સાબરકાંઠા:  કોરોના વાયરસથી બીજી લહેર ખૂબ જ ખતરનાક સાબિત થઈ રહી છે. રાજ્યમાં કોરોનાના કેસ ખૂબ ઝડપથી વધી રહ્યા છે.  બેકાબૂ બનેલી કોરોનાની લહેર અટકવાનું નામ જ નથી લઈ રહી. ગુજરાતમાં કોરોનાના કેસ દરરોજ નવા રેકોર્ડ તોડી રહ્યા છે. સતત વધતા કોરોના સંક્રમણને લઈને લોકો સ્વૈચ્છિક લોકડાઉન તરફ આગળ વધી રહ્યા છે. ઘણા ગામડાઓ અને શહેરોમાં વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન લાગુ કરાયું છે.


હિંમતનગર શહેરમાં 2 મે સુધી સંપૂર્ણ સ્વૈચ્છિક લોકડાઉન લાદવામાં આવ્યું છે. જિલ્લા કલેક્ટર,પાલિકા અને વેપારી એસોસિએશનની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. વેપારી એસોસિએશન દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે જ લોકોને  બિનજરૂરી બહાર ન નીકળવા માટે પણ અપીલ કરવામાં આવી છે. સાબરકાંઠા જિલ્લામાં ગુરુવારે 84 કોરોના વાયરસના કેસ નોંધાયા હતા. છેલ્લ્લા 24 કલાકમાં આ જિલ્લામાં પાંચ લોકોના સંક્રમણથી મોત થયા છે. 


નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં પ્રથમ વખત 13,105 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 137 લોકોનાં મૃત્યુ થયા છે તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 5877 પર પહોંચી ગયો છે.  


રાજ્યમાં આજે 5,010 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,55,875 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 92 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 92084 પર પહોંચ્યો છે. જેમાંથી 376 લોકો વેન્ટિલેટર પર અને 91708 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 78.41 ટકા છે.


કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?


આજે અમદાવાદ કોર્પોરેશનમાં 23, સુરત  કોર્પોરેશનમાં 22,  રાજકોટ કોર્પોરેશન-10, વડોદરા કોર્પોરેશન-10,  સુરત-5, મહેસાણમાં 3, જામનગર કોર્પોરેશન-5,  બનાસકાંઠા-5, જામનગર-4, વડોદરા-4,  પાટણ-3, ભરૂચ 2,  ભાવનગર કોર્પોરેશન-3, ગાંધીનગર 2, ભાવનગર 3, જૂનાગઢ કોર્પોરેશન 2, જૂનાગઢ 2, દાહોદ 1, પંચમહાલ 1, વલસાડ 1, સુરેન્દ્રનગર 3, અમરેલી 1, અમદાવાદ 1, સાબરકાંઠા 5, મહીસાગર 1, મોરબી 4, રાજકોટ 4, ગીર સોમનાથ 2, અરવલ્લી 1, નર્મદા 1 અને દેવભૂમિ દ્વારકામાં 3ના મૃત્યુ થયા હતા.