Gujarat: ગુજરાતમાં આદિવાસી સમાજને પ્રોત્સાહિત કરવા માટે સરકારે મોટી પહેલ કરી છે, આગામી 9મી ઓગસ્ટે વિશ્વા આદિવાસી દિવસ છે. આ વિશ્વ આદિવાસી દિવસ દિવસને ગુજરાતમાં ધામધૂમથી હરખભેર ઉજવવાનો સરકારે નિર્ણય લીધો છે. મળતી માહિતી પ્રમાણે, આગામી 9મી ઓગસ્ટે ગુજરાતમાં 27 જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવશે. વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી પ્રસંગે તાપીના સોનગઢ ખાતેની વિશ્વ આદિવાસી દિવસ ઉજવણીમાં મુખ્યમંત્રી ખુદ હાજર રહેશે અને આ પ્રસંગમાં ભાગ લેશે. આ ઉપરાંત ત્યાં કેબિનેટ મંત્રી કુબેર ડિંડોર અને રાજ્યકક્ષાના મંત્રી કુંવરજી હળપતિ હજાર રહેશે. વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ગુજરાતમાં કરવામાં આવશે તેથી રાજ્ય મંત્રીમંડળના સભ્યોને પણ વિવિધ તાલુકા કક્ષાની ઉજવણીમાં હાજર રહેશે, સાથે સાથે વિધાનસભાના મુખ્ય દંડક અને દંડક પણ વિવિધ તાલુકાઓની ઉજવણીમાં ભાગ લેશે.


યૂનિફૉર્મ સિવિલ કૉડનો છોટા ઉદેપુરમાં વિરોધ, આદિવાસી સંગઠનોએ કલેક્ટરને આપ્યુ આવેદનપત્ર


કેન્દ્ર સરકારના મહત્વકાંક્ષી કાયદા સમાન નાગરિક સંહિતાનો દેશમાં ઠેર ઠેર વિરોધ થઇ રહ્યો છે, હવે આની અસર ગુજરાતમાં પણ જોવા મળી રહી છે. યૂનિફૉર્મ સિવિલ કૉડના વિરોધમાં છોટાઉદેપુરના વિવિધ આદિવાસી સંગઠનોએ જિલ્લા કલેકટરને આવેદનપત્રો પાઠવ્યા અને વિરોધ નોંધાવ્યો હતો. આ વિરોધ પ્રદર્શનમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ અર્જૂન રાઠવા પણ જોડાયા હતા. 


સરકારે દેશમાં સમાન નાગરિકતા કાયદા લાવવાની તજવીજ હાથ ધરી છે આવામાં આદિવાસી સમાજ દ્વારા કેટલીક જગ્યાએ વિરોધ નોંધવામાં આવી રહ્યો છે, આજે છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી સંગઠનો, ગ્રામ પંચાયતના સરપંચો સહિત સામાજિક આગેવાનો સાથે મોટી સંખ્યામાં આદિવાસીઓ જોડાઈને જિલ્લા કલેકટર કચેરીએ UCC કાયદાના વિરુદ્ધમાં સૂત્રોચાર કર્યા હતા. આદિવાસી સંગઠનો મુજબ યુસીસીના કાયદાથી આદિવાસીઓના હક્કોને નુકસાન પહોંચશે. યુસીસી કાયદો લાગુ ના કરવા સખત શબ્દોમાં રજૂઆતો કરી અને જો કાયદો લાગુ કરવામાં આવશે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ આગેવાનોએ ઉચ્ચારી હતી. મહત્વની વાત એ છે કે યુસીસીની તરફેણમાં આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલે ટેકો જાહેર કર્યો છે તો બીજીબાજુ ગુજરાતના આમ આદમી પાર્ટીના આદિવાસી નેતા અને પ્રદેશ ઉપાધ્યક્ષ અર્જૂન રાઠવાએ UCC કાયદાના વિરોધમાં જોડાઈને પક્ષ કરતાં સમાજ અગ્રેસર હોવાની વાત કરી છે. વધુમાં પ્રદર્શનકારીઓએ સ્થાનિક આદિવાસી ધારાસભ્યો અને સાંસદોને પણ કાયદાનો વિરોધ કરવા આહવાન કરતા જો નહી જોડાય તો તેમના સામે પણ પ્રદર્શન કરવાની ચીમકી ઉચ્ચારી છે.


યુનિફોર્મ સિવિલ કોડ બિલ સંસદના ચોમાસુ સત્રમાં રજૂ કરવામાં આવી શકે છે


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુનિફોર્મ સિવિલ કોડનો ઉલ્લેખ કર્યો ત્યારથી તેના વિશે ચર્ચા ચાલી રહી છે. આ બધાની વચ્ચે સૂત્રોને ટાંકીને માહિતી સામે આવી છે કે મોદી સરકાર ચોમાસુ સત્રમાં સમાન નાગરિક સંહિતાનો પ્રસ્તાવ લાવી શકે છે. જુલાઈમાં ચોમાસુ સત્ર બોલાવવામાં આવશે અને આ અંગેનો અંતિમ નિર્ણય સંસદીય બાબતોની કેબિનેટ સમિતિની બેઠકમાં લેવામાં આવશે.સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, કેન્દ્ર સરકાર વતી સમાન નાગરિક સંહિતાના બિલને સંસદીય સ્થાયી સમિતિને મોકલવામાં આવી શકે છે. જે આ અંગે તમામ હિતધારકો પાસેથી તેમના મંતવ્યો માંગશે. ચોમાસા સત્રમાં યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી)ની રજૂઆત સંસદમાં રાજકીય હોબાળો મચાવશે. જ્યારથી પીએમ મોદીએ UCCનો ઉલ્લેખ કર્યો છે ત્યારથી કોંગ્રેસ સહિત તમામ વિપક્ષી પાર્ટીઓ સતત ભાજપ પર પ્રહારો કરી રહી છે.