ramesh katara minister gujarat: ગુજરાત સરકારના કૃષિ રાજ્યમંત્રી રમેશ કટારાએ ગોધરાના એક કાર્યક્રમમાં શિક્ષકોના પગાર અને કામગીરી અંગે કરેલી વિવાદાસ્પદ ટિપ્પણીથી મોટો ભડકો થયો છે. મંત્રીએ જાહેરમાં કહ્યું હતું કે, "પગારપંચ મળ્યા પછી પણ શિક્ષકોની ભૂખ સંતોષાતી નથી." તેમના આ શબ્દોથી રાજ્યભરના શિક્ષક સમાજમાં ભારે આક્રોશ ફેલાયો છે. આ નિવેદનથી રોષે ભરાયેલા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખીને મંત્રી પાસે જાહેર માફીની માંગ કરી છે. એટલું જ નહીં, જો મંત્રી તાત્કાલિક માફી નહીં માંગે તો રસ્તા પર ઉતરીને ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

Continues below advertisement

વિગતે વાત કરીએ તો, ગોધરામાં યોજાયેલા એક કાર્યક્રમ દરમિયાન મંત્રી રમેશ કટારાએ શિક્ષકો પર નિશાન સાધતા કહ્યું હતું કે, "અત્યારે પગારપંચ અને નાણાપંચ મળી ગયા છે, છતાં પણ કેટલાક લોકોની ભૂખ નથી ભાગતી. તમારા વડીલોને પૂછો, તેઓ 500 કે 1000 રૂપિયામાં નોકરી કરતા હતા. આજે વધુ પગાર મળવા છતાંય શિક્ષકો સરકાર સામે વિરોધ કરતા હોય છે." આ ઉપરાંત મંત્રીએ એવું પણ કહ્યું હતું કે ઘણી વખત શિક્ષકો વર્ગખંડમાં બાળકોને ભણાવવાના બદલે મોબાઈલમાં જ વ્યસ્ત જોવા મળે છે.

Continues below advertisement

મંત્રીના આ શબ્દો વાયરલ થતાં જ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે તેનો સખત વિરોધ નોંધાવ્યો છે. મહાસંઘે મુખ્યમંત્રીને લખેલા પત્રમાં આ નિવેદનને અત્યંત દુર્ભાગ્યપૂર્ણ, અસંવેદનશીલ અને તથ્યવિહીન ગણાવ્યું છે. પત્રમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે મંત્રીને પૂરી માહિતી જ નથી. હાલમાં દેશમાં 8મા પગારપંચનો રિપોર્ટ પણ નથી આવ્યો અને મંત્રી 10મા પગારપંચની વાતો કરી રહ્યા છે, જે કદાચ 2046 ની આસપાસ અમલમાં આવશે. શિક્ષકો સરકાર પાસે કોઈ વિશેષ કૃપા નથી માંગી રહ્યા, પરંતુ સતત વધતી મોંઘવારી વચ્ચે પોતાના હક અને અધિકારની જ માંગણી કરી રહ્યા છે. રાષ્ટ્ર નિર્માણનો પાયો ગણાતા શિક્ષકો માટે આવા શબ્દો વાપરવા એ જાહેર જીવનની મર્યાદાની બહાર છે.

મહાસંઘે મુખ્યમંત્રી સમક્ષ કડક માંગ કરી છે કે મંત્રી રમેશ કટારા જાહેરમાં શિક્ષક સમાજ અને કર્મચારી વર્ગની માફી માંગે. આ ઉપરાંત, તેમના નિવેદનની સમીક્ષા કરી તેમની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે અને ભવિષ્યમાં ભાષાની મર્યાદા જાળવવા તેમને કડક સૂચના આપવામાં આવે. સંઘે ચેતવણી આપી છે કે જો સરકાર આ મુદ્દે તાત્કાલિક કોઈ હકારાત્મક પગલાં નહીં લે, તો શિક્ષકો અને કર્મચારીઓ મજબૂર બનીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરશે, જેની સંપૂર્ણ જવાબદારી મંત્રી અને સરકારની રહેશે.