Gujarat Assembly Elections 2022: કેટલાક મુદ્દા એવા છે કે જેના વગર ગુજરાતની ચૂંટણી પૂરી થઈ જ ન શકે.. આવો જ એક મુદ્દો છે ગુજરાતની જીવ દોરી નર્મદા, સરદાર સરોવર બંધ. ગુજરાત ચૂંટણીનો પ્રચાર ચરમ પર છે. એવા સમયે કોંગ્રેસની ભારત જોડો યાત્રામાં મેઘા પાટકરની એન્ટ્રી થતાંની સાથે જ ગુજરાતમાં નર્મદા મુદ્દે રાજનીતિ ગરમાઈ છે. આ મુદ્દે આજે રાજ્યસભામાં કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે, નર્મદા કોંગ્રેસના શાસનમાં બંધ બન્યો છતાં અમે ક્યારેય કહ્યું નથી કે અમે કર્યું.


 



મેઘા પાટકર સામે લડીને આ બંધ કોંગ્રેસે બનાવ્યો હતો. એ સમયની મધ્યપ્રદેશની ભાજપની સરકારે રોડા નાખ્યા હતા. માત્ર દરવાજા ચડાવી સકટનો ભાર જાણે શ્વાન તાણે તેવું કરે છે. નર્મદાના મુદ્દે કોંગ્રેસ રાજનીતિ ના કરી શકે. ગુજરાત માટે નર્મદા રાજનીતિનો નહિ પરંતુ જીવાદોરી છે. નર્મદાનો પાયો નાખવાનું કામ કોંગ્રેસે કર્યું હોવા છતાં જશ નથી લેતું. વિસ્થાપિતોને તેમની માંગ સાથે સ્થાપિત કરવાનું કામ કોંગ્રેસે કર્યું. કોંગ્રેસે નર્મદા કેનાલનું 85 ટકા કામ પૂર્ણ કરેલું. મેધા પાટકર આપ મેળે ભારત જોડોમાં જોડાય એમાં મુદ્દો ના હોઈ શકે. મેઘા પાટકરના મુદ્દે ગુજરાતની ચૂંટણી ના જીતી શકે.


લલીત વસોયાના ગઢમાં ગાબડું


ધોરાજી ઉપલેટા વિધાનસભા બેઠક પર કોંગ્રેસને ઝટકો લાગ્યો છે. ભાયાવદર નગરપાલિકાના કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સહિત 500 કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા છે. મતદાનના ગણતરીના દિવસો પહેલા ધોરાજીમાં રાજકીય હડકંપ સામે આવ્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય વસોયાના ગઢમાં મોટું ગાબડું પડ્યું છે. ભાયાવદર નગરપાલિકાના કોંગ્રેસના 12 જેટલા સભ્યો ભાજપનો ખેસ ધારણ કરશે. ગાંધીનગર ખાતે કમલમમાં સી આર પાટીલના હસ્તે કેસરિયા ખેસ ધારણ કરશે.


વ્યક્તિ કપડાં બદલે તેમ ગુજરાતમાં મુખ્યમંત્રી બદલાય છે


 કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ રાજીવ શુક્લા આજે અમદાવાદના પ્રવાસે હતા. ગુજરાતની જનતાને કોંગ્રેસ તરફી મતદાન કરવાની અપીલ કરતા તેમણે ગુજરાત સરકારને નિષ્ફળ અને છત્તીસગઢની કોંગ્રેસની સરકારને સફળ ગણાવી હતી. રખડતાં ઢોરોના પ્રશ્ન મુદ્દે ઉદાહરણ આપતા શુક્લાએ જણાવ્યું હતું કે, છત્તીસગઢમાં કોંગ્રેસની સરકાર પર એક રૂપિયાનું દેવું નથી. રખડતાં ઢોરનો ત્રાસ છતિસગઢમાં પણ છે, પરંતુ ત્યાં તેના નિરાકરણ માટે યોજના લાગુ કરી. 


ગોબર અને પશુનું મૂત્ર સરકારે ખરીદવાનું શરૂ કર્યું.  2 રૂપિયા કિલો ગોબર અને 2 રૂપિયે લીટર પશુમુત્ર ખરીદે છે. ખાતર અને દવા બનાવીને સરકાર નફો કરે છે. ગુજરાતની જનતાને અપીલ છે કે આ વખતે કોંગ્રેસ સરકાર બનાવે. ગુજરાતની પ્રજા આ વખતે પરિસ્થિતિ બદલવા મતદાન કરે. કોંગ્રેસના વચનો ગુજરાતનું ચિત્ર બદલી દેશે. કોંગ્રેસે ખેડૂતોના દેવા માફ કર્યા હતા.  કોંગ્રેસનો રેકોર્ડ છે કે જે કહે છે કોંગ્રેસ તે કરે છે. આ ચૂંટણી મહત્વપૂર્ણ છે. રોટલી એક જ તરફ રહે તો બળી જાય. વ્યક્તિ કપડાં બદલે તેમ ગુજરાતમાં મુખ્યમંત્રી બદલાય છે.


PM મોદી ફરી આવશે ગુજરાત


ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે ત્યારે કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને ભાજપ સહિતની પાર્ટીએ પ્રચંડ પ્રચાર માટે દિગ્ગજોને મદાને ઉતાર્યો છે. PM મોદી ફરી એકવાર ગુજરાત આવી રહ્યાં છે. તેઓ  સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં 6થી વધુ સભાને સંબોધિત કરશે. સુરતમાં  વડાપ્રધાન નરેન્દ્ર મોદી  રાત્રી રોકાણ કરશે. 27 તારીખે સાંજે સભા સંબોધ્યા બાદ રાત્રી રોકાણ. બીજા દિવસે બપોર સુધી રોકાણ બાદ રવાના થશે.પાટીદાર બહુમતી ધરાવતા વિસ્તારમાં સભા યોજશે.રાત્રી રોકાણ દરમ્યાન સુરતની સ્થિતિનો ચિતાર મેળવશે.વડાપ્રધાનની સભા પહેલા રોડ શો કરવા અંગે પણ વિચારણા ચાલુ રહી છે.