Gujarat Dam Water Level: ગુજરાતમાં ચાલુ વર્ષે ચોમાસાના પ્રારંભિક તબક્કામાં જ થયેલા સાર્વત્રિક અને નોંધપાત્ર વરસાદને કારણે રાજ્યની જળરાશિમાં મોટો વધારો થયો છે. રાજ્યના જળસંપત્તિ વિભાગ દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર આંકડા અનુસાર, ગુજરાતની જીવાદોરી સમાન તમામ 206 નાના-મોટા ડેમોમાં પાણીની ભારે આવક થતાં સરેરાશ જળસ્તર 41 ટકાએ પહોંચી ગયું છે.
વરસાદની આ ધમાકેદાર ઇનિંગને પગલે રાજ્યના પાંચ મુખ્ય જળાશયો અત્યારથી જ 100 ટકા એટલે કે સંપૂર્ણપણે ભરાઈ ચૂક્યા છે, જેને પગલે તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવાયા છે. ચાલુ સિઝનમાં ઉપરવાસમાંથી આવી રહેલા પુષ્કળ પાણીના પ્રવાહને લીધે રાજ્યમાં પીવાના અને સિંચાઈના પાણીની મોટી સમસ્યા હલ થઈ ગઈ છે અને ખેડૂતોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
જળસંપત્તિ વિભાગના અહેવાલ મુજબ, રાજ્યના કુલ જળાશયોમાંથી 20 જળાશયો હાલમાં 70 થી 100 ટકા જેટલા ભરાઈ ગયા છે, જ્યારે અન્ય 25 જળાશયોમાં પાણીનું સ્તર 50 થી 70 ટકાની વચ્ચે નોંધાયું છે. સૌથી રાહતના સમાચાર એ છે કે ગુજરાતની મુખ્ય જળ પરિયોજના એવા નર્મદા નદી પર સ્થિત સરદાર સરોવર ડેમમાં જળસ્તર વધીને 65.22 ટકા થઈ ગયું છે. મધ્યપ્રદેશના ઉપરવાસના વિસ્તારોમાં થઈ રહેલા ભારે વરસાદને કારણે નર્મદા ડેમમાં પ્રતિ સેકન્ડ હજારો ક્યુસેક પાણીની આવક સતત ચાલુ છે. આ વ્યાપક જળસંગ્રહને લીધે આગામી ઉનાળા સુધી રાજ્યમાં પાણીની અછત સર્જાશે નહીં તેવી સંભાવનાઓ પ્રબળ બની છે. ફ્લડ કંટ્રોલ રૂમ દ્વારા તમામ ડેમોની સ્થિતિ પર સતત ૨૪ કલાક મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.
