મોરબીઃ મોરબી ઝુલતા પુલ દુર્ઘટના કેસમાં સાત આરોપીઓની જામીન અરજી મોરબી કોર્ટે નામંજૂર કરી હતી. મળતી જાણકારી અનુસાર, મોરબી ઝુલતા પુલ દુર્ઘટના કેસમાં ઓરેવા કંપનીના બે મેનેજર સહિત સાત આરોપીઓની જામીન અરજી પર કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં મોરબીની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે તમામ સાતેય આરોપીઓની અરજીને નામંજૂર કરી હતી.


મોરબી ઝુલતા પુલના મુખ્ય આરોપી જયસુખ પટેલના સમર્થનમાં આવ્યું ઉમિયાધામ સિદસર,ભાજપના પૂર્વ MLA એ પણ આપ્યો ટેકો


રાજકોટ: ઉમિયાધામ સીદસર દ્વારા જયસુખ પટેલના સમર્થનમાં એક લેટર લખવામાં આવ્યો છે. જે લેટરમાં લખવામાં આવ્યું છે કે આપણે સૌ જયસુખભાઈને સપોર્ટ કરીએ. 10 -15 રૂપિયાની ટિકિટ છે ખર્ચ પણ ન નીકળે ત્યારે જયસુખભાઈ ટિકિટના દરમાંથી કમાણી કરતા હોય તે વાત સદંતર ખોટી છે. જયસુખભાઈ અને તેમની કંપની દ્વારા લાખો રૂપિયાનો ખર્ચ મેન્ટેનન્સ માટે કરવામાં આવ્યો છે. ત્યારે સમગ્ર મામલે ભાજપના પૂર્વ ધારાસભ્ય બાવનજીભાઈ મેતલીયા દ્વારા નિવેદન આપતા જણાવવામાં આવ્યું હતું કે, હું પણ જયસુખ પટેલને સમર્થન કરું છું


સોશિયલ મીડિયામાં જયસુખ પટેલને ખોટા ચિતરવામાં આવ્યા છે. જયસુખ પટેલના સમર્થનમાં ન માત્ર ઉમિયાધામ સીદસર છે. પરંતુ અનેક એનજીઓ પણ તેમના સપોર્ટમાં છે. જયસુખ પટેલ અને તેમના પિતા ઓધવજીભાઈ પટેલની ગણના ગુજરાતના ભામાશાઓમાં થાય છે. કાયદો કાયદાનું કામ કરશે, પરંતુ જયસુખભાઈ પટેલને સોશિયલ મીડિયામાં ખોટા ચીતરવામાં આવી રહ્યા છે. જયસુખ પટેલે કમાણી કરવા માટે ઝુલતા પુલનું સંચાલન નહોતું સંભાળ્યું. ઉલ્લેખનીય છે કે કડવા પાટીદાર ઉદ્યોગપતિને બચાવવા કડવા પાટીદારોની ધાર્મિક સંસ્થા પણ મેદાને આવી છે. ઊલ્લેખનીય છે કે 1999 થી બાવનજી મેતાલીયા પણ ઉમિયાધામ શીદસર સાથે જોડાયેલા છે. હાલમાં તેઓ ઉમિયાધામ સીદસરના કારોબારી સભ્ય પણ છે. લેટર મામલે તેમને એબીપી અસ્મિતા સાથે વાતચીત કરી હતી


અમરેલીના આ ગામમાં ફરી આવ્યા ભૂકંપના ત્રણ આંચકા


અમરેલી: સાવરકુંડલા તાલુકાના મિતિયાળા ગામમાં સતત ભૂકંપના આચકાઓ આવતા ગામ લોકોમાં ફફડાટ ફેલાયો છે. ફરી આજે સવારે ત્રણ જેટલા ભૂકંપના આચકાઓ આવતા મિતિયાળાવાસીઓ ફફડી રહ્યા છે. આ અગાઉ સિસ્મોલોજી વિભાગની ટીમ આ ગામની મુલાકાત લઈ ગઈ હતી અને ગ્રામજનોને હળવા આચકા આવવાથી કોઈ નુકસાન નહીં થાય તેવી હૈયાધારણા  આપી હતી પરંતુ સતત આવી રહેલા ભૂકંપના આંચકાથી ગામ લોકો, વિદ્યાર્થીઓ અને માલધારીઓને ભૂકંપનો દર સતાવી રહ્યા છે. મીતીયાળા જંગલ વિસ્તાર નજીકનું ગામ હોવાથી આ વિસ્તારમાં મોટી સંખ્યામાં વન્ય પ્રાણીઓ વસવાટ કરે છે છતાં ગામ લોકોને વન્ય પ્રાણીઓનો ડર નથી એટલો ડર ભૂકંપનો સતાવી રહ્યો છે