ગાંધીનગરઃ ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારે રાજ્ય સરકારના મંત્રીઓને પ્રભારી તરીકે

  જિલ્લાઓની ફાળવણ કરી છે. આ ફાળવણીમાં સૌથી મહત્વની ફાળવણી પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલના જિલ્લામાં કરાઈ છે. રાજ્યના શિક્ષણ મંત્રી અને ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની સુરત અને નવસારી જિલ્લાના પ્રભારી તરીકે નિમણૂક કરાઈ છે. સુરત અને નવસારી જિલ્લાના પ્રભારી તરીકે પાટિલની નજીકના કોઈ મંત્રીની નિમણૂકની અપેક્ષા હતી. તેના બદલે વાઘાણીને પ્રબારી બનાવાતાં આશ્ચર્ય સર્જાયું છે.


રાજ્યના ક્યા જિલ્લામાં ક્યા મંત્રીને પ્રભારી બનાવાયા તેની વિગતો નીચે પ્રમાણે છે.



  • રાજેન્દ્ર ત્રિવેદી - અમદાવાદ અને ખેડા

  • જીતુ વાઘાણી - નવસારી અને સુરત

  • ઋષિકેશ પટેલ - ગીરસોમનાથ અને જૂનાગઢ

  • પૂર્ણેશ મોદી - રાજકોટ અને મોરબી

  • રાઘવજી પટેલ - ભાવનગર અને બોટાદ

  • કનુ દેસાઈ - જામનગર અને દેવભુમિ દ્વારકા

  • કિરિટસિંહ રાણા - બનાસકાંઠા અને પાટણ

  • નરેશ પટેલ - વડોદરા અને છોટાઉદેપુર

  • પ્રદિપ પરમાર - સાબરકાંઠા અને અરવલ્લી

  • અર્જૂનસિંહ ચૌહાણ - મહેસાણા

  • હર્ષ સંઘવી - ગાંધીનગર

  • જગદીશ પંચાલ - નર્મદા

  • બ્રિજેશ મેરજા - અમરેલી

  • જીતુ ચૌધરી - દાહોદ

  • મનીષા વકિલ - મહિસાગર

  • મુકેશ પટેલ - ભરૂચ

  • નિમીષા સુથાર - ડાંગ

  • અરવિંદ રૈયાણી - કચ્છ

  • કુબેર ડીંડોર - તાપી

  • કિર્તીસિંહ વાઘેલા - વલસાડ

  • ગજેન્દ્રસિંહ પરમાર - આણંદ

  • રાઘવભાઈ મકવાણા - પોરબંદર

  • વિનોદ મોરડીયા - પંચમહાલ

  • દેવા માલમ – સુરેન્દ્રનગર


વિધાસભા સત્રનો બીજો દિવસ




આજે  સવારે 10 વાગ્યાથી વિધાનસભાનું સત્ર શરૂ થયું છે. પ્રશ્નોત્તરી કાળથી વિધાનસભાની શરૂઆત કરવામાં આવી હતી. આજે પાટનગર યોજના, નર્મદા, કાયદો અને ન્યાય તંત્ર, વૈધાનીક સંસદીય બાબતો, આરોગ્ય, માર્ગ અને મકાન સહિતના મુદ્દાઓ પર ચર્ચા થશે. 2019-20નો કેગનો અહેવાલ રજુ થશે. વિવિધ સમિતિઓની ખાલી પડેલી જગ્યાઓ બાબતે પણ અધ્યક્ષ દ્વારા જાહેરાત થશે.


આજે ત્રણ વિધેયકો પર ચર્ચા થશે. નાણાં મંત્રી દ્વારા ગુજરાત માલ અને સેવા વેરા સુધારા વિધેયક અને ભારતનું ભાગીદારી ગુજરાત સુધારા વિધેયક રજૂ કરશે. શ્રમ અને રોજગાર મંત્રી બ્રિજેશ મેરજા કૌશલ્ય ધ સ્કિલ યુનિવર્સીટી વિધેયક રજૂ કરશે. ત્રણેય બિલો પ્રથમ દિવસે ચર્ચામાં ન આવી શકતા બીજા દિવસે ચર્ચા થશે. જીગ્નેશ કુમાર સેવક છેલ્લા દિવસનો પ્રસ્તાવ રજૂ કરશે. વૃક્ષારોપણ થકી ઓક્સિજન પર છેલ્લા દિવસનો પ્રસ્તાવ લાવવામાં આવશે. અતારાંકિત પ્રશ્નો પણ વિધાનસભાના મેજ પર મુકવામાં આવશે.