલો સમય પસાર થઈ જવા છતા વિદ્યાર્થીઓને પુસ્તકો મળ્યા નથી. લાખો વિદ્યાર્થીઓ હજુ પણ પાઠ્યપુસ્તકો વગર અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. શિક્ષણમાં ગુણવત્તા, નવી શિક્ષણ નીતિ અને અભ્યાસક્રમમાં સુધારાની વાતો વચ્ચે મૂળભૂત જરૂરિયાત એવા પાઠ્યપુસ્તકો જ વિદ્યાર્થીઓ સુધી નથી પહોંચ્યા. ABP અસ્મિતાએ શિક્ષણમંત્રીના જુઠ્ઠાણાનો પર્દાફાશ કર્યો છે. શિક્ષણમંત્રીએ ગુજરાતની તમામ શાળાઓમાં પુસ્તકો પહોંચી ગયાનો દાવો કર્યો હતો. ધોરણ 9થી12ની અનેક શાળાઓમાં હજુ સુધી અનેક વિષયના પુસ્તકો નથી પહોંચ્યા છે.
રાજકોટમાં અનેક સ્કૂલોમાં વિદ્યાર્થીઓને પુસ્તકો નથી મળ્યા
ભણશે ગુજરાતની વાતો વચ્ચે પુસ્તકોની નરી વાસ્તવિકતા સામે આવી છે. નવું સત્ર શરૂ થયું છતાં રાજકોટમાં અનેક સ્કૂલોમાં વિદ્યાર્થીઓને પુસ્તકો નથી મળ્યા. ધોરણ 11 અને 12 ના વિદ્યાર્થીઓ પુસ્તકો વગર અભ્યાસ કરી રહ્યા છે. ધોરણ 11 કોમર્સના નામના મૂળ તત્વો ભાગ -1,વાણિજય વ્યવસ્થા,SPCC ના પુસ્તકો નથી મળ્યા. ધોરણ 11 સાયન્સના રસાયણ વિજ્ઞાન ભાગ -1 અને 2, ભૌતિક ભાગ -2,જીવ વિજ્ઞાન,ગણિત ના પુસ્તકો નથી મળ્યા.
આ સિવાય ધોરણ 12 કોમર્સના નામાના મૂળ તત્વો ભાગ 1-2, આંકડા શાસ્ત્ર ભાગ 1 અને 2, ગુજરાતી, બી.એ, SPCC,ઇકોનોમિક્સના પુસ્તકો હજુ મળ્યા નથી. ધોરણ 12 સાયન્સના જીવવિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન ભાગ-1 અને 2, રસાયણ ભાગ 1 અને 2,ગણિત ભાગ 1 અને 2 ના પુસ્તકો મળ્યા નથી. મોટાભાગની ગ્રાન્ટેડ અને સરકારી સ્કૂલોમાં હજી પુસ્તકો મળ્યા નથી. થોડા દિવસ પહેલા એબીપી અસ્મિતાએ બુક્સ સ્ટોરમાં રિયાલિટી ચેક કર્યું હતું. વિદ્યાર્થીઓ અને વાલીઓની સાથે હાઈસ્કૂલમાં શિક્ષકો ચિંતિત છે.
વિદ્યાર્થીઓ પાઠ્યપુસ્તકો વગર અભ્યાસ કરી રહ્યા છે
રાજ્યમાં ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ પાઠ્યપુસ્તકો વગર અભ્યાસ કરી રહ્યા છે. રાજકોટના વિદ્યાર્થીઓએ પુસ્તકો વગર પોતાની આપવીતી વર્ણવી છે. વિદ્યાર્થીઓએ કહ્યું મોબાઈલમાંથી ભણીએ છીએ.અમુક વિદ્યાર્થીઓ જુના પુસ્તકોમાંથી અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા આપવાની હોય છે. સરકાર અને શિક્ષણ વિભાગની સૌથી મોટી બેદરકારી છે કે ધોરણ 10-12 ના વિદ્યાર્થીઓ હજુ પણ પુસ્તક વગર છે. ધોરણ 10-12 ના વિદ્યાર્થીઓ પુસ્તકો વગર અભ્યાસ કરી રહ્યા છે. વિદ્યાર્થીઓએ સરકારને અપીલ કરી છે કે પુસ્તકો અમને આપવામાં આવે.
દર વર્ષે શૈક્ષણિક સત્ર શરૂ થતાં પહેલાં પાઠ્યપુસ્તકોનું આયોજન અને વિતરણ કરવામાં આવતું હોય છે. ત્યારે આ વર્ષે એવી કઈ પરિસ્થિતિ સર્જાઈ કે શાળાઓ શરૂ થયા પછી પણ વિદ્યાર્થીઓને પુસ્તકો માટે રાહ જોવી પડી રહી છે. શું છાપકામમાં વિલંબ થયો કે પછી વિતરણ વ્યવસ્થામાં કોઈ ગંભીર ખામી સર્જાઈ છે.
