Gujarat Weather: રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે અંબાલાલ પટેલે મોન્સૂનને લઈને મોટી આગાહી કરી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, આગામી સમયમાં રાજ્યમાં પ્રિ મોન્સૂન એક્ટિવીટી શરૂ થશે. અંબાલાલ પટેલ અનુસાર, આગામી તારીખ 12 થી 16 વચ્ચે રાજ્યના મધ્ય ગુજરાત અને વડોદરામાં આંધી વંટોળ સાથે વરસાદની શક્યતા છે. એટલું જ નહીં અમદાવાદ, મેહસાણા, બનાસકાંઠા, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતનાં ભાગોમાં પણ વાતાવરણમાં પલટા સાથે વરસાદ પડવાની શક્યતા છે. આગામી ચોમાસા માટે પ્રિ મોન્સુન એકટીવિટી જરૂરી આગામી સમયમાં અપરવિંડની પ્રક્રિયા હવે શરૂ થશે.


હવામાન વિભાગની આગાહી


જોકે હવામાન વિભાગે આગાહી કરી છે કે, એક અઠવાડિયા માટે તાપમાનમાં કોઇ વધારો નહીં થાય. આવનારા 6 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. ઉત્તર-પુર્વીય સાયક્લોનીક સર્ક્યુલેશન અને દક્ષિણી રાજસ્થાનમાં સિસ્ટમ ડેવલપ થવાને કારણે વાતાવરણમાં પરિવર્તન આવ્યું છે. વાતાવરણમાં પરિવર્તનને કારણે તાપમાન ઊંચુ જવાની સંભાવના નથી. જ્યાં વરસાદ રહેશે ત્યાં તાપમાન નીચું જવાની સંભાવના છે. અમદાવાદમાં 41.6 ડીગ્રી, ગાંધીનગરમાં તાપમાન 41.2 રહ્યુ છે. છેલ્લાં 24 કલાકમાં અમદાવાદ સૌથી વધુ ગરમ રહ્યું છે.


આવનારા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતનાં બધા જિલ્લાઓમાં રહેશે હળવો વરસાદ પડશે. ઉત્તર ગુજરાતમાં અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા અને મધ્યગુજરાતમાં ખેડા, પંચમહાલ, દાહોદ અને મહિસાગરમાં હળવો વરસાદ રહશે. સૌરાષ્ટ્ર-કચ્છમાં અમરેલી, ભાવનગર, દીવ અને ગીર સોમનાથમાં પણ હળવા વરસાદની આગાહી છે. આવનારા દિવસોમાં સુરેન્દ્રનગર અને રાજકોટમાં પણ સામાન્ય વરસાદ પડી શકે છે.


રાજ્યમાં પાંચ મહિનામાં ચોથી વખત માવઠાનું સંકટ ઘેરાયું છે. ત્યારે હવામાન વિભાગે આજથી ચાર દિવસ દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે દાહોદ, છોટા ઉદેપુર, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી તો કાલે પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડની સાથે સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં કમોસમી વરસાદ વરસી શકે છે. એટલુ જ નહીં, કમોસમી વરસાદની આગાહી વચ્ચે 30થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફુંકાઈ શકે છે. રાજ્યમાં આ વર્ષના પ્રારંભથી જ વારંવાર માવઠાનું સંકટ સર્જાયું છે. અગાઉ જાન્યુઆરી, માર્ચ અને એપ્રિલમાં પણ અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો ત્યારે વારંવાર માવઠાની સમસ્યાથી ખેડૂતો ભારે પરેશાન થયા છે.