Gujarat monsoon update: ગુજરાતમાં મેઘરાજાએ જાણે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તેમ છેલ્લા 24 કલાકમાં અનેક વિસ્તારોને ધમરોળી નાખ્યા છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના જૂનાગઢ જિલ્લામાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ નિર્માણ પામી છે. માંગરોળ તાલુકામાં માત્ર 24 કલાકની અંદર જ રેકોર્ડબ્રેક 22 ઈંચ જેટલો વરસાદ ખાબકતાં સમગ્ર પંથકમાં જળપ્રલય જેવાં દ્રશ્યો સર્જાયા છે. ભારે વરસાદને પગલે માંગરોળની સાગર સોસાયટીમાં નદીના પૂર આવ્યા હોય તેમ વરસાદી પાણી ઘૂસી જતાં લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.
માંગરોળની સાગર સોસાયટી બની 'સાગર', લોકોએ લીધો બોટનો સહારો
માંગરોળ પંથકમાં પડેલા અતિભારે વરસાદની સૌથી માઠી અસર સાગર સોસાયટીમાં જોવા મળી છે. અહીં 50થી વધુ ઘરોમાં કેડ સમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. ઘરવખરી પલળી જતાં અને ઘરમાં પાણી ભરાઈ જતાં સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે. એબીપી અસ્મિતાની ટીમ જ્યારે આ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી, ત્યારે કેમેરામાં ચોંકાવનારા દ્રશ્યો કેદ થયા હતા. રસ્તાઓ પર એટલું પાણી ભરાયું છે કે સોસાયટીના લોકોને અવરજવર કરવા માટે નાછૂટકે બોટનો સહારો લેવો પડી રહ્યો છે. આ દ્રશ્યો જ ત્યાંની ભયાવહ સ્થિતિનો ચિતાર આપે છે.
અન્ય વિસ્તારોમાં પણ મેઘરાજાની તોફાની બેટિંગ
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (ગાંધીનગર)ના અહેવાલ અનુસાર, છેલ્લા 24 કલાકમાં રાજ્યના કુલ 225 તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ વરસ્યો છે. માંગરોળ ઉપરાંત જૂનાગઢના માળિયા હાટીનામાં 14 ઈંચ, કેશોદ અને મેંદરડામાં 12-12 ઈંચ વરસાદ પડ્યો છે. દક્ષિણ ગુજરાત પણ પાછળ નથી; ડાંગના વઘઈ અને સુબીર તેમજ સુરતના અંબિકામાં 13-13 ઈંચ, જ્યારે તાપીના ડોલવણમાં 11 ઈંચ જેટલો મુશળધાર વરસાદ નોંધાયો છે. આ સિવાય રાજ્યના 14 તાલુકાઓમાં 5 થી 10 ઈંચ, 85 તાલુકાઓમાં 1 થી 5 ઈંચ અને 118 તાલુકાઓમાં 1 ઈંચથી ઓછો વરસાદ નોંધાયો છે.
મોસમનો કુલ 13.27 ટકા વરસાદ નોંધાયો
આજે 4 જુલાઇ, 2026ના રોજ સવારે 6:00 વાગ્યા સુધીના આંકડા મુજબ, રાજ્યમાં સરેરાશ 5 ઈંચ સાથે મોસમનો કુલ 13.27 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. ઝોન મુજબ જોઈએ તો:
દક્ષિણ ગુજરાત: સૌથી વધુ 17.11%
સૌરાષ્ટ્ર: 15.38%
પૂર્વ-મધ્ય ગુજરાત: 10.87%
ઉત્તર ગુજરાત: 7.79%
કચ્છ ઝોન: માત્ર 0.40%
જળાશયોની સ્થિતિ અને એલર્ટ
સતત વરસી રહેલા વરસાદને કારણે જળાશયોમાં નવા નીરની આવક થઈ રહી છે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ અત્યાર સુધીમાં તેની કુલ ક્ષમતાના 64.11 ટકા ભરાઈ ચૂક્યો છે. જ્યારે અન્ય 206 જળાશયોમાં સરેરાશ 36.09 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. હાલ 10 ડેમ 70 થી 100 ટકા, 20 ડેમ 50 થી 70 ટકા, અને 58 ડેમ 25 થી 50 ટકા ભરાયેલા છે. પાણીની આવક વધતાં 2 ડેમને હાઇ એલર્ટ, 1 ડેમને એલર્ટ અને 7 ડેમને વોર્નિંગ પર મૂકવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ રાજ્યના 85 તાલુકાઓ પાણી-પાણી: વાપીમાં 5.31 ઇંચ વરસાદ, જુઓ આજના તમામ આંકડા!
તંત્ર એલર્ટ મોડ પર: NDRF-SDRF તૈનાત
રાજ્યમાં કોઈપણ આપાતકાલીન પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર સજ્જ છે. હાલ 10 NDRF અને 25 SDRFની ટીમોને વિવિધ વિસ્તારોમાં તૈનાત કરવામાં આવી છે. સ્ટેન્ડબાય તરીકે 3 NDRF અને 8 SDRFની ટીમો રિઝર્વ રખાઈ છે. 1 જૂન, 2026થી અત્યાર સુધીમાં નવસારીમાંથી 50 જેટલા નાગરિકોનું સુરક્ષિત સ્થળાંતર કરાયું છે.
ભારે પવન અને વરસાદથી રાજ્યના 2174 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો, જોકે તંત્રની યુદ્ધના ધોરણે કામગીરીથી 2087 ગામોમાં વીજળી પુનઃસ્થાપિત કરી દેવાઈ છે અને બાકીના 87 ગામોમાં કામગીરી ચાલી રહી છે. હવામાન વિભાગની ચેતવણીને પગલે 4 થી 7 જુલાઇ, 2026 સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે કડક સૂચના આપવામાં આવી છે.
