તાઉતે વાવાઝોડાના કારણે રાજ્યમાં હજુ પણ બે દિવસ વરસાદી માહોલ યથાવત રહેશે. હવામાન વિભાગે આજે અને આવતીકાલે ભારેથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. આજે સાબરકાંઠા, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સુરેંદ્રનગર, રાજકોટ, મોરબી, જામનગરમાં અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે.


તો બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, સુરત, ભાવનગર, અમરેલી, જૂનાગઢ અને બોટાદમાં ભારે વરસાદ પડી શકે છે. તો આવતીકાલે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. જેમાં બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, મહેસાણા અને અરવલ્લીનો સમાવેશ થયો છે. જો કે ગુરુવાર સાંજ સુધી વાતાવરણ પૂર્વવત થવા લાગે તેવી સંભાવના છે.


અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં ધનસુરા તાલુકામાં સાડા ચાર ઈંચ, મોડાસામાં ચાર ઈંચ, બાયડ તાલુકામાં ચાર ઈંચ અને માલપુરમાં અઢી ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. ભારે પવન સાથે વરસાદ પડતા અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયા છે. સાથે જ વિજળી ગુલ થવાની પણ ફરિયાદો મળી છે. જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. હવામાન વિભાગે આજે પણ અરવલ્લી, સાબરકાંઠા સહિતના ઉત્તાર ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે.


તાઉતે વાવાઝોડાની અસરના કારણે રાજ્યમાં વરસાદી માહોલ યથાવત છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 251 તાલુકામાં વરસાદ નોંધાયો છે.


રાજ્ય પર ત્રાટકેલા તાઉતે વાવાઝોડાએ સંઘ પ્રદેશ દિવ સહિત સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારોમાં ભારે તારાજી સર્જી છે. વાવાઝોડાને લીને રાજ્યમાં 13 લોકોના મૃત્યુ નિપજ્યા છે. ઉના, કોડિનાર, અમરેલી અને ગીર સોમનાથ, ભાવનગર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વાવાઝોડાને લીધે ભારે બરબાદી થઈ છે. દિવના દરિયાકાંઠાને રાજ્યમાં પ્રવેશેલા વાવાઝોડાએ જે પણ સામે આવ્યુ તબાહ કરી દીધુ છે. વાવાઝોડાની તિવ્રતા એટલી હતી કે 40 હજારથી વધુ વૃક્ષો ધરાશાયી થયા છે. 16 હજારથી વધુ ઝુંપડા અને કાચ મકાનો ઉપરાંત મોબાઈલ ટાવરો જમીનદોસ્ત થયા છે.


વાવાઝોડાને લીધે મકાન ધરાશાયી થવાથી, વીજ થાંભલા પડવાથી અને કરંટ લાગવાને લીધે રાજ્યમાં 13 લોકો મોત નિપજ્યા છે. ઠેર ઠેર વૃક્ષો પડતા કેટલાય સ્થળોએ વાહનો દટાયા છે. વાવાઝોડાને લીધે ગીર પંથકમાં કેરી અને નાળિયેરના પાકને ભારે નુકસાન થયુ. આ ઉપરાંત ભરૂચ-નર્મદા સહિત દક્ષિણ ગુજરાતમાં કેળા, ચીકુ, શેરડી, તલ, અળદ અને ડાંગરનો પાક બરબાદ થયો છે. જો કે રાજ્ય સરકારના સુદ્રઢ આયોજન અને ઝિરો કેઝ્યુઅલ્ટી એપ્રોચથી ડિટેઈલ્ડ અને એડવાંસ પ્લાનિંગના કારણે મોટી જાનહાની થઈ નથી.