ગુજરાતના કયા વિસ્તારમાં હજુ બે દિવસ વરસાદ પડશે? હવામાન વિભાગે કરી આ આગાહી? જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 21 Oct 2020 11:08 AM (IST)
પોરબંદરના રાણાવાવમા પોણા ત્રણ ઈંચ, ગીર સોમનાથના ગીરગઢડામા અઢી ઈંચ, માળીયાહાટીનામા 2 ઈંચ, લાઠી પોણા ઈંચ, રાજુલા-જાફરાબાદ વિસ્તારમાં 1 ઈંચ વરસાદ ખાબક્યો હતો.
File Photo
અમદાવાદઃ હાલ નવરાત્રિમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે સૌરાષ્ટ્રમાં આગામી બે દિવસ સામાન્યથી હળવા વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્રમાં ત્રીજા દિવસે અડદાથી સવા ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો હતો. હવામાન વિભાગ પ્રમાણે, રાજ્યમાં આગામી બે દિવસમાં મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાંક ભાગોમાં સામાન્યથી હળવા વરસાદ પડે તેવી સંભાવના છે. આ ઉપરાંત ત્યાર બાદના દિવસોમાં નહીંવત વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. આમ 21 અને 22 ઓક્ટોબર સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વરસાદની આગાહી વચ્ચે હાલ ખેતરોમાં પાક તૈયાર થઈ ગયો હોવાથી ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. મંગળવારે દિવસ દરમિયાન 7 તાલુકામાં 1થી 2.71 ઈંચ સુધી વરસાદ નોંધાયો હતો. જેમાં પોરબંદરના રાણાવાવમાં સૌથી વધુ અઢી ઈંચ વરસાદ નોધાયો હતો. રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ 44.65 ઈંચ સાથે સિઝનનો 136.50 'કા વરસાદ નોંધાયો છે. પોરબંદરના રાણાવાવમા પોણા ત્રણ ઈંચ, ગીર સોમનાથના ગીરગઢડામા અઢી ઈંચ, માળીયાહાટીનામા 2 ઈંચ, લાઠી પોણા ઈંચ, રાજુલા-જાફરાબાદ વિસ્તારમાં 1 ઈંચ વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત ખાંભા પાસે વીજળી પડતા એક યુવાનનું મોત નિપજ્યું હતું. રાયડી ડેમ ફરી એકવાર ઓવરફલો થયો છે. જૂનાગઢ જિલ્લામાં દિવસભર અસહ્ય બફરો રહ્યા બાદ સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને માળિયા પંથકમાં એક કલાકમા બે ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. કેશોદમાં અડધો ઈંચ અને જૂનાગઢ શહેરમાં પણ મુશળધાર વરસાદનું ઝાપટું વરસ્યું હતું. અમરેલી જિલ્લામાં સૌથી વધુ લાઠી અને આસપાસના વિસ્તારમાં ધોધમાર દોઢ ઈંચ વરસાદ નોંધાયો હતો. સત્તાવાર રીતે તાલુકા મથકે 25 મીમી વરસાદ નોંધાયો છે. આ જ રીતે રાજુલામાં 25 મીમી અને બાબરામાં 10 મીમી વરસાદ નોંધાયો હતો. ખાંભાના તાલડા ગામે વીજળી પડતા ખેતીકામ કરી રહેલા યુવાન તેજસ ભોળાભાઈ સરવૈયાનું મોત નિપજ્યું હતું. વરસાદના કારણે ખાંભાનો રાયડી ડેમ ફરીથી છલકાયો છે. ડેડાણ, ત્રાકુડા, ભૂંડણી સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો.