ગાંધીનગર: ગુજરાતની નવી સરકારમાં મંત્રીમંડળની રચનાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. આ મંત્રીમંડળ અંગે એબીપી અસ્મિતા પાસે એક્સક્લુસીવ માહિતી સામે આવી છે. કનુ દેસાઈ અને ઋષિકેશ પટેલને નવી સરકારમાં મંત્રી પદ મળી શકે છે. આ ઉપરાંત અન્ય ધારાસભ્યોને પણ પાર્ટી હાઈકમાન્ડ તરફથી ફોન આવવાની શરૂઆત થઈ ગઈ છે. પૂર્વ કૃષિમંત્રી રાઘવજી પટેલને ટેલિફોનિક માહિતી આપવામાં આવી હોવાની વાત સામે આવી છે. મળતી માહિતી પ્રમાણે 20 જેટલા ધારાસભ્યોને મંત્રી બનાવવામાં આવી શકે છે. આ ઉપરાંત કુંવરજી બાવળીયાને પણ મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે.



આવતીકાલે ભૂપેન્દ્રભાઇ પટેલ સરકારની શપથવિધિ


ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં રેકોર્ડબ્રેક જીત મેળવ્યા બાદ આવતીકાલે મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ સહિત નવા મંત્રીઓનો શપથવિધિ સમારોહ યોજાશે. ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડમાં શપથવિધિ માટે ત્રણ વિશાળ સ્ટેજ તૈયાર કરવામાં આવ્યા છે. શપથવિધિ સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય મંત્રીઓ, ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ, ગુજરાતના સંસદસભ્યો ઉપરાંત મંત્રિત મહાનુભાવો ઉપસ્થિત રહેશે.


શપથવિધિ સમારોહમાં ખાસ ઉપસ્થિત રહેનાર પ્રધાનમંત્રીના સ્વાગતની પણ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એરપોર્ટથી હેલિપેડ ગ્રાઉન્ડ સુધી રોડ શો પણ કરે તેવી શક્યતા છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર રોડ પર માનવ મહેરામણ ઉમટે તે માટે સંગઠનના પદાધિકારીઓને જવાબદારી પણ સોંપી દેવામાં આવી છે. તો સાથે જ હેલિપેડ ગ્રાઉન્ડ પર સાધુ સંતો, ઉદ્યોગપતિઓ, કલાકારો ઉપરાંત અન્ય મહાનુભાવોને બેસવા માટે સ્ટેજ સહિત અલગ વ્યવસ્થા ગોઠવામાં આવી છે. કમલમથી પ્રદેશ સંગઠનના પદાધિકારીઓથી માંડીને જિલ્લા, તાલુકાના હોદ્દેદારોને શપથવિધીમાં હાજરી આપવા સૂચના અપાઈ છે. એટલુ જ નહીં, શપથવિધિ કાર્યક્રમ માટે ગાંધીનગરમાં મોટો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.


શપથવિધિ સમારોહમાં આસામ, ગોવા, હરિયાણા, કર્ણાટક, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડના મુખ્યમંત્રીઓ ઉપસ્થિત રહેશે. ત્યારે અમદાવાદ એરપોર્ટ પર ચાર્ટર્ડ ફ્લાઈટની અવરજવરમાં વધારો જોવા મળે છે. સીઆઈએસએપ, બોમ્બ ડિસ્પોઝલ સ્કવોર્ડ, ડોગ સ્કવોર્ડ અને સ્થાનિક પોલીસ પણ એરપોર્ટમાં આવતા તમામ લોકો પર ચાંપતી નજર રાખશે. આ ઉપરાંત શપથવિધિને પગલે નો ડ્રોન ફ્લાય ઝોન પણ જાહેર કરવામાં આવ્યો છે.


શનિવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય નેતૃત્વ સાથે નવા મંત્રીમંડળને લઈને દિલ્હીમા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે ચર્ચા કરી હતી.  સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર શપથવિધિ સમારોહમાં 18થી 20 ધારાસભ્યોને મંત્રીના શપથ અપાવવાને લઈને બેઠકમાં ચર્ચા થઈ હતી.  સાથે જ વિધાનસભાના અધ્યક્ષ અને વિધાનસભા પક્ષના દંડક મુદ્દે પણ ચર્ચા થઇ હતી. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરનો નવા મંત્રીમંડળમાં સમાવેશ થઈ શકે છે.  તો અલ્પેશ ઠાકોર, શંકર ચૌધરી, કિરીટ પટેલનું મંત્રી બનવાનું નક્કી માનવામાં આવી રહ્યું છે.  


હર્ષ સંઘવી, મનીષાબેન વકીલ પણ મંત્રીપદના શપથ લેવડાવવામાં આવે તેવુ નક્કી માનવામાં આવી રહ્યું છે. તો જગદીશ પંચાલ, જયેશ રાદડીયા, કનુ દેસાઈને પણ મંત્રી બનાવવામાં આવશે. રિવાબા જાડેજા, અનિરૂદ્ધ દવેનો પણ નવા મંત્રીમંડળમાં સમાવેશ થઈ શકે છે. સૌરાષ્ટ્રમાંથી કુંવરજી બાવળીયા, પરસોત્તમ સોલંકી અથવા તો હીરા સોલંકી ત્રણમાંથી કોઈ એકને મંત્રીપદ મળી શકે છે.  સાથે જ નરેશ પટેલ અથવા તો ગણતપ વસાવા પણ મંત્રી બની શકે છે. તો ઈડરના ધારાસભ્ય રમણલાલ વોરાને કેબિનેટ મંત્રી અથવા તો વિધાનસભાના અધ્યક્ષ બનાવી શકાય છે. રાઘવજી પટેલને પણ ફરી એકવાર મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે. નવા મંત્રીમંડળમાં પાંચથી સાત પાટીદારોને સ્થાન મળી શકે છે. તો સાત પાટીદાર મંત્રી બનાવાય તો ચાર લેઉવા અને ત્રણ કડવા પાટીદારને સ્થાન મળી શકે છે. આ સિવાય નિમિષાબેન સુથાર અથવા દર્શના દેશમુખને પણ નવા મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે. ભરૂચના રમેશ મિસ્ત્રીને પણ નવા મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે.