અમદાવાદ : પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીના ડ્રિમ પ્રોજેક્ટ હજીરાથી ઘોઘા વચ્ચે રો-પેક્સ ફેરી ટ્રાયલ સમયે બંધ પડ્યું છે. 8મી નવેમ્બરના રોજ લોકાર્પણ પામનારુ રો-રો ફેરી જહાજ શરૂ થતા પૂર્વે ટ્રાયલ રનમાં જ મધદરિયે બંધ પડ્યું છે. એન્જિન અને સ્ટીયરિંગમાં ખામીના લીધે બંધ થયું હોવાનું કહેવાય છે. આઠમી નવેમ્બરે થનારા લોકાર્પણ પર પણ સવાલ ઉઠ્યો છે. જો ટ્રાયલ રનમાં જ આ સ્થિતિ હોય તો શરૂ થયા પછી કેટલી તકલીફ પડી શકે.


આગામી તારીખ 8મી નવેમ્બરથી પ્રધાનમંત્રી મોદીના ડ્રીમ પ્રોજેક્ટ હજીરા-ઘોઘા રો પેકસ ફેરી સર્વિસની શુરુઆત થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રો-પેકસ ફેરીનું વર્ચ્યુઅલ ઉદઘાટન કરશે. જોકે, તે પહેલા આજે રો-પેકસ ફેરીની ટ્રાયલ રાખવામાં આવી હતી.

આ પહેલા પત્રકાર પરિષદમાં મંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે, હજીરાથી ઘોઘા વચ્ચે રો-પેક્સ ફેરીથી સામાન્ય રીતે ૧૦-૧૨ કલાકના મુસાફરી માર્ગનું અંતર ૪ કલાકમાં પૂરું કરી શકાશે. રો-પેક્સથી રોડ પરનું ભારણ ઘટશે, ટ્રાફિક સમસ્યા હળવી બનશે, મુસાફરી સસ્તી થશે અને પર્યાવરણની જાળવણી થશે.

રો-પેક્સ સર્વિસ દિવસમાં ત્રણ રાઉન્ડ ટ્રીપ કરશે. જે મુજબ વર્ષમાં અંદાજે 5 લાખ મુસાફરો, 80 હજાર પેસેન્જર વાહનો, 50 હજાર ટુ-વ્હીલર અને 30 હજાર ટ્રકની અવરજવર શક્ય બનશે. ઘોઘા-હજીરા વચ્ચેનું માર્ગ અંતર લગભગ 370 કિમી છે જે ઘટીને સમુદ્ર રસ્તે માત્ર 90 કિમી જેટલું રહેશે.