રાજ્યભરમાં હાલ ભારે ગરમી પડી રહી છે ત્યારે અમરેલી જિલ્લામાં આજે વરસાદની એન્ટ્રી થઈ છે. જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદનું આગમન થયું છે. તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણ બદલાયું હતું અને આકાશમાં કાળાં ડિબાંગ વાદળો છવાઈ ગયાં ત્યાં ત્યારે અચાનક આવેલા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.


આજે સાવરકુંડલા તાલુકામાં અસહ્ય ગરમી બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. વાતાવરણમાં આવેલા બદલાવ બાદ ભારે પવન ફૂંકાયો હતો અને વીજળીના કડાકા સાથે વરસાદની એન્ટ્રી થઈ હતી. સાવરકુંડલા તાલુકાના વંડા, મેવાસા, શેલણા, વાશિયાલી, ભામોદરા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. આ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી જેથી લોકોને ગરમીમાં ભારે રાહત મળી છે. જો કે બીજી તરફ પવન અને વરસાદના કારણે ખેડૂતોના કેરીના પાકને નુકશાન થવાની ભીતિ પણ સેવાઈ રહી છે.


ગુજરાતમાં બેરોજગારીએ માજા મુકી! 3400 તલાટીની જગ્યા માટે 17 લાખ ફોર્મ ભરાયા


અમદાવાદ: રાજ્યમાં બેરોજગારીનો આંકડો ચિંતાજનક સ્થિતિએ પહોંચ્યો છે. જેનો જીવતો જાગતો દાખલો છે તલાટીની ભરતીમાં ભરવામાં આવેલે ફોર્મ. તલાટી મંત્રીની 3 હજાર 400 જગ્યા સામે 17 લાખ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. જે એ વાતની સાબિતી આપે છે કે ગુજરાતમાં કેટલી હદે બેરોજગારી વધી ગઈ છે. સરકારી જગ્યા માટે નિયમિત ભરતી ન થતાં આંકડો ચિંતાજનક સ્થિતિએ પહોંચ્યો છે. તલાટીની એક જગ્યા માટે 500 ફોર્મ ભરાયા છે. 3400 જગ્યા માટે 17 લાખ ફોર્મ ભરાયા છે. ગુજરાતમાં તલાટીની નોકરી મેળવવા જાણે કે શિક્ષિત બેરોજગારોનું ઘોડાપુર ઉમટ્યું છે.


નોંધનીય છે કે, રાજ્યમાં શિક્ષિત બેરોજગારોની સમસ્યા સતત વધતી જાય છે. સરકારી નોકરી મેળવવા માટે યુવાનોમાં જાણે કે હોડ જામી છે. ગુજરાત સરકારે રાજ્યમાં ફરીથી તલાટીની ભરતીની જાહેરાત બહાર પાડી છે. જેના પગલે ખૂબ મોટી સંખ્યામાં યુવકોએ ઉમેદવારી નોંધાવી છે.