ગુજરાતમાં ચાંદીપુરા વાયરસને લઈને આરોગ્ય વિભાગની ચિંતા વધી રહી છે. રાજ્યમાં વધુ ત્રણ બાળકોમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લક્ષણો જોવા મળતા આરોગ્ય તંત્ર એલર્ટ મોડ પર આવ્યું છે. સૌરાષ્ટ્રના રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લામાં બે બાળકોમાં ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો નોંધાયા છે, જ્યારે કચ્છના ગાંધીધામ નજીક ગળપાદર ગામમાં 10 વર્ષના બાળકમાં પણ સમાન લક્ષણો જોવા મળ્યા છે. ત્રણેય બાળકોના સેમ્પલ ગાંધીનગરની લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે અને આરોગ્ય વિભાગે અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વેલન્સની કામગીરી શરૂ કરી છે.
રાજકોટ અને સુરેન્દ્રનગરમાં શંકાસ્પદ કેસ નોંધાયા
આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ રાજકોટ તાલુકામાં એક બાળક અને સુરેન્દ્રનગર તાલુકામાં એક બાળકમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા છે. બંને બાળકોના સેમ્પલ એકત્ર કરીને ગાંધીનગરમાં આવેલી રાજ્ય સ્તરની લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે. સાથે જ આરોગ્ય વિભાગની ટીમોએ બંને વિસ્તારોમાં પહોંચીને સર્વેલન્સ, ઘર-ઘર મુલાકાત અને સ્થાનિક લોકોને જરૂરી સાવચેતી અંગે માર્ગદર્શન આપવાનું શરૂ કર્યું છે.
રાજ્યમાં અત્યાર સુધી 32 શંકાસ્પદ કેસ
આરોગ્ય વિભાગના આંકડા મુજબ ગુજરાતમાં અત્યાર સુધી ચાંદીપુરા વાયરસના 32 શંકાસ્પદ કેસ નોંધાયા છે. તેમાંથી 7 કેસની પુષ્ટી થઈ છે. જ્યારે આ વાયરસના કારણે અત્યાર સુધી 3 લોકોના મોત નોંધાયા હોવાનું પણ સામે આવ્યું છે. આરોગ્ય વિભાગ તમામ શંકાસ્પદ કેસ પર સતત નજર રાખી રહ્યું છે.
આ પણ વાંચોઃ Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો આતંક, 14 દિવસમાં 32 શંકાસ્પદ કેસ, 3 ના મોત
કચ્છમાં પણ 10 વર્ષના બાળકમાં શંકાસ્પદ લક્ષણો
સૌરાષ્ટ્ર બાદ હવે કચ્છમાં પણ ચાંદીપુરા વાયરસનો શંકાસ્પદ કેસ સામે આવ્યો છે. ગાંધીધામ નજીક આવેલા ગળપાદર ગામના 10 વર્ષના બાળકમાં ચાંદીપુરાના લક્ષણો જોવા મળ્યા છે. બાળકને તાત્કાલિક ગાંધીધામની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે. તેના સેમ્પલ પણ ગાંધીનગરમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે. હાલ બાળકની તબિયત સ્થિર હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું છે.
આરોગ્ય વિભાગ એલર્ટ
ચાંદીપુરાના શંકાસ્પદ કેસોમાં વધારો થતા આરોગ્ય વિભાગે અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વેલન્સની કામગીરી વધુ તેજ કરી છે. તબીબી ટીમો દ્વારા બાળકોના સ્વાસ્થ્ય પર ખાસ નજર રાખવામાં આવી રહી છે. સાથે જ સ્થાનિક લોકોને સ્વચ્છતા જાળવવા, બાળકોને મચ્છર અને જીવાતોથી સુરક્ષિત રાખવા તેમજ તાવ, ઉલટીટી, બેભાન થવું કે અન્ય ગંભીર લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.
