હવામાન વિભાગે આગામી સાત દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં 16 ઓગસ્ટથી મૂશળધાર વરસાદ વરસશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે દક્ષિણ ગુજરાતમાં મન મૂકીને મેઘરાજા વરસશે. 16 ઓગસ્ટથી મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસશે. ગુજરાતમાં અત્યાર સુધી સીઝનનો 64 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના છે. માછીમારોને 14 ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.
આજે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ
હવામાન વિભાગની આગાહી મુજબ આજે પણ બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદમાં વરસાદ વરસી શકે છે. આ સિવાય પણ અનેક જિલ્લાઓમાં સામાન્યથી લઈ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છમાં વરસાદનું અનુમાન છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, બંગાળની ખાડીમાં એક સિસ્ટમનું સર્જન થશે. જેના કારણે ગુજરાત સહિત મધ્ય અને પશ્ચિમ ભારતમાં ફરી એક વખત ચોમાસું સક્રિય થઈ શકે છે.
બંગાળની ખાડીની સાથે અરબી સમુદ્રમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે. જેની અસરથી ગુજરાતમાં ફરી વરસાદનું આગમન થયું છે. રાજ્યમાં છૂટછવાયો હળવો વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતમાં આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી રહ્યો છે. ઉલ્લેખનિય છે કે, બંગાળની ખાડીમાં પણ એક સિસ્ટમ એકિટવ થવા જઇ રહી છે. જેની અસરથી ગુજરાતમાં 16 ઓગસ્ટ બાદ સારો વરસાદ વરસશે, હવામાન વિભાગની આગાહી મુજબ આ રાઉન્ડમાં 16 ઓગસ્ટથી 23 ઓગસ્ટ સુધી ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં સારો વરસાદ વરસી શકે છે. ટૂંકમાં કહીએ તો ઓગસ્ટના મધ્યમાં ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનું અનુમાન છે.
રાજ્યમાં સિઝનનો સરેરાશ 63 ટકા વરસાદ નોંધાયો
ગુજરાતમાં સિઝનનો સરેરાશ 63 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 67.11 ટકા વરસાદ વરસ્યો છે. કચ્છમં 64.16 ટકા, ઉત્તર ગુજરાતમાં 65.47 ટકા, પૂર્વ મધ્યમાં 64.87 ટકા, સૌરાષ્ટ્રમાં 55. 11 ટકા વરસાદ નોંધાયો છે. સરદાર સરોવર ડેમ 82.91 ટકા ભરાયો છે, જ્યારે રાજ્યના અન્ય 206 જળાશયોમાં 67.97 ટકા પાણીનો સંગ્રહ થયો છે.
સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાત સહિત ગુજરાતભરમાં વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોએ ખરીફ પાકોનું ઉત્સાહભેર વાવેતર કર્યું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 63 ટકા નોંધાયો છે. રાજ્યમાં વરસાદનું સમયસર આગમન થતા આ વર્ષે વાવેતર વિસ્તારમાં વધારો થશે તેમજ સારા વરસાદના પરિણામે ખેડૂતોને પણ સારી ઉપજ મળશે.