ગાંધીનગરઃ ગુજરાતમાં ગુટખા તેમજ તમાકુ કે નિકોટીનયુક્ત પાન મસાલાના વેચાણ, સંગ્રહ અને વિતરણ પરનો પ્રતિબંધ વધુ એક વર્ષ માટે લંબાવાયો છે. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે આ જાહેરાત કરી છે.


રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું છે કે, રાજ્યમાં ગુટખા તેમજ તમાકુ કે નિકોટીનયુક્ત પાન મસાલાના વેચાણ, સંગ્રહ અને વિતરણ પર હાલ પ્રતિબંધ છે. આ પ્રતિબંધ નાગરિકોનું સ્વાસ્થ્ય વધુ સુદ્રઢ બને તે માટે વધુ એક વર્ષ સુધી લંબાવવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. પટેલે ઉમેર્યુ કે, ફૂડ સેફટી સ્ટાન્ડર્ડ એકટ- 2006 અન્વયેના નિયમો તથા રેગ્યુલેશન 2011 હેઠળ આ પ્રતિબંધ મૂકાયો છે.

આ પ્રતિબંધ હેઠળ કોઇપણ ખાદ્યચીજમાં તમાકુ કે નીકોટીન ઉમેરવા પર પ્રતિબંધ છે. ગુટખામાં તમાકું કે નિકોટીનની હાજરી હોવાથી માનવ આરોગ્યને ખૂબ જ નુકશાન થતું હોય છે. નાગરિકો તથા ભાવિ પેઢીના સ્વાસ્થ્યને જાળવી રાખવા માટે ગુટકા પર પ્રતિબંધ મૂકવો જરૂરી હોઇ આ નિર્ણય કરાયો છે.

પટેલે ઉમેર્યું છે કે, રાજ્ય સરકાર દ્વારા ગુટકા કે પાન મસાલા કે જેમાં તમાકુ કે નિકોટીનની હાજરી હોય તેના વેચાણ, સંગ્રહ વિતરણ પર પ્રતિબંધ માટે નિર્ણય કર્યો હતો. આ નિયમનો ભંગ કરનાર સામે કડક હાથે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. પટેલે વધુમાં જણાવ્યું હતું કે, શૈક્ષણિક સંસ્થાની 100 વારની ત્રિજ્યામાં સિગારેટ તથા તમાકુ કે નીકોટીનની હાજરી હોય તેવા પદાર્થોનું વેચાણ કરવા માટે પ્રતિબંધનો અમલ તંત્ર દ્વારા સખત રીતે કરાઇ રહેલ છે. આ બાબતે છેલ્લા ત્રણ વર્ષમાં આરોગ્ય વિભાગના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા આશરે 10હજાર પેઢીઓની તપાસ કરી આશરે રૂ. 11 લાખ જેટલો દંડ વસૂલ કરાયો છે.