ગાંધીનગર: મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલની અધ્યક્ષતામાં કોર કમિટીની બેઠક મળી હતી. જેમાં રાજ્યમાં વધતા કોરોના સંક્રમણ નિયંત્રણ મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. 


જેમાં એક મહત્ત્વનો નિર્ણય એ કરવામાં આવ્યો છે કે, આગામી દિવસોમાં રાજ્યની બધી જ APMC અને અમૂલ પાર્લર પરથી ટ્રિપલ લેયર માસ્ક માત્ર એક રૂપિયાની કિંમતે નાગરિકોને મળશે.


નોંધનીય છે કે, કોરોના વકરતાં પહેલી એપ્રિલથી ગુજરાતમાં પોલીસે માસ્ક ન પહેરવા, સોશિયલ ડીસ્ટન્સ ન જાળવવા સહિતના નિયમોનું પાલન કરાવવા માટે દંડ વસૂલાતની કામગીરી કડક બનાવી છે.


કોરોનાને અટકાવવા માટે નાગરિકોમાં ઉદાસિનતા જોવા મળતાં ડીજીપી આશિષ ભાટિયાએ કાયદાની કડક અમલવારીની તાકીદ કરી હતી. આ આદેશના પગલે તા. 4 એપ્રિલના દિવસે જ ગુજરાતમાં  માસ્ક નહીં પહેરેલા 8309 વ્યક્તિ પાસેથી 82.84 લાખ રૂપિયાનો દંડ વસુલવામાં આવ્યો છે.


કોરોનાનો રોગચાળો વકરતાં પોલીસે માસ્ક ન પહેરતા નાગરિકો, સોશિયલ ડીસ્ટન્સ નહીં જાળવતાં તેમજ જાહેરમાં થૂંકતા નાગરિકો સામે દંડાત્મક કાર્યવાહી વેગવાન બનાવી છે. ગુજરાત સરકારે કડક કાર્યવાહીના આદેશ આપતાં રાજ્યભરમાં એપ્રિલ મહિનાના આરંભથી જ કડક કાર્યવાહીનો આરંભ કરવામાં આવ્યો છે.


રાજ્યમાં કોરોના ઘાતક બન્યો છે. ગઈકાલે રાજ્યમાં રેકોર્ડબ્રેક 3 હજાર 160 કેસ નોંધાયા હતા. જ્યારે 15નાં મૃત્યુ થયા હતા અને નવ ઓક્ટોબર 2020 એટલે 178 દિવસમાં પ્રથમ વખત એક્ટિવ કેસનો આંક 16 હજારને પાર થયો છે. હાલ 16 હજાર 252 એક્ટિવ કેસ છે અને 167 દર્દી વેન્ટીલેટર પર છે.


કુલ કેસનો આંક 3 લાખ 21 હજાર 598 અને કુલ મૃત્યુઆંક 4 હજાર 581 થયો છે. એપ્રિલના પાંચ દિવસમાં જ 13 હજાર 900 કેસ અને 66 દર્દીઓના મૃત્યુ થયા છે. હાલની સ્થિતિએ પ્રતિ કલાકે 132 વ્યક્તિ કોરોનાની ઝપેટમાં આવી રહી છે.


સોમવારે સુરત શહેરમાં 603 અને ગ્રામ્યમાં 185 સાથે સૌથી વધુ 788 કેસ નોંધાયા છે. અમદાવાદ શહેરમાં ૭૭૩ અને ગ્રામ્યમાં ૧૪ સાથે ૭૮૭ કેસ નોંધાયા છે. વડોદરા અને રાજકોટમાં પણ ચિંતાજનક સ્થિતિ છે. છેલ્લા ૨૪ કલાકમાં ૩૦૦થી વધુ કેસ સામે આવ્યા છે. જેમાં વડોદરા શહેરમાં ૨૧૬-ગ્રામ્યમાં ૧૧૪ સાથે કુલ ૩૩૦, રાજકોટ શહેરમાં ૨૮૩, ગ્રામ્યમાં ૨૮ સાથે ૩૧૧ કેસનો સમાવેશ થાય છે. આમ, ચાર મહાનગરમાં જ ૨ હજાર ૨૧૬ નવા કેસ નોંધાયા છે. તો જામનગરમાં 124, મહેસાણામાં 88, ભાવનગરમાં 79, ગાંધીનગરમાં 66, પાટણમાં 65, પંચમહાલમાં 39 કેસ નોંધાયા છે.