Gujarat Assembly Election 2022: છોટાઉદેપુર વિધાનસભા બેઠક માટે ટિકિટને લઈ કોંગ્રેસમાં વિવાદ બાદ ધારાસભ્ય મોહનસિંહ રાઠવા ભાજપમાં જોડાયા તેવામાં હવે ભાજપમાં ટિકિટની ભાંજગડ વધી છે. કોંગ્રેસના સૌથી સિનિયર ધારાસભ્ય મોહનસિંહ રાઠવા અને રાજ્યસભાના સાંસદ નારણ રાઠવા વચ્ચે લાંબા સમયથી પુત્ર પ્રેમને લઈ છોટાઉદેપુર બેઠક માટે ટિકિટની માંગણી હતી પરંતુ પક્ષમાં વિવાદનો અંત ના આવ્યો અને આખરે પચાસ પચાસ વર્ષ કોંગ્રેસમાં ધારાસભ્ય રહેલા મોહનસિંહ રાઠવાએ કોંગ્રેસ છોડી ભાજપનો ખેસ ધારણ કરી લીધો. સાથે ભાજપમાંથી તેમના પુત્રને ટીકીટ મળશે તેવો દાવો પણ કરી દીધો. 


સમગ્ર રાજકીય હલચલને લઈ હવે છોટાઉદેપુર બેઠક ઉપર ભાજપમાં ટિકિટના દાવેદારો વચ્ચે વિવાદ ઉભો થયો છે. વર્ષોથી ભાજપ સાથે સંકળાયેલા ટિકિટના દાવેદારો અચાનક કોંગ્રેસના મોટા નેતાના જોડાવાથી ચિંતામાં મૂકાયા છે. જિલ્લા ભાજપ મહામંત્રી અને પ્રબળ દાવેદાર શંકર રાઠવાનું દર્દ કેમેરા સામે ઠલવાયું. જો કે છેવટે મોટું મન રાખી પક્ષનો જે નિર્ણય આવે તે સ્વીકારવાની વાત કરી છે. તો બીજી તરફ કોંગ્રેસના નેતાઓ સમગ્ર ઘટના અંગે દુઃખ વ્યક્ત કરી ટિકિટનું જે ટેન્શન કોંગ્રેસમાં હતું હવે એ ભાજપમાં ગયું હોવાનું જણાવ્યું. તો આમ આદમી પાર્ટીના ઉમેદવાર અર્જુન રાઠવાએ કોંગ્રેસને ભાજપની કઠપૂતળી ગણાવી ભાજપ જ્યારે ચાહે ત્યારે કોંગ્રેસના ગમે એટલા મોટા નેતાને ભાજપ સામેલ કરી શકે છે નો આરોપ લગાવ્યો છે.


ભાજપ ઉમદેવારોનું પ્રથમ લિસ્ટ આવતીકાલે જાહેર કરશે ?


ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટીએ 150થી વધુ અને કોંગ્રેસે 43 ઉમેદવારો જાહેર કરી દીધા છે. સૌની નજર ભાજપ પર છે, ભાજપના ઉમેદવારો પસંદ કરવા હાલ દિલ્હીમાં મનોમંથન ચાલી રહ્યું છે. આ સંદર્ભે સી.આર.પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હીમાં છે. દિલ્હીમાં સતત બેઠકો થઈ રહી છે. આ દરમિયાન આજે ભાજપના નેતા પ્રદીપસિંહ વાઘેલાએ જણાવ્યું કે, ભાજપ આવતીકાલે ઉમેદવારોનું પ્રથમ લિસ્ટ જાહેર કરશે.


કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માનું મોટું નિવેદન

2 MLAના રાજીનામાં બાદ કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા મીડિયા સામે  આવ્યા હતા. તેમણે કહ્યું, જે MLA છોડીને જાય છે તેને સવાલ પૂછો. આ MLA એ કારણ વગર કોંગ્રેસ છોડી છે. આગામી 24 કલાકમાં કોંગ્રેસ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરશે. કોંગ્રેસ 125થી વધુ બેઠક જીતશે.


ભગા બારડ રાજીનામું આપ્યું ભાજપમાં થયા સામેલ


તાલાલાના ધારાસભ્ય ભગા બારડે આજે રાજીનામું આપતાં કોંગ્રેસ બે દિવસમાં બીજો મોટો ફટકો લાગ્યો છે. ગઈકાલે મોહનસિંહ રાઠવાએ રાજીનામું આપી કેસરિયો ધારણ કર્યો હતો. તેમણે વિધાનસભા અધ્યક્ષ નિમાબેનને રાજીનામું સોંપ્યું હતું. ભગાભાઈ બારડને ભાજપમાં લાવવાનું ઓપરેશન એક સાંસદે પાર પાડ્યું હતું. ભગાભાઈ બારડ ભાજપના મેન્ડેટથી તલાલાથી ચૂંટણી લડશે તેવી અટકળો થઈ રહી છે.


ભગાભાઈને કેમ ભાજપમાં લાવવામાં આવ્યા ?


આદિવાસી બાદ મતો બાદ ભાજપની નજર આહિર મતો પર છે. ભાજપને આહિર સમાજના મોટા નેતાની જરૂર છે. આહિર મતોને ભાજપ તરફ વાળવા આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. વાસણભાઈ આહિરને રિપિટ ન કરવામાં આવે તો ભાજપ ભગાભાઈને ટિકિટ આપી શકે છે.


ભાજપમાં સામેલ થયા બાદ ભગાભાઈએ શું કહ્યું


ભાજપમાં સામેલ થયા બાદ ભગાભાઈ બારડે કહ્યું, દેશના લાંબી દ્રષ્ટિથી સાથે કામ કરતા પ્રમાણિક વ્યક્તિ પ્રધાનમંત્રીના નેતૃત્વમાં કામ કરવા આજે ભાજપમાં જોડાયો છું. આગેવાનો અને ટીકીદારોના વિશ્વાસ લઈને ભાજપમાં જોડાયો છું. હું વિકાસની રાજનીતિમાં માનવા વાળુ છું, અમે મૂળ કોંગ્રેસી નથી. ચીમનભાઈ મુખ્યમંત્રી હતા ત્યારે અમે જનતા દળમાં હતા. ના છૂટકે અમે એ સમયે કોંગ્રેસમાં સામેલ થયા હતા, મહત્વકાંક્ષા સાથે ક્યાંય જતા નથી. જે જવાબદારી સોંપે તે કામ કરીશ.