સંતરામુપરઃ મહીસાગર જિલ્લામાં પરિણીતા પર બે વિધર્મી યુવકોએ સામૂહિક બળાત્કાર ગુજારતા ચકચાર મચી ગઈ હતી. આ સામૂહિક બળાત્કારની ઘટનામાં પોલીસે ગણતરીની કલાકામાં બંને આરોપી અનિતખાન જરજીસખાન પઠાણ અને ઇમરાન હાજીરમજાની મુલ્તાનીની ધરપકડ કરી લીધી હતી અને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા.


રવિવારે પોલીસે બંને આરોપીઓને કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કર્યો હતા. કોર્ટે બંને આરોપીના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. બીજી તરફ સંતરામપુરના ગેંગરેપને લઇને ગુજરાત મહીલા આયોગના ચેરમેન લીલાબેન અંકોલિયાએ ગંભીર નોંધ લઇને તપાસના આદેશ આપ્યા હતા. ગેગરેપ મામલે મહિસાગર જિલ્લાના પોલીસવડા પાસે રિપોર્ટ માગ્યો હતો.

આરોપીઓએ મહિલાને ફોન પર ધમકાવી પોતાના ઘરે બોલાવી સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. મહિલા પર વારંવાર ગેંગ રેપ કરવામાં આવતો હતો. આરોપીઓએ મહિલાના બાળકો મારી નાખવા સહિત મહિલાને પણ મારી નાખવાની ધમકી આપવામાં આવતી હતી. મહિલાએ હિંમત કરી સંતરામપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી.