Republic Day 2023: નર્મદાના કેવડિયા ખાથે આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રથમવાર પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી છે. ધ્વજ વંદન સમારોહમાં SOUADTGA ના ચેરમેન જે.પી.ગુપ્તાએ હાજરી આપી હતી અને ત્રિરંગો લહેરાવ્યો હતો. પ્રજાસત્તાક પર્વે ખાસ અતિથિ વિશેષ તરીકે પદ્મશ્રી એવોર્ડ અને ખેલ રત્ન એવોર્ડ વિજેતા અને પેરાઓલમ્પિક ખેલાડી દીપા મલિક ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે જે.પી.ગુપ્તાએ, બંધારણે આપેલ મૌલિક અધિકારોનો ઉપયોગ કરીને સર્વનો વિકાસ અને સર્વનું સન્માન કરીને સૌના સાથ -સૌના વિકાસની ભાવનાને ચરિતાર્થ કરવા આહવાન કર્યું, 4 વર્ષના ટૂંકા ગાળામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કોરોનાના કાળ વચ્ચે 1 કરોડ પ્રવાસીઓએ મુલાકાત લીધી છે જે એક રેકોર્ડ છે. જે એકતાનગર ખાતે કાર્યરત કર્મયોગીઓના સહિયારા પ્રયત્નોનું જ શ્રેષ્ઠ પરિણામ છે.


પ્રજાસત્તાક પર્વની શુભેચ્છાઓ પાઠવી


ધ્વજ વંદન બાદ ગુપ્તાએ કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ(CISF)ના પ્લાટુનની પરેડનું નિરીક્ષણ કર્યું હતું. આ તકે SQUADTGA મુખ્ય કારોબારી અધિકારી ઉદિત અગ્રવાલ અને CISF ના ડેપ્યુટી કમાન્ડન્ટ નિર્ભય સિંગ પણ સાથે જોડાયા હતા.  તેમણે ઉપસ્થિત પ્રવાસીઓ સહિત સૌ દેશવાસીઓને ૭૪માં પ્રજાસત્તાક પર્વની શુભેચ્છાઓ પાઠવી તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે, દેશની આઝાદી અપાવવામાં અમૂલ્ય યોગદાન આપનાર આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓની કુરબાની અપ્રતિમ શૌર્ય અને દેશ માટે પોતાના પ્રાણ ન્યોચ્છાવર કરનાર તમામને હું વંદન કરૂ છું. 


સાથોસાથ ભારતના મહાન સપૂત અને અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલની અતિ વિરાટ પ્રતિમા સમક્ષ ધ્વજ વંદન કરવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થવા બદલ ભારતના આ વીર સપૂતોના ચરણોમાં શત શત વંદન કરૂ છુ. દેશની આઝાદી અપાવવામાં નામી અનામી રાષ્ટ્રપુરૂષો સહિત મા ભોમ -કાજે શહીદી વહોરનારા આઝાદીના લડવૈયાઓ અને “ માં ભોમ ની આન-બાન અને શાનને બરકરાર રાખવાઅને “મા “ ભારતીની રક્ષા કાજે પ્રાણ ન્યોછાવર કરનાર વીરોના પ્રતાપે આજે આપણને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી મળવાની સાથોસાથ પ્રત્યેક નાગરિકને વાણી સ્વતંત્રતા,રોજગારીની સ્વતંત્રતા અને દેશના વિકાસમાં સ્વનિર્ણયની સ્વતંત્રતાની અમૂલ્ય ભેટ મળી છે. 


આઝાદીના ૭૫ વર્ષ બાદ હવે ભારત માટે અમૃતકાળ શરૂ થવાનો છે. આગામી ૨૫ વર્ષમાં ભારત દેશ વિકાસના નવા સોપાનો સર કરવાનો છે ત્યારે આઝાદીના ૭૫ વર્ષમાં ભારતે જે વિકાસ કર્યો છે, તેનું મુલ્યાંકન કરવાનું અને પ્રત્યેક ગામ, પ્રત્યેક વ્યક્તિ અને પ્રત્યેક વર્ગો માટેની ઉપલબ્ધિઓ વિશે પણ જાણવું જોઇએ. ૭૫ વર્ષમાં ભારતે ખુબ પ્રગતિ કરી છે. શિક્ષણ હોય, આરોગ્યક્ષેત્ર કે દેશની સુરક્ષા વિગેરે જેવી બાબતોમાં દેશની સરકારો અને ભારતના નાગરિકોએ પ્રજાહિતના સામુહિક નિર્ણયો લીધા છે અને આગળ વધવાની નેમ એ સહિયારા પુરૂષાર્થનું પ્રતિક હોવાનું તેમણે ઉમેર્યુ હતુ.


સૌના સાથ -સૌના વિકાસ સાથે આગળ વધવા કટિબદ્ધ


આગામી સમયમાં પણ સમાજના દરેક વ્યક્તિએ સમરસતા અને સમભાવ સાથે સૌના સાથ -સૌના વિકાસ સાથે આગળ વધવા કટિબદ્ધ બનવાની ગુપ્તાએ અપીલ કરી હતી. દેશના નાગરિકોએ સમાજના વિકાસ સાથે પર્યાવરણની જાળવણી માટે વિશેષ ભાર મુકતા તેઓએ એકતાનગરનાં સમગ્ર વિસ્તારમાં રહેલા પ્રાકૃતિક સૌંદર્યની સાથે વન-પર્યાવરણ પાણી અને આદિવાસી સંસ્કૃતિની જાળવણી સાથે વિકાસયાત્રા આગળ ધપાવવાની હિમાયત કરી હતી. ગુપ્તાએ બંધારણે આપેલ મૌલિક અધિકારોનો
ઉપયોગ કરીને સર્વનો વિકાસ અને સર્વનું સન્માન કરીને સૌના સાથ-સૌના વિકાસની ભાવનાને ચરિતાર્થ કરવા આહવાન કરતા પ્રજાસત્તાક પર્વનો આ દિવસ ભારતના પ્રત્યેક નાગરિક માટે ગૌરવશાળી, પુજનીય અને શ્રધ્ધાનો છે તેમ જણાવ્યું હતું.


કોરોનાના કાળ વચ્ચે સ્ટેચ્યુ ઓફ યુનિટીની 1 કરોડ પ્રવાસીઓએ મુલાકાત લીધી


સ્ટેચ્યુ ઓફ યુનિટીની સૌથી મોટી ઉપલબ્ધીનો ઉલ્લેખ કરતા ગુપ્તાએ જણાવ્યું હતું કે, ૪ વર્ષના ટૂંકા ગાળામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કોરોનાના કાળ વચ્ચે 1 કરોડ પ્રવાસીઓએ મુલાકાત લીધી છે, જે એક રેકોર્ડ છે. આ ઉપલબ્ધી એકતાનગર ખાતે કાર્યરત કર્મયોગીઓના સહિયારા પ્રયત્નોનું જ શ્રેષ્ઠ પરિણામ છે આગામી સમયમાં એકતાનગરનો વિકાસ એવી રીતે કરીએ કે જેમાં પ્રવાસીઓને સારી અને શ્રેષ્ઠ સુવિધાઓ પૂરી પાડીએ તેની સાથે જળ,જંગલ અને જમીનને વધુ સારી રીતે સંરક્ષિત કરી શકીએ તે માટે સંકલ્પબદ્ધ થઇએ. વિકાસ વણથંભ્યો રહે અને છેવાડાના માનવીના વિકાસ સાથે નાગરિક તરીકેના અધિકારો, ફરજો અને કર્તવ્યોના પાલનની સજાગતા સાથે દેશની પ્રગતિને આગળ ધપાવીને મજબુત રાષ્ટ્રના નિર્માણમાં પોતાનું યોગદાન આપવા સંકલ્પબદ્ધ થવા ગુપ્તાએ આહવાન કર્યું હતું.