અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની બે દિવસની ગુજરાત મુલાકાત દરમિયાન સોમવારે દેશની પ્રથમ 'વંદે મેટ્રો' સેવાનું લોકાર્પણ કરશે. ટ્રેનમાં આધુનિક સુવિધાઓ, સલામતી સુવિધાઓ, સારી ડિઝાઇન  વરસાદ-પ્રતિરોધક ઈન્ટીરિયર અને CCTVનો સમાવેશ થાય છે. પશ્ચિમ રેલવે (અમદાવાદ વિભાગ)ના જનસંપર્ક અધિકારી પ્રદીપ શર્માએ શનિવારે જણાવ્યું હતું કે અમદાવાદ-ભુજ વંદે મેટ્રો ટ્રેન સંપૂર્ણપણે અનરિઝર્વ્ડ અને એર-કન્ડિશન્ડ છે. તેમણે કહ્યું કે મુસાફરો ટ્રેન ઉપડવાના થોડા સમય પહેલા કાઉન્ટર પરથી ટિકિટ ખરીદી શકશે. તેમણે કહ્યું, “ટ્રેનમાં 1,150 મુસાફરો માટે બેઠક વ્યવસ્થા છે જ્યારે 2,058 મુસાફરો ઉભા રહીને મુસાફરી કરી શકશે.


આ વંદે મેટ્રોનો સમય હશે


પશ્ચિમ રેલવેએ આ અઠવાડિયાની શરૂઆતમાં આ મેટ્રો ટ્રેનની ટ્રાયલ હાથ ધરી હતી. પશ્ચિમ રેલવેના અધિકારીઓના જણાવ્યા અનુસાર, અમદાવાદ-ભુજ વંદે મેટ્રો ટ્રેન નવ સ્ટેશનો પર ઉભી રહેશે અને 110 કિમી પ્રતિ કલાકની મહત્તમ ઝડપે પાંચ કલાક 45 મિનિટમાં 360 કિલોમીટરનું અંતર કાપશે. તેમણે જણાવ્યું કે તે ભુજથી સવારે 5.05 વાગ્યે ઉપડશે અને સવારે 10.50 વાગ્યે અમદાવાદ જંકશન પહોંચશે.


આધુનિક સુવિધાઓથી સજ્જ હશે વંદે મેટ્રો ટ્રેન


‘વંદે મેટ્રો’ને સ્વદેશી સેમી-હાઈ-સ્પીડ ટ્રેન વંદે ભારતની તર્જ પર ડિઝાઇન કરવામાં આવી છે, જેનો દરેક કોચ સંપૂર્ણ એરકન્ડિશન્ડ હશે. વંદે મેટ્રો ટ્રેનો અન્ય અત્યાધુનિક સુવિધાઓ સાથે સજ્જ  કરવામાં આવી છે તેમાં કવચ સુવિધા પણ આપવામાં આવી છે. રવિવારે તેમની બે દિવસીય ગુજરાત મુલાકાતના પ્રથમ દિવસે વડાપ્રધાન નરેંદ્ર મોદી અમદાવાદ નજીક વડસર એરફોર્સ સ્ટેશન ખાતે એક કાર્યક્રમમાં હાજરી આપશે.


PM મોદી અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે


PM મોદી સોમવારે ગાંધીનગરના મહાત્મા મંદિર કન્વેન્શન સેન્ટર ખાતે 'ગ્લોબલ રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટર્સ મીટ એન્ડ એક્સ્પો'ની ચોથી આવૃત્તિનું ઉદ્ઘાટન કરશે. તેઓ અમદાવાદમાં રૂ. 8,000 કરોડથી વધુની કિંમતની અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કરશે. આ ઉપરાંત વડાપ્રધાન મોદી અમદાવાદ-ગાંધીનગર મેટ્રો રેલ સેવાના બીજા તબક્કાનું લોકાર્પણ કરશે. 


ગુજરાત સરકાર અને ભારત સરકાર સાથે ભાગીદારીમાં ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા મેટ્રો રેલ નેટવર્કના બીજા તબક્કાનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. આ રૂટમાં અમદાવાદ અને ગાંધીનગરના મહત્વના સ્થળો જેમ કે જીએનએલયુ, પીડીઇયુ, ગિફ્ટ સિટી, રાયસણ, રાંદેસણ, ધોલાકુંઆ સર્કલ, ઇન્ફોસિટી તેમજ સેક્ટર 1ના વિસ્તારને આવરી લેવાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મેટ્રો રેલના બીજા તબક્કાના રૂટનો 16 સપ્ટેમ્બરે સેક્ટર 1થી શુભારંભ કરવામાં આવશે.