Gujarat monsoon update: ગુજરાત હવામાન વિભાગે રાજ્યમાં આગામી 3 કલાક માટે વરસાદનું 'નાઉકાસ્ટ' જાહેર કર્યું છે, જેમાં ભારે, મધ્યમ અને હળવા એમ ત્રણેય પ્રકારના વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યના કેટલાક ભાગોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસવાની સંભાવના છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 3 કલાકમાં સુરેન્દ્રનગર, રાજકોટ અને બોટાદ જિલ્લાઓમાં ગાજવીજ અને ભારે પવન (41 થી 61 કિલોમીટર પ્રતિ કલાકે) સાથે ભારે વરસાદ વરસી શકે છે. આ વિસ્તારોમાં રહેતા લોકોને વિશેષ સાવચેતી રાખવા અપીલ કરાઈ છે.
આ ઉપરાંત, રાજ્યના અન્ય 15 જિલ્લાઓ અને 3 સંઘ પ્રદેશોમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. આ વિસ્તારોમાં કચ્છ, મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, આણંદ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દીવ, દમણ અને દાદરા નગર હવેલી નો સમાવેશ થાય છે.
જ્યારે, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ અને અરવલ્લી જેવા 11 જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે લોકોને વીજળીના કડાકા અને ભારે પવનથી સાવચેત રહેવા તેમજ જરૂર ન હોય તો ઘરની બહાર ન નીકળવા અપીલ કરી છે.
હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં રાજ્યભરમાં હળવાથી મધ્યમ અને અમુક સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જે ચોમાસાની સત્તાવાર શરૂઆતનો સંકેત આપે છે. ખાસ કરીને આગામી ૨૭ જૂને યોજાનારી રથયાત્રા દરમિયાન અમદાવાદમાં વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
વરસાદની આગાહી
- આજની સ્થિતિ: અમદાવાદમાં આજે યલો એલર્ટ સાથે હળવા વરસાદની આગાહી છે. જ્યારે દાહોદ, વડોદરા, નવસારી, સુરત, છોટાઉદેપુર, ગીરસોમનાથ, ભાવનગર અને દ્વારકામાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની શક્યતા છે.
- આગામી ૪ દિવસ: રાજ્યભરમાં વીજળીના કડાકા સાથે વરસાદ પડવાની સંભાવના છે.
- આગામી ૭ દિવસ: ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહેશે.
- ૨૪ થી ૨૭ જૂન: આ સમયગાળા દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે.
વરસાદનું કારણ અને માછીમારોને સૂચના:
સૌરાષ્ટ્ર અને કચ્છમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાવાને કારણે રાજ્યમાં વરસાદી માહોલ બન્યો છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને, ૨૪ જૂન સુધી અને ત્યારબાદ ૨૫ થી ૨૯ જૂન સુધી દરિયાકાંઠાના માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે, જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને.