Rain: રથયાત્રાના પાવન પર્વે મેઘમહેર, સુરત, પાટણ, ગીર સોમનાથ અને કચ્છમાં સાર્વત્રિક વરસાદથી લોકોમાં ખુશી
Gujarat Monsoon News: સુરત જિલ્લામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ અને હાઈવે પર જલભરાવ દક્ષિણ ગુજરાતના પ્રવેશદ્વાર સમાન સુરત જિલ્લામાં વહેલી સવારથી જ મેઘવી માહોલ જોવા મળ્યો હતો

- રથયાત્રાએ ગુજરાતમાં મેઘરાજાનું આગમન, લોકો-ખેડૂતોમાં આનંદ છવાયો.
- સુરતમાં ધોધમાર વરસાદથી હાઈવે પર પાણી ભરાયા, ગરમીથી રાહત મળી.
- સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં મેઘમહેર; ગીર-પાટણમાં સારો વરસાદ વરસ્યો.
- કચ્છના સરહદી વિસ્તારોમાં પણ ઝાપટાં, રથયાત્રાનો શુભ શુકન મનાયો.
Gujarat Monsoon News: આજે અષાઢી બીજના પવિત્ર રથયાત્રા મહોત્સવ દરમિયાન ભગવાન જગન્નાથજીની નગરચર્યા વચ્ચે સમગ્ર ગુજરાત રાજ્યમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી મારીને વાતાવરણને આહલાદક અને ભક્તિમય બનાવી દીધું છે. વરસાદના બીજા રાઉન્ડની પ્રતીક્ષા કરી રહેલા લોકો અને ખેડૂતોમાં ખુશી છવાઇ છે. આજે વહેલી સવારથી જ શરૂ થયેલા છૂટાછવાયા અને વરસાદી ઝાપટાંથી સમગ્ર રાજ્યમાં ઠંડક પ્રસરી ગઈ છે.
સુરત જિલ્લામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ અને હાઈવે પર જલભરાવ દક્ષિણ ગુજરાતના પ્રવેશદ્વાર સમાન સુરત જિલ્લામાં વહેલી સવારથી જ મેઘવી માહોલ જોવા મળ્યો હતો. સુરત શહેરમાં સવારથી જ છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો હતો, જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી ઝરમર વરસાદ શરૂ થયો હતો. કીમ અને કોસંબા સહિતના વિસ્તારોમાં મેઘરાજાએ હાજરી પુરાવી હતી. ખાસ કરીને સુરતના કામરેજ તાલુકામાં ધોધમાર વરસાદ પડવાના કારણે નેશનલ હાઇવે 48 ના સર્વિસ રોડ પર ભારે પાણી ભરાઈ ગયા હતા, જેનાથી વાહનચાલકોને થોડી મુશ્કેલી પડી હતી પરંતુ ગરમીથી મોટી રાહત મળી હતી.
ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘમહેર: -
પાટણ અને ગીર સોમનાથમાં વરસાદ બીજી તરફ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તાર એવા ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ અને સુપ્રસિદ્ધ સોમનાથ તીર્થક્ષેત્રમાં વહેલી સવારથી જ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લામાં મોડી રાત્રે મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું હતું. પાટણ શહેર તેમજ સરસ્વતી પંથકમાં રાત્રિ દરમિયાન સારો વરસાદ ખાબકતા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.
સરહદી કચ્છ જિલ્લામાં પણ વરસાદી ઝાપટાં -
ઉપરાંત સૂકા ગણાતા કચ્છ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો છે. કચ્છના કેટલાક સરહદી અને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદી ઝાપટાં પડ્યા છે. ખાસ કરીને ભચાઉ તાલુકાના લલીયાણા ગામ અને આજુબાજુના વિસ્તારોમાં વરસાદી ઝાપટું પડતાં સ્થાનિકો હરખાઈ ઉઠ્યા હતા. આમ, રથયાત્રાના પવિત્ર દિવસે અમીછાંટણા થવાને હિન્દુ સંસ્કૃતિમાં અત્યંત શુભ શુકન માનવામાં આવે છે, જેથી સમગ્ર રાજ્યમાં ભક્તિભાવ સાથે હર્ષોલ્લાસનો માહોલ બમણો થઈ ગયો છે.





















