ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા (UCC - યુનિફોર્મ સિવિલ કોડ) લાગુ કરવા માટેની ઘડીઓ હવે ગણાઈ રહી છે. ગુજરાત સરકાર આગામી 24 માર્ચના રોજ વિધાનસભા ગૃહમાં UCC વિધેયક રજૂ કરવા જઈ રહી છે. આ અંગેનો ઐતિહાસિક નિર્ણય ગુજરાત વિધાનસભાની કામકાજ સલાહકાર સમિતિની બેઠકમાં લેવાયો છે. આજે સવારે જ સરકારે પૂર્વ જજ રંજના દેસાઈની અધ્યક્ષતાવાળી કમિટીનો ફાઇનલ રિપોર્ટ સ્વીકાર્યો હતો અને રિપોર્ટ સ્વીકાર્યાની ગણતરીની કલાકોમાં જ આ વિધેયકને ગૃહમાં લાવવાની સરકારે પૂરી તૈયારી દર્શાવી છે. જો બધું જ સમુંસૂતરું પાર પડશે, તો આગામી 4 મહિનામાં જ ગુજરાતમાં UCC નો કાયદો અમલમાં આવી જશે. આ કાયદો લાગુ થવાથી રાજ્યના તમામ ધર્મો અને સમુદાયો માટે લગ્ન, છૂટાછેડા અને વારસાગત મિલકત જેવા મુદ્દાઓ પર એક સમાન કાયદો બની જશે.
રિપોર્ટમાં શું છે ખાસ? મહિલા અધિકારો પર મુકાયો ભાર
UCC ના ડ્રાફ્ટ (અહેવાલ) માં ખાસ કરીને મહિલાઓના સમાન અધિકારો અને તેમની સુરક્ષાને સૌથી વધુ પ્રાથમિકતા આપવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ ડ્રાફ્ટમાં કેટલાક અત્યંત મહત્વપૂર્ણ મુદ્દાઓ આવરી લેવાયા છે:
લિવ-ઇન રિલેશનશિપ: આજના સમયમાં ચર્ચામાં રહેતા 'લિવ-ઇન રિલેશન' અંગે ડ્રાફ્ટમાં કેટલીક મહત્વની અને કડક જોગવાઈઓ કરવામાં આવી છે.
મુસ્લિમ મહિલાઓને રક્ષણ: પરણિત મુસ્લિમ મહિલાઓને લગ્ન જીવનમાં ઊભા થતા વિવાદોમાં વધુ કાનૂની સુરક્ષા આપવા માટે ખાસ ધ્યાન રખાયું છે.
સમાન કાયદાકીય માળખું: લગ્ન, છૂટાછેડા, દત્તક લેવા અને વારસાગત મિલકતના અધિકારો જેવા સંવેદનશીલ મુદ્દાઓ પર હવે તમામ ધર્મો માટે એક સમાન કાયદાકીય માળખું સૂચવવામાં આવ્યું છે.
ગુજરાતની સંસ્કૃતિને પ્રાધાન્ય: આ ડ્રાફ્ટ બનાવતી વખતે ગુજરાતની ભૌગોલિક અને સાંસ્કૃતિક વિવિધતાને પણ ખાસ ધ્યાનમાં રાખવામાં આવી છે.
કેવી રીતે અને ક્યારે તૈયાર થયો આ રિપોર્ટ?
રાજ્યમાં UCC લાગુ કરવા માટે 4 ફેબ્રુઆરી, 2025 ના રોજ 5 સભ્યોની એક ઉચ્ચસ્તરીય કમિટી બનાવવામાં આવી હતી. આ કમિટીને 45 દિવસમાં પોતાનો રિપોર્ટ સબમિટ કરવા જણાવાયું હતું. પૂર્વ જજ રંજના દેસાઈની કમિટીએ છેલ્લા એક વર્ષ દરમિયાન વિવિધ ધર્મો અને જ્ઞાતિના અગ્રણીઓ, કાયદાકીય નિષ્ણાતો અને સામાન્ય જનતાના અભિપ્રાયો મેળવીને એક વિસ્તૃત અભ્યાસ કર્યો હતો. આખરે, આજે મુખ્યમંત્રીના નિવાસસ્થાને કમિટીના સભ્યોએ પોતાનો અંતિમ રિપોર્ટ મુખ્યમંત્રીને સોંપી દીધો છે.
દિલ્હીથી મળી લીલી ઝંડી, હવે શું થશે?
તાજેતરમાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ દિલ્હીમાં કેન્દ્રના ઉચ્ચ નેતાઓ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ જ ગુજરાતમાં UCC લાગુ કરવાની પ્રક્રિયાએ જોર પકડ્યું હતું.
આજે બપોરે દોઢ વાગ્યે મળેલી કામકાજ સલાહકાર સમિતિની બેઠકમાં પણ આ મુદ્દે ગહન ચર્ચા થઈ છે. હવે 17 માર્ચની બેઠકમાં ચર્ચા બાદ સરકાર વિધાનસભાના ચાલુ બજેટ સત્રના અંતમાં (માર્ચના છેલ્લા અઠવાડિયામાં) કુલ 4 વિધેયકો લાવવાની તૈયારીમાં છે, જેમાં UCC નું વિધેયક મુખ્ય હશે.
સરળ ભાષામાં સમજો: UCC શું છે?
યુનિફોર્મ સિવિલ કોડ (UCC) નો સીધો અને સરળ અર્થ એ છે કે દેશ (કે રાજ્ય) ના તમામ નાગરિકો માટે એક સરખો કાયદો હોવો. અત્યારે હિન્દુ, મુસ્લિમ, પારસી કે ખ્રિસ્તી સમુદાયો માટે લગ્ન, છૂટાછેડા અને મિલકતના હક માટે પોતપોતાના અલગ 'પર્સનલ લો' (અલગ કાયદા) છે. પરંતુ UCC લાગુ થવાથી ધર્મના આધારે ચાલતા આ અલગ-અલગ કાયદાઓ ખતમ થઈ જશે અને તમામ ધર્મો અને સમુદાયો માટે સંસદ કે વિધાનસભા દ્વારા નક્કી કરાયેલો એક સમાન કાયદો જ લાગુ પડશે.
