Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી સાત દિવસ દરમિયાન વરસાદી માહોલ યથાવત્ રહેવાની શક્યતા છે. હવામાન વિભાગના અનુમાન મુજબ રાજ્યના અમુક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જોકે હાલ રાજ્યમાં ભારે વરસાદની કોઈ વ્યાપક આગાહી કરવામાં આવી નથી.
આગામી સાત દિવસ કેવું રહેશે હવામાન?
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી એક સપ્તાહ દરમિયાન ગુજરાત રિજનના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાઈ શકે છે. મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને ક્યાંક-ક્યાંક વરસાદી ઝાપટાં પડી શકે છે. ભારે વરસાદની સંભાવના હાલ મર્યાદિત વિસ્તારો પૂરતી જ હોવાનું અનુમાન છે.
અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે
અમદાવાદ શહેરમાં આગામી દિવસોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. દિવસ દરમિયાન આકાશમાં વાદળો છવાયેલા રહેવાની સાથે કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડી શકે છે. વરસાદને કારણે તાપમાનમાં સામાન્ય ઘટાડો નોંધાઈ શકે છે અને લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ હાલ મોનસૂન ટ્રફ બિકાનેર, દિલ્હી, લખનઉ, પટના થઈને પૂર્વ દિશામાં મણિપુર સુધી વિસ્તરેલી છે. ઉપરાંત રાજસ્થાનના ઉત્તર-પૂર્વીય વિસ્તારમાં સાયક્લોનિક સર્ક્યુલેશન પણ સક્રિય છે. આ બંને હવામાન પ્રણાલીઓના કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ ચાલુ રહેવાની શક્યતા છે.
આ પણ વાંચો- Weather update: દેશના 15 રાજ્યોમાં આજે ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
માછીમારો માટે હાલ કોઈ ચેતવણી નહીં
તટીય વિસ્તારોમાં આગામી દિવસોમાં દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમ દિશાના પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે. જોકે હાલ અરબી સમુદ્રમાં માછીમારો માટે કોઈ વિશેષ ચેતવણી જાહેર કરવામાં આવી નથી. તેમ છતાં હવામાનની સ્થિતિમાં ફેરફારને ધ્યાનમાં રાખીને દરિયામાં જતાં પહેલાં સ્થાનિક તંત્ર અને હવામાન વિભાગની લેટેસ્ટ સૂચનાઓ પર નજર રાખવાની સલાહ આપવામાં આવી છે.
અંબાલાલ પટેલની આગાહી
અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, 8 ઓગસ્ટથી ગુજરાતમાં ફરી વરસાદી સિસ્ટમ સક્રિય બનવાની શક્યતા છે. જેના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદનું જોર ફરી વધી શકે છે. તેમણે જણાવ્યું કે ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં હળવાથી લઈને 3થી 4 ઈંચ સુધી વરસાદ પડી શકે છે. વરસાદના કારણે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ પણ સર્જાઈ શકે છે.
આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં પણ સારા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. વરસાદના કારણે નદીઓ અને જળાશયોમાં નવા પાણીની આવક વધવાની સંભાવના છે.અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે સતત વરસાદના કારણે તાપી નદીના જળસ્તરમાં વધારો થઈ શકે છે. તેથી નદીકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સતર્ક રહેવાની જરૂર હોવાનું પણ તેમણે સૂચવ્યું છે.
