અમદાવાદઃ ઇસ્કોન (આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત સંઘ)ના નામથી આજે ગુજરાત સહિત દેશમાં ભાગ્યે જ કોઇ અજાણ્યું હશે. ઇસ્કોનના નામને ગુજરાતમાં ગાજતું કરનારા 72 વર્ષીય પ્રમુખ પૂજ્ય જશોમતિનંદનદાસજીનું શનિવારે સાંજે વૈકુંઠગમન થયું છે. રાજ્યમાં 45 વર્ષ સુધી શ્રીકૃષ્ણભક્તિના પ્રચાર-પ્રસાર દરમિયાન 40થી વધુ મંદિર-કેન્દ્રોની સ્થાપના કરાવી હતી.  જશોમતિનંદનદાસજીના નિધનના સમાચાર સાંભળી ભક્તોમાં શોકની લહેર ફરી વળી હતી.


અમદાવાદના એસજી હાઇવે પર આવેલા ઇસ્કોન મંદિરના મીડિયા પ્રભારી હરેશગોવિંદદાસજીએ જણાવ્યું કે ઇસ્કોન-ગુજરાતના પ્રમુખ પૂજ્ય જશોમતિનંદનદાસજીનું વૈકુંઠગમન 24મી ઓક્ટોબર, 2020, નિજ આસો સુદ આઠમ, શનિવારે સાંજે થયું છે. છેલ્લા 10 દિવસથી તેમની તબિયત લથડી હતી. જે બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.તેઓના વૈકુંઠગમનથી ઇસ્કોન-ગુજરાતના સંસ્થાપક, કર્મઠ અને પરમ કૃષ્ણભક્તને ગુમાવ્યા છે.

તેમણે જણાવ્યું કે, જશોમતિનંદનદાસજીએ વર્ષ-1975થી ગુજરાત ઇસ્કોનની સ્થાપનામાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. અમદાવાદમાં એસ.જી.હાઈવે ખાતે વર્ષ-1990ના રોજ પ્રાથમિક સ્તરના મંદિરની સ્થાપના કરી હતી ત્યારબાદ વર્ષ-1997માં વિધિવત્ શિખરબદ્ધ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા થઈ હતી. આજે અમદાવાદ જ નહીં પરંતુ વિદેશમાં પણ  અમદાવાદનું ઇસ્કોન મંદિર વિખ્યાત છે.

તેમણે જણાવ્યું કે પૂજ્ય જશોમતિનંદનદાસજીની પ્રેરણાથી સમગ્ર ગુજરાતમાં ઇસ્કોનની પ્રવૃત્તિઓનો વિકાસ થયો હતો. જે અંતર્ગત સમગ્ર ગુજરાતમાં 40 જેટલા મંદિર અને કેન્દ્રોની સ્થાપના તેઓની પ્રેરણાથી થઈ છે. ખાસ કરીને તેઓની ચૈતન્ય ચરિત્રામૃત ગ્રંથ ઉપર પ્રવચનની હથોટી હોવાથી અનેક વિદ્વાનો પણ તેમને સાંભળવા માટે ઉત્સુક રહેતા હતા. અમદાવાદમાં પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં રથયાત્રા શરૂ કરાવી હતી.

ફોર્ડ મોટરના માલિક આલ્ફ્રેડ ફ્રોડ કે જેઓ હવે પૂજ્ય અંબરીષદાસજી તરીકે જાણીતા છે. તેઓ પૂજ્ય જશોમતિનંદનદાસજીના અંગત સ્નેહી રહ્યા છે અને પૂજ્ય જશોમતિનંદનદાસજીને મળવા અચૂક અમદાવાદ પણ આવતા હતા.