Cyclone Biparjoy News: વાવાઝોડુ બિપરજોય ખતરનાક સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. ગુજરાત સાથે તેને ટક્કર આડે હવે ગણતરીના કલાકો જ બાકી છે. આ પહેલા સરકારે દરિયાકાંઠાના વિસ્તારોમાંથી હજારો લોકોને શેલ્ટર હોમમાં શિફ્ટ કર્યા છે. દરમિયાન, બુધવારે (14 જૂન) ગુજરાતના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પણ શરૂ થયો છે. રાજ્ય સરકારો અને કેન્દ્ર સ્થિતિ પર સતત નજર રાખી રહી છે.


વાવાઝોડા પહેલા ગુજરાતના અનેક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળ્યો છે. સરકારે બહાર પાડેલા ડેટા અનુસાર છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 115 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ જુનાગઢના વિસાવદરમાં 2 ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે અન્ય વિસ્તારમાં વરસાદની વાત કરીએ તો, કેશોદમાં પોણા 2 ઈંચ, ધ્રોલમાં દોઢ ઈંચ વરસાદ, ભુજમાં અને અમરેલીના લીલીયામાં દોઢ ઈંચ વરસાદ, કચ્છના અંજારમાં સવા ઈંચ વરસાદ, ખાંભા, કલ્યાણપુર, જામકંડારણામાં એક ઈંચ વરસાદ, માંગરોળ, વંથલી, કાલાવડ અને બગસરામાં પોણા ઈંચ વરસાદ પડ્યો છે. આ સાથે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. અમરેલી, ભાવનગર, જુનાગઢના કેટલાક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે.


વાવાઝોડું 5 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે


બિપરજોય વાવાઝોડાને લઈને હવામાન વિભાગે સવારે 6 કલાકે લેટેસ્ટ બુલેટીન જાહેર કર્યું છે. જે અનુસાર બિપરજોય વાવાઝોડું 5 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. કચ્છના જખૌ પોર્ટથી પશ્ચિમ દક્ષિણપશ્ચિમમાં 200 કિ.મી દૂર છે વાવાઝોડું. જ્યારે વાવાઝોડુ દેવભૂમિ દ્વારકાથી પશ્ચિમ - દક્ષિણપશ્ચિમમાં 220 કિ.મી દુર છે. તો કચ્છના નલિયાથી પશ્ચિમ  - દક્ષિણપશ્ચિમમાં 225 કિ.મી દૂર છે. વાવાઝોડું પોરબંદરથી પશ્ચિમમાં 290 કિ.મી દુર છે. પાકિસ્તાનના કરાંચીથી દક્ષિણ -દક્ષિણપશ્ચિમ તરફ 290 કિ.મી દૂર છે વાવાઝોડુ. વાવાઝોડું ગુજરાતની ખુબ નજીક પહોંચ્યું છે.


બિપરજોય વાવાઝોડું આજે ગુજરાતના દરિયાકાંઠે ટકરાવાનું છે ત્યારે હવામાન વિભાગે રાજ્યના અનેક જિલ્લામાં વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના સવારના લેટેસ્ટ બુલેટીનમાં અનેક જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.


હવામાન વિભાગ અનુસાર આગામી ત્રણ કલાકમાં સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, ખેરા, અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા, આણંદ, ભરૂચ, નર્મદા, તાપી, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દાદર અને નગર હવેલીમાં વરસાદની આગાહી છે.


વાવાઝોડાને લઈને અનેક ટ્રેન રદ્દ


પશ્ચિમ રેલવે દ્વારા ગુજરાતમાં ચક્રવાત 'બિપરજોય' ને ધ્યાનમાં રાખીને ચક્રવાતની સંભાવના ધરાવતા વિસ્તારોમાં સાવચેતીના પગલા તરીકે કેટલીક ટ્રેનો ને રદ્દ, આંશિક રીતે રદ્દ કરવાનો નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત પશ્ચિમ રેલવે દ્વારા પોતાના અધિકારક્ષેત્ર હેઠળ આવતા આ સંભવિત વિસ્તારોનાં ટ્રેન મુસાફરો માટે વિવિધ સંરક્ષા અને સુરક્ષાની સાવચેતીઓ પણ લેવામાં આવી રહી છે. વર્તમાન નિયમો મુજબ રિફંડ સ્વીકાર્ય રહેશે.


પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુર દ્વારા જારી એક અખબારી યાદી અનુસાર હવે 7 ટ્રેનોને રદ્દ, 3 ટ્રેનોને શોર્ટ ટર્મિનેટની અને 4 ટ્રેનોને શોર્ટ ઓરજીનેટ કરવામાં આવશે. આ સાથે, ચક્રવાત 'બિપરજોય ને ધ્યાનમાં રાખીને મુસાફરો અને ટ્રેન કામગીરીમાં સુરક્ષાના સંબંધમાં સાવચેતીના પગલા તરીકે 76 ટ્રેનો રદ્દ, 36 ટ્રેનો ને શોર્ટ ટર્મિનેટ માટે જ્યારે 31 ટ્રેનો ને શોર્ટ ઓરીજીનેટ કરવામાં આવશે.